કલ્યાણિકા/પ્રણવશક્તિ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
-૦-
← અજવાળિયાં | કલ્યાણિકા પ્રણવશક્તિ અરદેશર ખબરદાર |
વલોણું → |
ઓમ વિના નથી આરો રે,
સમજ મનવા !
ઓમ વિના નથી આરો ! - (ધ્રુવ)
નાથ દયાસાગર અમી કેરો,
ગૂઢ સુણાવે શબ્દ અનેરો :
એ વિણ ભવસાગર ખારો, ખારો, ખારો રે :
સમજ મનવા !
ઓમ વિના નથી આરો ! - ઓમ૦ ૧
તનતંબૂરે લે તક સાધી,
તાર ત્રિવિધ એના ત્યાં બાંધી !
છેડી જો પછી એ તારો, તારો, તારો રે !
સમજ મનવા !
ઓમ વિના નથી આરો ! - ઓમ૦ ૨
દિગંત દે અંતરની ખોલી,
અનંતતાની સુણી લે બોલી !
એનો રવ છે કંઈ ન્યારો, ન્યારો, ન્યારો રે !
સમજ મનવા !
ઓમ વિના નથી આરો ! - ઓમ૦ ૩
સ્વર સ્વરથી સ્વર્ગો ઊઘડશે,
પ્રભુસિંહાસન નજરે પડશે :
જડશે ફરી ક્યાં એ વારો, વારો, વારો રે ?
સમજ મનવા !
ઓમ વિના નથી આરો ! - ઓમ૦ ૪
નોંધ
- ↑ " દાસ પરે દયા લાવો રે, " એ રાહ.