ગંગાબાઈ જમનાબાઈની વાત/પહેલો દાખલો

વિકિસ્રોતમાંથી
← પહેલો દાખલો ગંગાબાઈ જમનાબાઈની વાત
પ્રકરણનું નામ
દલપતરામ
બીજો દાખલો →



ગંગાબાઈ અને જમનાબાઈની વાત


આ વાર્તામાં ભોળાં માણસને સારી, તથા નરસી , સોબતની અસર વેહેલી થવાનો દાખલો છે.

દોહરો
ભોળા જન વિદ્યા ભણી, વેહેમ તજી વખણાય;
વેહેમીના સહવાસથી , વળિ તે વેહેમી થાય. ૧

એક શહેરમાં ઘણી વખણાયેલી ઉત્તમ નિશાળ હતી; તેમાં દુર્ગારામ મંછારામ જેવો વૃદ્ધ મેહેતાજી સઉને સારો અભ્યાસા કરાવતો હતો. નિશાળના એક ખંડમાં છોકરા ભણવા બેસતા હતા. બીજા ખંડમાં છોડીઓ, અને ત્રીજા ખંડમાં મોટી ઉમરની બાઈઓનો વર્ગ બેસતો હતો. અને દરરોજ ચાર વાગ્યા પછી છેલીવારે ભાષણ કરીને બોધ કરતો હતો, કે જેથી સહુના મનમાંથી છુમંત્ર વગેરેના વહેમો મટી જતા હતા. અને જેમ સુતાર વાંકાચુંકા અણઘડ લાકડાંને સુધારીને સુઘડ કરે, અને રોગાનના રસથી ચળકતાં કરે, તેમાં વગર કેળવણીવાળાં માણસોનાં વાંકાં અને અણઘડ અંત:કરણોને સુઘડ કરતો હતો. તથા ચોપડીમાંહિના નવરસથી ચળકતાં કરતો હતો.

નિશાળ અથવા સુતારની શાળા વિષે
મનહર છંદ
ઘડાતાં ઘડાતાં અણઘડ જ્યાં સુઘડ થાય,
કઠણનાં કાળ જ્યાં અભેદ તે ભેદાય છે;
વાંકાં માટી શીધાં થાય, મલીનતા મટી જાય,
ચોપડીને રસે તે ચળકતાં કરાય છે;
જુદી જુદી જાત એકબીજાથી જોડાઈ જાય,
અને જુઓ ખૂબ એના અંગમાં ખીલાય છે; [૧]
રથઘડા બીજે ઠામ રહે દલપતરામ,
આતો શાળા અરથ ઘડાની ઓળખાય છે. ૨ [૨]

તે નિશાળમાં જુદા જુદા વાણીઆની બે દીકરીઓ ભણતી હતી, તેમાં એકનું નામ ગંગાબાઈ અને બીજીનું નામ જમાનાબાઈ હતું, તે જમાનાબાઈ જાતે ભોળા સ્વભાવની હતી. તે બંને જાણીઓએ સારી પઢે સરખો અભ્યાસ કર્યો, પણ ગંગાબાઈને વધારે વિદ્યાનો અનુભવ થયો. અને ઉમરા લાયક થતાં દેવનગરી નામના શેહેરનો રહેવાસી વર લાયક તેને મળ્યો. તે ગંગાબાઈ પરણીને સાસરે ચાલી, ત્યાં રસ્તામાં એક ગામને પાદર બપોરા કરવા બેઠાં હતાં; એવામાં એક ભાંગીઆઓનું ટોળું પોતાના ઉચાળા સુધાં આવ્યું. ત્યારે ગંગાબાઈએ પુછ્યું કે તમે ક્યાંથી આવ્યા , અને ક્યાં જશો ? ભંગીઆએ કહ્યું કે, અમે પશ્ચિમ દેશમાંથી આવ્યાં, અને પૂર્વ ગુજરાતમાં કોઈ સારા ગામમાં જ્યાં સારા રાજાનું રાજ્ય હશે ત્યાં જઈને રહેશું.

