હિંદ સ્વરાજ/૧૨. હિંદુસ્તાનની દશા–દાક્તર

વિકિસ્રોતમાંથી
← ૧૧. હિંદુસ્તાનની દશા–વકીલ હિંદ સ્વરાજ
૧૨. હિંદુસ્તાનની દશા–દાક્તર
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૩. ખરો સુધારો શું? →






૧૨
હિંદુસ્તાનની દશા–(ચાલુ)


દાક્તર


वाचक :

વકીલનું તો સમજાય છે. તેઓએ સારું કર્યું છે તે માત્ર અનાયાસે, એમ પ્રતીતિ આવે છે. બાકી તેઓનો ધંધો જોતાં તો તે કનિષ્ઠ જ છે, પણ દાક્તરને પણ તમે તો સાથે ઘસડો છો. એ કેમ હશે?

अधिपति :

હું જે વિચારો તમારી આગળ રજૂ કરું છું તે અત્યારે મારા પોતાના છે, પણ તે કંઈ મેં જ કરેલા છે એમ નથી. પશ્ચિમના સુધારકો પોતે મારા કરતાં વધારે સખત શબ્દોમાં લખી ગયા છે. તેઓએ વકીલ-દાક્તરોને બહુ વખોડ્યા છે. તેમાંના એક લેખકે એક ઝેરી ઝાડ બનાવ્યું છે. તેની ડાળ વકીલ-દાક્તર વગેરે નકામા ધંધાદારીઓની કરી છે અને તે ઝાડના થડની ઉપર નીતિધર્મ રૂપ કુહાડી ઉગામી છે. અનીતિને તે બધા ધંધાનું મૂળ રૂપ આપ્યું છે. એટલે તમે સમજશો કે હું તમારી આગળ મારા ખીસામાંથી કાઢેલા નવા વિચાર નથી મૂકતો, પણ બીજાનો તેમ જ મારો અનુભવ રજૂ કરું છું.

દાક્તરના વિશે જેમ તમને મોહ છે તેમ મને પણ હતો. એક વખત એવો હતો કે જ્યારે મેં પોતે દાક્તર થવાનો ઇરાદો રાખેલો અને દાક્તર થઈ મારે કોમની સેવા કરવી એમ ધાર્યું હતું. હવે તે મોહ ગયો છે. આપણે ત્યાં વૈદ્યનો ધંધો સારા ધંધામાં ગણાયો નથી, એનું હવે મને ભાન આવ્યું છે ને હું તે વિચારની કિંમત પારખી શકું છું.

અંગ્રેજોએ દાક્તરી વિદ્યાથી પણ આપણી ઉપર કાબૂ બેસાડ્યો છે. દાક્તરોના દંભની પણ ખામી નથી. મોગલ બાદશાહને ભમાવનાર તે અંગ્રેજી તબીબ હતો. તેણે ઘરમાં કંઈ માંદગી મટાડી એટલે તેને શિરપાવ મળ્યો. અમીરની પાસે પહોંચી જનાર તે પણ દાક્તર છે.

દાક્તરે આપણને હલમાલાવી નાખ્યા છે. દાક્તરોના કરતાં ઊંટવૈદ્ય ભલા એમ કહેવાનું મન થઈ જાય છે. આપણે વિચારીએ.

દાક્તરોનું કામ શરીર સંભાળવાનું છે એમ પણ નથી. તેઓનું કામ શરીરમાં રોગ થાય તે દૂર કરવાનું છે. રોગ કેમ થાય છે? આપણી જ ગફલતથી. હું બહુ જમું, મને અજીર્ણ થાય, હું દાક્તર પાસે જાઉં, તે મને ગોળી આપે. હું સાજો થાઉં, પાછો ખૂબ ખાઉં ને પાછો ગોળી લ‌ઉં. આમાં બન્યું છે તે આ છે. જો હું ગોળી ન લેત, તો અજીર્ણની સજા ભોગવત અને ફરી પાછો હદ ઉપરાંત ન જમત. દાક્તર વચમાં આવ્યો ને તેણે મને હદ ઉપરાંત ખાવામાં મદદ કરી. તેથી મને શરીરમાં આરામ તો થયો, પણ મારું મન નબળું થયું. આમ ચાલતાં છેવટે મારી સ્થિતિ એવી થાય કે મારા મનની ઉપર હું જરાયે કાબૂ ન રાખી શકું.

મેં વિષય કર્યો. હું માંદો પડ્યો, મને દાક્તરે દવા આપી, હું સાજો થયો. હું ફરી વિષય નહીં કરું? કરીશ જ. જો દાક્તર વચ્ચે ન આવત તો કુદરત પોતાનું કામ રત, મારું મન દૃઢ થાત ને હું અંતે નિર્વિષયી થઈ સુખી થાત.

ઈસ્પિતાલો એ પાપની જડ છે. તેનાથી માણસો શરીરનું જતન ઓછું કરે છે અને અનીતિ વધારે કરે છે.

યુરોપી દાક્તરો હદ વાળે છે. તેઓ માત્ર શરીરના જ ખોટા જતનને ખાતર લાખો જીવોને દર વરસે મારે છે, જીવતા જીવ ઉપર અખતરા કરે છે. આવું એક પણ ધર્મને કબૂલ નથી. હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી બધા કહે છે કે માણસના શરીરને સારુ આટલા જીવો મારવાની જરૂર નથી.

દાક્તરો આપણને ધર્મભ્રષ્ટ કરે છે. તેઓની ઘણીખરી દવામાં ચરબી અથવા દારૂ હોય છે. આ બંનેમાંથી એક પણ વસ્તુ હિંદુ-મુસલમાનને ખપે તેવી નથી. આપણે સુધરેલાનો ડોળ કરી, બધાઓને વહેમી ગણી સ્વચ્છંદે ગમે તેમ કર્યા કરીએ તે જુદી વાત છે, પણ દાક્તરો ઉપર પ્રમાણે કરે છે એ ચોખ્ખી ને સીધી વાત છે.

આનું પરિણામ એ આવ્યું છે કે આપણે નમાલા અને નામર્દ બનીએ છીએ. આવી સ્થિતિમાં આપણે લોકસેવા કરવાને લાયક નથી રહેતા અને આપણે શરીરહીન તથા બુદ્ધિહીન થતા જઈએ છીએ. અંગ્રેજી કે યુરોપી દાક્તરી શીખવી તે માત્ર ગુલામીની ગાંઠ મજબૂત કરવાને ખાતર છે.

આપણે દાક્તર કેમ થઈએ છીએ એ પણ વિચારવાનું છે. તેનું ખરું કારણ તો આબરુદાર અને પૈસા કમાવાનો ધંધો કરવાનું છે; પરોપકારની વાત નથી. તે ધંધામાં પરોપકાર નથી એ તો હું બતાવી ગયો. તેથી લોકોને નુકસાન છે. દાક્તરો માત્ર આડંબરથી લોકોની પાસેથી મોટી ફી લે છે અને તેઓની દવા જે એક પાઈની કિંમતની હોય છે તેના તેઓ રૂપિયા લે છે. આમ વિશ્વાસમાં ને સારા થવાની આશામાં લોકો ઠગાય છે. આવું જ છે ત્યારે ભલાઈનો ડોળ ઘાલનાર દાક્તરો કરતાં દેખીતા ઠગવૈદ સારા ગણાય.