કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/કુવલયા

વિકિસ્રોતમાંથી
← ક્ષેમા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
કુવલયા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
શુક્લા →


१८–कुवलया

ક વખત ‘ગિરિ બંધુ સંગમ’ ના દિવસે શ્રાવસ્તી નગરીમાં એક મોટી ઉજાણી થઈ રહી હતી. એ વખતે દૂર દેશાવરથી સ્ત્રીપુરુષો આવીને શ્રાવસ્તી નગરીમાં એકઠાં થયાં હતાં. એ પ્રસંગે દક્ષિણાપથમાંથી એક વારાંગના પણ ત્યાં આવી હતી. તેનું નામ કુવલયા હતું. તેણે આવીને ભરી સભામાં પૂછ્યું: “મારા સૌંદર્યનું આકર્ષણ રોકી શકે એવો કોઈ પુરુષ આ નગરમાં છે ?”

કુવલયા ખરેખરી અપ્સરા જેવી સુંદર હતી. તેના સૌંદર્યની જાળમાં અનેક પુરુષો ફસાઈને પાયમાલ થઈ ચૂક્યા હતા, એટલે તેના મુખમાંથી આવા અહંકાર સૂચક શબ્દો નીકળે એ સ્વાભાવિક હતું.

એ મેળામાં આવેલા એક પુરુષે જવાબ આપ્યો: “ હા, ગૌતમ નામનો એક શ્રમણ છે.”

એ વાત સાંભળતાંજ કુવલયા જેતવનમાં ગઈ. ત્યાં આગળ બુદ્ધદેવ તપસ્યા કરી રહ્યા હતા. બુદ્ધદેવની સન્મુખ જઈને તેણે પોતાનું સૌંદર્ય બતાવીને વેશ્યાને છાજે એવા નાચનખરાં કરીને બુદ્ધદેવના ચિત્તનું આકર્ષણ કરવાનો પ્રયત્ન કર્યો; પરંતુ જેવું કુવલયાનું શારીરિક સૌંદયઅનુપમ હતું, તેવુંજ બુદ્ધદેવનું આધ્યાત્મિક સૌંદર્ય પણ અનુપમ હતું. એમ કહેવાય છે કે બુદ્ધદેવની અમાનુષી શક્તિના પ્રભાવથી કુવલયાનું સૌંદર્ય એકદમ નષ્ટ થઈ ગયું. રૂપલાવણ્યવતી અને ભરજુવાનીમાં મસ્ત બનેલી એ યુવતી એકદમ એંસી વર્ષની બુઢ્ઢી બની ગઈ. તેના શરીર ઉપર કરચલિયો વળી ગઈ, મોં કદ્રૂપું થઈ ગયું. બુદ્ધ ભગવાન જેવા પુણ્યાત્મા મનુષ્યના સંસર્ગમાં આવતાં વારજ એ નર્તકીને પોતાના પાછલાં પાપકર્મોનો પશ્ચાત્તાપ થવા લાગ્યો. એ પશ્ચાતાપની વેદનાથી તેનું હૃદય વીંધાઈ જવા લાગ્યું. તેણે તરતજ બુદ્ધદેવના ચરણમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા તથા પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત્ત સૂચવવાની વિનંતિ કરી. તેનું હૃદય શાંતિ મેળવવા ઉત્સુક બન્યું.

બુદ્ધદેવ ખરેખરા ભક્તવત્સલ હતા. પરમ પતિતપાવન મહાત્મા હતા. બુદ્ધદેવે તેના ઉપર ઘણી દયા આણીને જાતે તેને શિક્ષણ અને ઉપદેશ આપવાનું આરંભ કર્યું. બુદ્ધદેવના ઉપદેશથી તેનું ચરિત્ર બિલકુલ સુધરી ગયું તથા તેમના શિક્ષણથી થોડા સમયમાં એ પરમ વિદુષી બની ગઈ. પાછળથી બૌદ્ધપરિવ્રાજિકા તરીકે જનસેવા કરીને તેણે સારી ખ્યાતિ મેળવી હતી.