ગંગાબાઈ – તમારે પોતાનું વતન કેમાં છોડવું પડ્યું ?

ભંગીયા – અમારા દેશમાં કોગળીઆનો ઉપદ્રવ ચાલ્યો. તેથી ત્યાંના કરભારીએ અમારા ઉપર દોષ મુક્યો કે તમે મંત્રજંત્ર કરી કોગળિયું ચલાવ્યું છે. એમ કહીને અમને ફટકા માર્યા, અને ગામમાંથી જાકારો દીધો એમ કહીને વાંસામાં ફટકાના સળ ઉઠેલા તે દેખાડયા.

ગંગાબાઈ – અરે દૈવ, સુધરેલા રાજ્યથી વિદ્યાનો ફેલાવ થયા છતાં આવા બેવકુબ કારભારીઓ દેશમાં હજી છે ખરા !! એમ કહીને એક કવિત બોલી.

મનહર છંદ.

કોગળિયું ચાલ્યું તે તો ભંગીએ ચલાવ્યું કહે,
મોટા તો મૂર્ખ કારભારિયો કુઢંગિયા;
વાંક વિના ભંગીઆને મારીને ભગાડી મુકે,
પશુ જેવા પોતે કાંતો વડા છે વિહંગિયા,[૩]
સંહરવા શત્રુ શસ્ત્ર પોતાને સજાવાં પડે,
શસ્ત્ર વિના શત્રુ મારે ભંગિયા કે ફંગિયા;
સર્વ કારભાર એનો ભંગિયાને સોંપો ભાઈ,
ભોળા કારભારિયોથી ભલા ડાહ્યા ભંગિયા. ૩

પછી તે બાઈ પોતાને સાસરે દેવનગરી શેહેરમાં ગઈ. અને સ્વામીને, સાસુને, સસરાને, તથા બીજા લોકોને શી રીતે વશ કરવા ? તે વિષેનું એક કવિનું રચેલું પુસ્તક, તેણે વાંચ્યું હતું; તેમાં લખ્યા પ્રમાણે વિનયનાં વાક્યો, મધુર ભાષણ, યોગ્ય તાબેદારી વગેરે ગુણોથી તેણે સર્વને વશ કર્યાં. કેટલાએક મહિના ગયા પછી, પેલી જમનાબાઈનાં લગ્ન પણ દેવનગરીમાં થયાં, અને તેના સાસરાનું ઘર ગંગાબાઈના મેહેલામાં હતું. તેથી જમનાબાઈ પરણીને ગયાં પછી ગંગાબાઈ સાથે તેની પ્રીતિ તાજી થઈ. બંને જણીઓ વિદ્યાની ચરચા કરીને આનંદમાં દહાડા કાઢતી હતી. એક સમે જમનાબાઈએ ગંગાબાઈને પુછ્યું કે ધણી શી રીતે વશ થાય ? ત્યારે ગંગાબાઈએ કહ્યું કે,

મનહર છંદ.

સ્વામી વશ થતો નથી સોળ શણગાર સજે,
સ્વામી વશ થતો નથી અંગતણા રંગથી;
સ્વામી વશ થતો નથી પીયરના પૈસા થકી;
સ્વામી વશ થતો નથી સદા અંગસંગથી,
સ્વામી વશ થતો નથી પુત્રનો પ્રસવ થયે,
સ્વામી વશ થતો નથી ધૂર્ત જેવા ઢંગથી;
કામનીને વશ કંથે થાય દલપત કહે,
પ્રેમ ઉર આણી પાળ્યે આગના ઉમંગથી. ૪

