કલ્યાણિકા/દિશાસૂચન

વિકિસ્રોતમાંથી
← સત્યની શોધ કલ્યાણિકા
દિશાસૂચન
અરદેશર ખબરદાર
પ્રભુની સ્નેહઠગાઈ →




દિશાસૂચન

· રાગ ઠુમરી - તાલ ત્રિતાલ*[૧]·

સંત વિના કોણ બતાવે પ્રભુપંથ ?
લાખ ભલે પઢો ગ્રંથ :
સંત વિના કોણ બતાવે પ્રભુપંથ ? - (ધ્રુવ)

સૂર્ય મધ્યાહ્‍ને આવીને થંભે,
થંભે જ્યોતિનિશાન :
પૂર્વ ભણ્યા વિણ દિશ સૂઝે નહીં ;
ક્યાંથી ઊગે ઉર જ્ઞાન ?
સંત વિના કોણ બતાવે પ્રભુપંથ ? ૧

સાગર દોડે મળવા સરિતને,
સરિત મળવા પહાડ;
પહાડ ઊઠે પાતાળ પકડવા,
પણ બધે ઊભી આડ :
સંત વિના કોણ બતાવે પ્રભુપંથ ? ૨


પવન આવે, ડાલ હલાવે,
પુષ્પ કરે મૃદુ નૃત્ય ;
પુષ્પે પતંગિયું બેઠું ત્યાં ડોલે,
શું જાણે એ સત્ય ?
સંત વિના કોણ બતાવે પ્રભુપંથ ? ૩

તિમિર ચળકે, પૃથ્વી પીગળે,
સાગર ઘન થઈ જાય :
લાખ દિશાનાં, લાખ નયનનાં,
પડ આ ઊતરે ક્યાંય ?
સંત વિના કોણ બતાવે પ્રભુપંથ ? ૪

ગગને બલુન રહ્યું બાથ ન આવે,
તોય વીંધી દે સોય :
એક જ શબ્દે, એક જ સાને,
અંધ નયન પથ જોય !
સંત વિના કોણ બતાવે પ્રભુપંથ ? ૫

વાદળ ઘેરાં ગગનને,
ઘોર બને અંધાર :
સૂર્ય વિના તો કોણ કરે ત્યાં
અદ્‍ભૂત ધનઝલકાર ?
સંત વિના કોણ બતાવે પ્રભુપંથ ? ૬

  1. * "કંથ બિન રહી અકેલી મોરી જાન." - એ રાહ.