સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૬. સેવાવૃત્તિ

વિકિસ્રોતમાંથી
← ૫. બાળકેળવણી સત્યના પ્રયોગો અથવા આત્મકથા
સેવાવૃત્તિ
મોહનદાસ કરમચંદ ગાંધી
૭. બ્રહ્મચર્ય—૧  →


૬. સેવાવૃત્તિ

મારો ધંધો ઠીક ચાલતો હ્તો, પણ તેથી સંતોષ નહોતો રહેતો. જીવન વધારે સાદું થવું જોઈએ, શારીરિક સેવાકાર્ય હોવું જોઈએ, એવી ગડમથલ મનમાં ચાલ્યા જ કરતી.

એવામાં એક દિવસ એક અપંગ, રક્તપિત્તથી પીડાતો માણસ ઘેર આવી પહોંચ્યો. તેને ખાવાનુ આપીને કાઢી મૂકતાં જીવ ન ચાલ્યો. તેને એક કોટડીમાં રાખ્યો. તેના ઘા સાફ કર્યા ને તેની સેવા કરી.

પણ આમ લાંબો વખત ન ચાલી શકે. ઘરમાં હંમેશને માટે તેને રાખવાની મારી પાસે સગવડ નહોતી, મારી હિંમત નહોતી, મેં તેને ગિરમીટિયાઓને અંગે ચાલતી સરકારી ઈસ્પિતાલમાં મોકલ્યો.

પણ મને આશ્વાસન ન મળ્યું. એવું કંઈક શુશ્રૂષાનું કામ હમેશાં કરું તો કેવું સારું ! દા. બૂથ સેન્ટ એડમ્સ મિશનના ઉપરી હતા. તેઓ હંમેશા જે આવે તેને મફત દવા આપતા. બહુ ભલા અને માયાળુ હતા. પારસી રુસ્તમજીની સખાવતને લીધે દા. બૂથના હાથ નીચે એક બહુ નાની ઈસ્પિતાલ ખૂલી. આ ઈસ્પિતાલમાં નર્સ તરીકે કામ કરવાની મને પ્રબળ ઈચ્છા થઈ. તેમાં દવા આપવાને અગેં એકથી બે કલાકનું કામ રહેતું. તેને સારુ દવા બનાવી આપનાર કોઈ પગારદાર માણસની અથવા સવ્યંસેવકની જરુર હતી. આ કામ માથે લેવાનો ને તેટલો સમય મારા વખતમાંથી બચાવવાનો મેં નિશ્ચય કર્યો. મારું વકીલાતનું ઘણું કામ તો ઓફિસમાં બેઠા સલાહ આપવાનું ને દસ્તાવેજો ઘડવાનું અથવા કજિયા ચૂકવવાનું રહેતું. થોડા કેસ મૅજિસ્ટ્રેટની અદાલતમાં હોય. તેમાંના ઘણા તો બિનતકરારી હોય. આવા કેસો જ્યારે હોય ત્યારે તે મિ. ખાન, જે મારી પાછળ આવ્યા હતા અને જેઓ તે વેળા મારી સાથે જ રહેતા હતા, તેમણે ચલાવી લેવાનું માથે લીધું, ને હું આ નાનકડી ઈસ્પિતાલમાં કામ કરતો થયો.

રોજ સવારના ત્યાં જવાનું રહેતું. આવતાં જતાં તેમજ ઈસ્પિતાલમાં કામ કરતાં હમેશાં લગભગ બે કલાક જતા. આ કામથી મને કંઈક શાંતિ થઈ. મારું કામ દરદીનો કેસ સમજી લઈ તે દાકતરને સમજાવવાનું અને દાકતર બતાવે તે દવા તૈયાર કરી દરદીને આપવાનું હતું. આ કામથી હું દુ:ખી હિંદીઓના ગાઢ સંબંધમાં આવ્યો. તેમનામાંનો મોટો ભાગ તામિલ અથવા તેલુગુ અગર તો ઉત્તર હિંદુસ્તાની ગિરમીટીયાઓનો હોય.

આ અનુભવ મને ભવિષ્યમાં બહુ ઉપયોગી નીવડ્યો. બોઅર લડાઇ વેળા ઘાયલોની શુશ્રૂષાના કામમાં ને બીજા દરદીઓની માવજત કરવામાં મને ખૂબ ખપ લાગ્યો.