"જ્ઞાનીને તો કરે વશ જ્ઞાનની ગાથાઓ ગાઈ,
માનીને તો કરે વશ નોત્ય નમ્રતાઈથી;
કૃપણને કરે વશ કરીને કસર કાંઈ,
ક્રોધીને તો કરે વશ ખામુંખા ક્ષમાઈથી;
મૂરખને કરે વશ મીઠી મીઠી વાતો કહી,
ફૂલણને કરે વશ ફૂલવા ફૂલાઈથી;
કહે દલપતરામ કામની ચતુર,
કંથ ચતુરને કરે વશ ચિત્ત ચતુરાઈથી." ૫

અગાઉથી વરનો સ્વભાવ ઓળખી પરખીને પછી પરણે, તેને ઝાઝી ફીકર નથી. પણ દેશના ચાલ પ્રમાણે અજાણ્યા વર સાથે લગ્ન થાય, તેને ઘણી ફીકર રાખવી પડે છે. માટે હરેક રીતે સ્વામીની મરજી સાચવીને તેની સાથે જીવ મેળવે તે જ ડાહી, અને તે જ સારા કુળની, તે જ ભણેલી, અને તે જ સંસારમાં સુખ તથા કીર્તિ પામે છે. અને એક વાર જીવ મળ્યો, એટલે પછી તેને જેમ વાળીએ તેમ વળે. એવી શિખામણ સાંભળીને જમનાબાઈએ પણ પોતાનાં સાસરીઆંની પ્રીતિ મેળવી.

એક સમે ગંગાબાઈએ જમનાબાઈને કહ્યું કે, અહીં એક કન્યાશાળા છે; તેમાં ભણાવનારી એક બાઈ છે. અને તેના હાથ નીચે આશીસ્ટન પણ બાઈઓ જ છે, તે નિશાળ જોવા જવાની મારી ઘણી મરજી છે. માટે તમે આવો તો આપણે બંને સાથે જઈએ. જમનાબાઈએ તે વાત કબુલ કરી. અને પોત પોતાની સાસુઓને કહી નિશાળ જોવા ગઈઓ. તે સમે છોડીઓના ઉપલા વર્ગમાં કવિતાનો પાઠ ચાલતો હતો. શિક્ષકબાઈએ આગલે દહાડે વર્ગમાં કહ્યું હતું કે જેને જેવું આવડે એવું ખુરશી વિષે એક એક કવિત સઉ કરી લાવજો. તેથી સઉ કરી લાવેલી હતી, તે શિક્ષકબાઈ તપાશી જોતી હતી. તેમાં સઉથી સરસ કવિત એકજણી કરી લાવી હતી, તે નીચે મુજબ.

ખુરશી વિષે. મનહર છંદ.

નેતરવાળી છે પણ એ કદી અનાજમાંથી,
કાંકરા ન કાઢે કે ન ઠાઠ માઠ ઠામની;
પગસાજા સારા પણ પતિને ન પાણી પાય,
ભુજાછતાં ભોજન ન ભુંજે આપે ભામની;
પ્રજા તો પ્રસવે નહિ જેથી વંશ વૃદ્ધિ થાય,
નાજુક દેખાય નેં લેખાય નારી નામની;
નાણુ નાંખી એવી લાવી રાખી દલપતરામ,
કેવળ કજાત ઘર શોભવાના કામની. ૬

એ કવિત સાંભળીને ગંગાબાઈ તથા જમનાબાઈ તો દંગ થઈ ગયાં. અને તેઓના શરીરમાં આનંદના ઉકરાંટા આવ્યા. અને એવું મનમાં આવ્યું કે જાણે આ વખતે આના અમારા દાગીના ઉતારીને બખશીશ કરીએ તોપણ કામી જ હિસાબમાં નથી.

પછી જમનાબાઈને એવો સંશય આવ્યો કે, આ શહેરમાં કોઈ કવિ હશે તેની પાસેથી આ બાઈ આ કવિતા કરાવી લાવી હશે. તેથી કહ્યું કે આ વખતે હું કહું તે ઉપર અહીં બેશીને કવિતા રચે તો ઘણું સારૂં. જેવી બની શકે તેવી કરે તેની કોઈ ફીકર નહિ. શોઇક્ષકબાઈએ કહ્યું કે ઠીક છે એમ કરો. અને તમારી મરજીમાં આવે તે વિષે કવિતા રચાવો.

