હિંદ સ્વરાજ/સંદેશો

વિકિસ્રોતમાંથી
← ઉપોદ્ઘાત હિંદ સ્વરાજ
સંદેશો
મોહનદાસ કરમચંદ ગાંધી
હિંદ સ્વરાજ વિશે →



સંદેશો[૧]

જે સિદ્ધાંતોના સમર્થનને સારુ 'હિંદ સ્વરાજ' લખાયું હતું તે સિદ્ધાંતોને તમે જાહેરાત આપવા ધારો છો એ મને ગમે છે. મૂળ પુસ્તક મેં ગુજરાતીમાં લખેલું, ને અંગ્રેજી આવૃત્તિ એ ગુજરાતીનો અનુવાદ છે. એ પુસ્તક મારે આજે ફરી લખવાનું હોય તો હું ક્યાંક ક્યાંક તેની ભાષા બદલું. પણ એ લખ્યા પછીનાં જે ત્રીસ વરસ મેં અનેક ઝંઝાવાતોમાં પસાર કર્યાં છે. તેમાં મને એ પુસ્તકમાં દર્શાવેલા વિચારોમાં ફેરફાર કરવાનું કોઈ કારણ મળ્યું નથી. વાચક એટલું ધ્યાનમાં રાખે કે કેટલાક કાર્યકર્તાઓ, જેમાંના એક કટ્ટર અરાજકતાવાદી હતા, તેમની સાથે મારે જે વાતચીતો થયેલી તે જેવી ને તેવી મેં એ પુસ્તકમાં ઉતારેલી છે. વાચક એ પણ જાણે કે દક્ષિણ આફ્રિકાના હિંદીઓમાં જે સડો પેસવાની અણી પર હતો તે આ લખાણે અટકાવ્યો હતો. આની સામે બીજા પલ્લામાં મૂકવાને વાચક મારા એક સ્વર્ગસ્થ મિત્રનો એ અભિપ્રાય પણ જાણે કે 'આ મૂરખ માણસની કૃતિ છે.'

મોહનદાસ કરમચંદ ગાંધી

સેવાગ્રામ, ૧૪-૭-'૩૮

(અંગ્રેજી પરથી)
  1. અંગ્રેજી માસિક 'આર્યન પાથ'ના સપ્ટેમ્બર ૧૯૩૮માં પ્રસિદ્ધ થયેલા 'હિંદ સ્વરાજ અંક'ને સારુ મોકલેલો સંદેશો.