વૈશાલી નગરમાં લિચ્છવીના રાજકુટુંબમાં એનો જન્મ થયો હતો. બુદ્ધ ભગવાનનો ઉપદેશ સાંભળીને તેણે અર્હત્પદ પ્રાપ્ત કર્યું હતું. પોતે રચેલી ગાથામાં એ જણાવે છે કે, “જે જે સાધનો દ્વારા, જે જે માર્ગથી મનુષ્ય પરમ નિર્વાણને પ્રાપ્ત કરે છે, તે તે બધાં સાધનો અને માર્ગો મેં બુદ્ધ ભગવાનના આદેશથી પ્રાપ્ત કર્યા છે. એ ઉપદેશથી હું જીવનની અસારતા સમજી શકી છું. આજ જન્મમરણનો ધ્વંસ થયો છે; હવે મારો પુનર્જન્મ થશે નહિ.”
મનની એકાગ્રતા, જિજ્ઞાસા, ઉદ્યોગ, આનંદ, પ્રશાંતતા, સમાધિ અને અટળતા એ સાત ગુણની સમષ્ટિ જયંતીએ પ્રાપ્ત કરી હતી એમ એણે રચેલી ગાથા ઉપરથી સમજી શકાય છે.