જમનાબાઈએ જાણ્યું કે નિશાળમાં જે જે ચીજો છે, તેનું વરણન કદાપિ તેના ધ્યાનમાં હોય, માટે કશી બીજી વસ્તુ વિષે કહું તો ઠીક. એવું ધારીને નિશાળની બારીએથી બહાર નજર કરી. ત્યાં કોઇને ઘેર જમણ વાર હતી માટે ત્યાં તાંબાના મોટા ચરૂમાં ભાત રંધાતો હતો. તેમાં કડછો હતો અને સળગતા ચુલા ઉપર તે ચરૂ હતો. તે જોઈને ઉપલા વર્ગની બધી છોડીઓને કહ્યું કે આ ચરૂ વિષે એક એક કવિત સઉ બનાવો. પછી તે બધી છોડીઓએ અરધા કલાકની અંદર એક એક કવિત રચ્યું. તેમાં પણ જે છોડીએ ખુરશી વિષે કવિત રચ્યું હતું તેનું જ રચેલું કવિત સઉનાથી સરસ જોવામાં આવ્યું તે નીચે લખ્યું છે.

ચરૂ વિષે. મનહર છંદ.

ગાત્ર રૂડાં રાતે રંગ, ભુંશેલી વિભૂતી અંગ.
સળગતી ધુણી સંગ તેવો તપધારી છે;
કોઈ લઈ જાય તો ત્યાં જાય, ખવરાવ્યું ખાય,
નહિ તો સદાય સ્થિર રહે નિરાહારી છે;
છુટી જીભ છે તથાપિ મુનીવ્રત રાખે મુખ,

કુંડળ છે જોડ કાને નોળી [૪] ક્રિયાકારી છે;
એણે ઓકી કાઢેલું તે આરોગે અમીર લોક.
કહે દલપત બાવો બાળ બ્રહ્મચારી છે. ૭

એ કવિત વાંચીને જમનાબાઈની, તથા ગંગાબાઈની ખાતરી થઈ, કે ખુરશી વિષેનું કવિત પણ તેનું જ બનાવેલું ખરૂં. પછી ગંગાબાઈએ કહ્યું કે હવે બીજી રીતે અમારી ખાતરી થવી જોઈએ. શિક્ષકબાઈએ કહ્યું કે તમારી મરજીમાં આવે એવી રીતે પરીક્ષા લેઈને ખાતરી કરો. ગંગાબાઈએ કહ્યું કે એક કવિતનું ફક્ત અરધું ચરણ હું લખી આપું. તે કવિતમાં સઉથી છેલું આવવું જોઈએ. એમ કહી નીચે લખેલું અરધું ચરણ લખ્યું.

રઘુપતિ રામ નથી જો એતો હજામ છે

પછી ઉપલા વર્ગની બધી છોડીઓને એ કવિત પુરૂં કરવાનું કહ્યું. તે પણ એક કલાકની અંદર સઉએ જુદી જુદી રીતે કવિત પુરૂં કર્યું. તેમાં પણ પેલી બાઈનું રચેલું જ સઉથી સરસ થયું તે નીચે પ્રમાણે.


હજામ વિષે. મનહર છંદ.

