કલ્યાણિકા/ઉરની ભરતી

વિકિસ્રોતમાંથી
← મનબંધન કલ્યાણિકા
ઉરની ભરતી
અરદેશર ખબરદાર
માયાની લગની →





ઉરની ભરતી

• રાગ આસાવરી — તાલ ત્રિતાલ •


કેમ રમાડું મનમાં, હરિ ! તને કેમ રમાડું મનમાં ?
ફાંસ પડી જીવનમાં, હરિ ! તને કેમ રમાડું મનમાં ? -(ધ્રુવ)


માયા માયા રમી રહી છે
તનમનમાં ખૂબ તાને;
એક તસુ પણ દિસે ન ખાલી,
રમવા ઘડી તુજ ગાને !
હરિ ! તને કેમ રમાડું મનમાં ? ૧

પ્રેમપાત્ર થઇને જે પેઠી,
તે જીવન લઈ બેઠી !
મનમિનારે ચિત્ર ચિતારે,
કેમ ઉતારું હેઠી ?
હરિ ! તને કેમ રમાડું મનમાં ? ૨


મનમાં માયા, માયામાં મન :
વસમી એજ ઉપાધિ;
શોધી રહું સુખના દેશો, પણ
દુખખડકે જઉં લાધી !
હરિ ! તને કેમ રમાડું મનમાં ? ૩

નામ રૂપની વ્યાખ્યા કરવા
તું આવ્યો હું રૂપે :
નામ રૂપ સૌ જ ઈ બંધાયાં
મનને માયાકૂપે !
હરિ ! તને કેમ રમાડું મનમાં ? ૪

ઉરની ભરતી ભવ્ય ચઢાવું,
તાન ભરું તુજ તનમાં;
માયા હઠતી જાય અદ્દલ ત્યાં
હરિ હરિ રમી રહે મનમાં !
હરિ ! તને કેમ રમાડું મનમાં  ? ૫