અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં

વિકિસ્રોતમાંથી
ગંગાસતીના ભજનો
અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં
ગંગાસતી



અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં


અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં
ને ન રહેવું ભેદવાદીની સાથ રે
કાયમ રહેવું એકાંતમાં
ને માથે સદગુરુજીનો હાથ રે ... અભ્યાસ જાગ્યા પછી
તીરથ વ્રત પછી કરવા નહીં
ને ન કરવા સદગુરુના કરમ રે,
એવી રે ખટપટ છોડી દેવી
જ્યારે જણાય માંહ્યલાનો મરમ ... અભ્યાસ જાગ્યા પછી
હરિમય જ્યારે આ જગતને જાણ્યું
ત્યારે પ્રપંચથી રહેવું દુર રે,
મોહ સઘળો પછી છોડી દેવો
ને હરિને ભાળવા ભરપૂર રે ... અભ્યાસ જાગ્યા પછી
મંડપ ને મેળા પછી કરવા નહીં
એ છે અધૂરિયાનાં કામ રે,
ગંગા સતી એમ બોલિયા પાનબાઈ
ભાળવા હોય પરિપૂર્ણ રામ રે .... અભ્યાસ જાગ્યા પછી