ચાપ [૫] નથી ચીપીયો છે, નથી બાણ નરેણી છે,
ભાથો નથી ભાળ નકી કોથળી જ નામ છે;
ઉજ્વળ છે અસ્ત્રો શત્રુ કાપવાને કાજ નહિ,
શિરોરૂહ [૬] કાપવાનું સદા એનું કામ છે;
સૂરજમુખી નથી શોભિતું દેખ દર્પણ છે,
ઢળકતી ઢાલ નથી ચળકતું ચામ [૭] છે;
નથી મૃગછાળા છે રૂમાલ દલપતરામ,
રઘુપતિ રામ નથી જો એતો હજામ છે. ૮

એ કવિતથી તો તે બંને જણીઓ અત્યંત અચરજ પામીઓ. અને સો સો રુપૈયાની એક એક સોનાની કંઠી પોતાની કોટમાંથી કાઢીને બખશીશ આપી. ગંગાબાઈએ શિક્ષકબાઈને પૂછ્યું, કે આ બાઈ નું નામ શું છે?

શિક્ષક - એનું નામ ગૌરીબાઈ છે.

ગંગાબાઈ - ગૌરબાઈ, તમે કોઈ સમે મારે ઘર આવશો તો હું તમને કવિતાની સારી સારી ચોપડીઓ મારી પાસે છે તે દેખાડીશ.

ગૌવરીબાઈ - આપને કેઈ વખતે ફુરસદ હશે ? તે કહેશો તો હું આપને ઘેર આવીશ.

ગંગાબાઈ - હું તમને ચીઠી લખી જણાવીશ, તે સમે મેહેરબાની કરીને કરીને આવજો. ગૌરીબાઈ - વારૂં સાહેબ, હું આપ લખશો ત્યારે હાજર થઈશ.

પછી ગંગાબાઈએ તથા જમનાબાઈએ, લખાણ, વંચાણ, હિસાબ, ઇતિહાસ , ભૂગોળ, ખગોળ અને વ્યાકરણ વગેરેમાં ઉપલા વર્ગની તથા બીજા વર્ગોની થોડી થોડી પરીક્ષા લીધી અને છોડીઓનો અભ્યાસ જોઈને ઘણો સંતોષ ઉપજ્યો. પછી રજા માગીને તે બંને જણીઓ પોતાને ઘેર ગઈઓ. ગંગાબાઈએ પોતાના સ્વામી આગળ વાત કરી કે, આજ તો હું અને જમનાબાઈ, નિશાળે ગયાં હતાં. ત્યાંની છોડીઓની અમે પરીક્ષા લીધી. અને કેટલીએક છોડીઓનો અભ્યાસ જોઈને અતિ આનંદ ઉપજ્યો. તેમાં એક ગૌરીબાઈ નામે તેર ચૌદ વર્ષની છોડી છે, તેણે લખાણ, વંચાણ, હિસાબ, વ્યાકરણ તથા ભૂગોળવિદ્યા વગેરેની પરીક્ષા તો સાધારણ આપી, પણ તેનો કવિતા રચવાનો અભ્યાસ જોઈને અમને અચરજ જેવો લાગ્યો. અને અમારાં મન પીંગળી ગયા, તેથી અમારી કોટમાંથી એકે એક સોનાની કંઠી અમે એને બખશીશ આપી.

ગંગાબાઈના વરનું નામ નરોત્તમદાસ હતું. તે બોલ્યો કે,

નરોત્તમ - તે ગૌરીબાઈને એક દિવસ આપણે ઘેર બોલાવો તો સારૂં.

ગંગાબાઈ - તેણે મને કહ્યું છે કે મને ચીઠી લખશો ત્યારે હું તમારે ઘેર આવીશ. માટે આવતે રવિવારે પાછલા પહોરે આપણે ઘેર બાઈઓની એક ખાનગી સભા ભરવી છે. અને જમનાબાઈ , તથા તેમની સાસુ, નણંદ તથા આપણા પડોસની બીજી કેટલીક બાઈઓને હું બોલાવીશ. પછી ગૌરીબાઈ પાસે કવિતા બોલાવીશું. એને ઘણાં કવિત મોઢે આવડે છે. અને ગીત, ગરબીઓ પણ આવડે છે. અને હું જાણું છું કે તે જોઈ તમારાં માજી પણ રાજી થશે.