બાળકોના ઉછેરનો પ્રશ્ન તો મારી સામે હતો જ. દક્ષિણ આફ્રિકામાં મને બીજા બે પુત્રો થયા. તેમને ઉછેરીને કેમ મોટા કરવા એ પ્રશ્નનો ઉકેલ કરવામાં મને આ કામે સારી મદદ આપી. મારો સ્વતંત્ર સ્વભાવ મને બહુ તાવતો અને હજુ તાવે છે. સુવાવડ વગેરે શાસ્ત્રીય પધ્ધતિ પ્રમાણે કરવાં એમ અમે બંનેએ નિશ્વય કર્યો હતો. તેથી, જોકે દાક્તર તેમ જ નર્સની ગોઠવણ તો હતી જ, છતાં કદાચ ખરી ઘડીએ દાકતર ન મળે ને દાઈ ભાગે તો મારા શા હાલ થાય ? દાઈ તો હિંદી જ રાખવાની હતી, શીખેલી હિંદી દાઈ હિંદુસ્તાનમાં મુશ્કેલીથી મળે તો દક્ષિણ આફ્રિકામાં તો વાત જ શી ? એટલે, મેં બાળઉછેરનો અભ્યાસ કરી લીધો. દા. ત્રિભુવનદાસનું 'માને શિખામણ' નામનું પુસ્તક વાંચ્યું. તેમાં સુધારાવધારા સાથે છેલ્લા બે બાળકોને મેં જાતે ઉછેર્યા એમ કહી શકાય. દાઇની મદદ દરેક વખતે થોડો જ સમય-બે માસથી વધારે તો નહી જ-લીધેલી; તે પણ મુખ્યત્વે ધર્મપત્નીની સેવાને ખાતર બાળકોને નવડાવવા ધોવડાવવાનું કામ શરૂઆતમાં મારે હાથે થતું.

છેલ્લા બાળકના જન્મ વખતે મારી કસોટી પૂરેપૂરી થઈ. પ્રસૂતિની વેદના એકાએક શરૂ થઈ. દાકતર ઘેર નહીં. દાઈને તેડાવવાની હતી. તે પાસે હોત તોપણ તેનાથી પ્રસવ કરાવવાનું કામ ન થઈ શકત. પ્રસવ વખતમાં બધું કાર્ય મારે હાથે જ કરવું પડ્યું. સદ્ભાગ્યે મેં આ વિષય 'માને શિખામણ'માંથી સુક્ષ્મ રીતે વાંચી લીધો હતો. તેથી મને ગભરાટ ન થયો.

મેં જોયું કે, પોતાનાં બાળકોને યોગ્ય રીતે ઉછેરવાં હોય તો મા અને બાપ બંનેએ બાળકોના ઉછેરનું સામાન્ય જ્ઞાન મેળવી લેવું જોઈએ. મેં તો મારી આ વિષયની કાળજીના લાભ ડગલે ડગલે જોયા છે. જે સામાન્ય તંદુરસ્તી મારા બાળકો આજે ભોગવે છે તે જો મેં તે વિષે સામાન્ય જ્ઞાન મેળવી તેનો અમલ ન કર્યો હોત તો ન ભોગવી શકત. આપણામાં એવો વહેમ છે કે, પહેલાં પાંચ વર્ષમાં બાળક જે પામે છે તે પછી પામતું જ નથી. બાળકની કેળવણી માતાના ઉદરમાંથી શરૂ થાય છે એમ હું અનુભવથી કહી શકું છું. ગર્ભાધાનકાળની માતાપિતાની શારીરિક તેમ જ માનસિક સ્થિતિની અસર બાળક ઉપર પડેછે. ગર્ભકાળની માતાની પ્રકૃતિ, માતાના આહારવિહારનાં સારાં માઠા ફળનો વારસો લઈ બાળક જન્મે છે. જન્મ્યા પછી તે માતાપિતાનું અનુકરણ કરતું થઈ જાય છે. અને જાતે અપંગ હોવાથી તેના વિકાસનો આધાર માતાપિતા ઉપર રહે છે.

આ વિચારો જે સમજુ દંપતી કરશે, તે તો કદી દંપતીસંગને વિષયવાસના સંતોષવાનું સાધન નહીં બનાવે; પણ જ્યારે તેમને સંતતિની ઈચ્છા થશે ત્યારે જ સંગ કરશે. રતિસુખ એક સ્વતંત્ર વસ્તુ છે એમ માનવામાં મને તો ઘોર અજ્ઞાન જ જણાય છે. જનનક્રિયા ઉપર સંસારની હસ્તીનો આધાર છે. સંસાર એ ઈશ્વરની લીલાનું સ્થાન છે, તેના મહિમાનું પ્રતિબિંબ છે. તેની સુવ્યવસ્થિત વૃધ્ધિને અર્થે જ રતિક્રિયા નિર્માયેલી છે એમ સમજનાર વિષયવાસનાને મહાપ્રયત્ને કરીને પણ રોકશે; અને રતિભોગને પરિણામે જે સંતતિ થાય તેની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રક્ષા કરવાને અંગે મેળવવુ જોઈએ તે જ્ઞાન મેળવશે ને તેનો ઉપયોગ પોતાની પ્રજાને આપશે.