નરોત્તમ- ઠીક છે એ પ્રમણે કરજો, અને હું પણ સાંભળવા બેશીશ.

પછી ગંગાબાઈએ પોતાની સાસુને વાત કરી, તેમને પણ એ વાત ગમી. પછી ગૌરીબાઈને એક ચીઠી લખી કે આવતે રવિવારે દિવસના બાર ઉપર ચાર વાગતાં મારે ઘેર ખાનગી સભા તમારી કવિતા સાંભળવા સારૂ ભરીશ, માટે તે વખતે મહેરબાની કરીને પધારવું. ગૌરીબાઈએ જવાબમાં લખ્યું કે હું તે વખતે આવીશ. પછી રવિવાર આવ્યો. એટલે જમનાબાઈનાં ઘરનાં સર્વેને, તથા પોતાના પડોસની કેટલીએક બાઈઓને સભામાં આવવાનું નિમંત્રણ કર્યું. તે સઉને એટલી તો કવિતા સાંભળવાની આતુરતા હતી કે, બપોરથી આવીને સઉ બેઠાં. અને વારે વારે ઘડીયાળ તપાસે, કે હવે ચાર ક્યારે વાગશે ? બાર ઉપર બે વાગ્યા એટલે સઉ ગંગાબાઈને કહેવા લાગ્યાં, કે હવે ગૌરીબાઈને બોલાવવા સારૂ કોઈને મોકલો. હવે બે કલાક થઈ જતાં કાંઈ વાર નહિ લાગે. બે ઉપર દશ મિન્યુટ તો થઈ ગયા છે.

ગંગાબાઈ - હજી ઘણીવાર છે. વેલા થશે ત્યારે કોઈને બોલાવવા મોકલીશ. એ રીતે પા, પા કલાકે ગૌરીબાઈને તેડાવવાનું કેટલી એક બાઈઓ આવી આવીને કહેવા લાગી. ત્યારે સાડા ત્રણ વાગતાં ગંગાબાઈએ ચીઠી લખી મોકલી. ચાર વાગવામાં ૧૦ મિન્યુટ ઓછા રહ્યા, ત્યાં ગૌરીબાઈ પોતાની ચાર પાંચ બહેનપણી સાથે લઈને ગંગાબાઈને ઘેર આવી. પછી ગંગાબાઈની સાસુએ હિસાબ વ્યાકરણ વિષે કેટલાએક પ્રશ્ન પુછ્યા, તેના ઉત્તર ગૌરીબાઈએ બરાબર આપ્યા. પછી ગીત, ગરબીઓ, તથા પદ ગવરાવ્યાં. પછી કવિત રચવાની વાત ચલાવી.

ગંગાબાઈ - પોતાની સાસુને કહે છે કે, આપની મરજીમાં આવે તે વિષે કવિઅ રચવાનું ફરમાવો, તો થોડી વારમાં ગૌરીબાઈ રચી આપશે.

સાસુજી - આ મોટો લાંબો પંખો અધર ટાંગેલો છે, કે જેની દોરી ખેંચવાથી આખા દીવાનખાનામાં બેઠેલા લોકોને પવવ પહોંચે છે. તે પંખા વિશે કવિતા રચી આપો.

પછી ગૌરીબાઈને સિલેટ અને પેન આપી. થોડીવારમાં તેણે કવિત તૈયાર કર્યું તેમાં નામ બીજા કવિનું નાખ્યું. તે કવિત નીચે મુજબ.

પંખવા વિષે. મનહર છંદ.

સીતા માટે સંગરામ રામના રિપુથી કર્યો,
જટાયુની જ્યાં અવધ આવી રહી આયુની;
પાંખો તોડી પાપીએ આકાશમાં ઉડાડી દીધી,
તે ફરે છે પ્રકૃતિ સુધારવા પ'રાયુની [૮];
ભાગ્યશાળી ભોગીના ભવનમાં ભરાઈ ભાઈ,
તાપ ટાળે વારે વારે કરે વૃષ્ટિ વાયુની;
એજ દીસે છે આ ઠામ કહે દલપતરામ,
પંખવો નથી આ પાંખ જુઓ રે જટાયુની. ૯

પછી જમનાં બાઈની નણંદે પોતાની ધૂપેલ ઘાલવાની ઉંચામાં ઊંચી જાતના સોનાની કટોરી દેખાડી; તે સારા ઘાટની, અને તેના સોનાનો રંગ પીળો નેં રાતો મળેલો હોય એવો ગોરો હતો. તેમાં ધૂપેલ હતું. પછી કહ્યું કે આ કટોરી વિષે એક કવિત રચી આપો. ગૌરીબાઈએ તે વિષે કવિત રચી આપ્યું તે નીચે મુજબ.

મનહર છંદ. વીક્ટોરીઆ મહારાણી વિષે.

સુઘડ છે, સરસ છે, નિર્મળ છે, નાજુક છે,
ગોરી જાતથી જનમી જુઓ જાતે ગોરી આ.

તે પનોતી [૯]પતિએ પ્રભુજીએ કૃપાથી આપી,
તેને પણ પ્યારીગણી જેવી જીવાદોરી આ.
જેનો મહીમા જગતમાં પૂરો પ્રસિદ્ધ થયો,
એવી તો અધિક છે સુભાગ્યની સજોરી આ.
દાખે દલપત રામદયાના દૈવતનો જો
દરીઓ નદીઠો હોય દેખવી કટોરી આ. ૧૦

દયાના તત્વનો દરીઓ દીઠો ન હોય તો. વીક્ટોરીઆને દેખ.

એવા પ્રસંગમાં નરોત્તમદાસનો ગુમાસ્તો નામે હાથીભાઈ ત્યાં આવ્યો. તેનું નાક લાંબુ હતું. અને દાંત દેખાતા હતા.

નરોત્તમ - આ હાથીભાઈનું એક કવિત રચી આપો જોઈએ.

પછી ગૌરીબાઈએ તેનું કવિત રચ્યું તે નીચેમુજબ.

મનહર છંદ.

અંબાડી ઉપાડી છે કે પેચદાર પાઘડી છે,
ખેસ છેડા લટકે કે ઘંટ સુધડાઈ છે;
નાક લાંબુ નવ વેંત છે કે સુંઢ સુંદર છે;
દંતુસર છે કે ડાઢો બાહાર દેખાઈ છે,
ચોખા કંકુ ચાંદલો કે શોભે છે સીંદૂર ભાલ,
પાછળ છે પુંછડું કે કાછડી વળાઈ છે;
દાખે દલપતરામ દેખો દુનીઆના લોકો,
હાથી હુલકરનો કે આતો હાથીભાઈ છે. ૧૧

એવામાં જમનાબાઈની સાથે એક બાઈ હતી, તેને બીજી બાઈને પૂછ્યું કે જમનાંબાઈ તમારે શી સગી થાય છે? તેણે જવાબ દીધો કે.

દોહરો
સગપણ છે સાચું કહું, એ તું સાંભળ આપ;
તેનો સસરો નિત્ય કહે, મુજ સસરાનો બાપ. ૧૨

ગંગાબાઈએ પોતાની સાસુને કહ્યું કે, અમે નિશાળમાં સમશા પૂર્તિ પુછી હતી, તે ગંગાબાઈએ સારી રીતે પૂરી કરી આપી હતી. એમ વિષેનું પેલું હજામ વિષેનું કવિત સંભળાવ્યું. સાસુએ કહ્યું કે, તમને સમશા પુછતાં આવડી નહિ, કેમકે એ તો ઘણી સહેલી છે. પણ સમશા પૂર્તિ તો એવી પુછીએ કે, મહિના સુધી વિચારે તો પણ પૂરી થઈ શકે નહિ. ગંગાબાઈ - તમે એક સમશા પૂછો,

સાસુ - "પુત્ર વર્ષ પાંચનો, નેં બાપ માસ બારનો." આ સમશા આજથી આઠ દહાડા સુધીમાં પૂરી કરી લાવશે, તો હું જાણીશ કે ગૌરીબાઈએ એ કવિતાનો અભ્યાસ સારો કરેલો છે.

ગૌરીબાઈ - એ સમશા મને કઠણ લાગતી નથી, કેમકે તેમાં જે શબ્દો છે તે અર્થવાલા છે. પણ કઠણ સમશા તો એવી રીતે પુછાય કે , મારા સિવાય આઠ જણાં અહીં બેઠાં છે, તે દરએક જણ પોતાની મરજીમાં આવે એવો એક એક અક્ષર લખે. તે આઠ અક્ષરોમાંથી કંઈ પણ અર્થ નિકળી શક્તો ન હોય તે, તે અક્ષરો એક પછી એક જેમ લખાયા હોય તેમ જ કવિત ની અંદર ગોઠવવા તે કઠણ સમશા કહેવા. એવી સમશાપૂર્ત્તિ કરવાનો મેં અભ્યાસ કરેલો છે.

નરોત્તમ - વારૂ તો હાલો માજીની સમશા પૂરી આપો. પછી હું એથી કઠણ પૂછીશ.

ગૌરીબાઈએ તે સમશા પૂરી કરી, તે નીચે મુજબ

મનહર છંદ.

પેરંભના હિંદુ-પાદશાહ પાસે પોતે રહ્યો,
કછી રજપુત સુત સારા સરદારનો;
પિતા તેનો આવ્યો પછી સુતની સંભાળ લેવા,
વેઠી શક્યો ન સુતનો વિજોગ વર્ષ ચારનો;
એને પણ એક વર્ષ રાજાજીએ રોકી રાખ્યો,
દાખે દલપતરામ સોંપ્યો ભાર કારભારનો;
પછી તે સ્વદેશ જવા પોતાનો પગાર માગે,
પુત્ર વર્ષ પાંચનો ને બાપ માસ બારનો. ૧૨

તે જોઈ ને સર્વે જણાં ઘણાં રાજી થયાં, અને અચરજ પામ્યાં.

નરોત્તમ - હવે એથી પણ કઠણ સમશા હું પુછું તે પૂરી કરો ત્યારે તમે ખરાં.

ગૌરીબાઈ - આપની મરજીમાં આવે એવી સમશા બોલો.

નરોત્તમ - "મુંબઈમાં હતો તે લુટાઈ ગયો માળવો"

જમનાબાઈ - હા એ ઠીક પુછ્યું. મુંબઈમાં આખો માળવો દેશ સમાઈ શકે નહિ, અને વળી મુંબઈ આબાદ છતાં, તેમાં સમાઈ રહેલો માળવો શીરીતે લુટાઈ જાય ? એ તો સમશા ખરેખરી કઠણ છે.

ગૌરીબાઈ - તેમાંના શબ્દો અર્થવાળા છે માટે કાંઈ કઠણ નથી. પછી તે કવિત રચવા લાગી. અને ઊંડા વિચારમાં પડી. સીલેટ ઉપર એક, બે ચરણો લખ્યાં ત્યાં તો તેની આંખ્યોમાંથી આંસુ પડ્યાં, ત્યારે સઉએ જાણ્યું કે આ કવિત કરૂણ રસ ભરેલું હશે. ગૌરીબાઈએ કવિત પુરું કરીને સઉના આગળ, મુકીને કહ્યું કે તમે વાંચો મારાથી વાંચી શકાશે નહિ.

મનહર છંદ.

શાણા સુબા ફારબસે સ્વરગમાં કર્યો વાસ,
તેનો શોક તજે શા થકી સંતોષ વાળવો;
કવિતા જહાજનો તે ભાગી પડ્યો કુવાથંભ,
ખરે ખરો ખેદ તેતો કેમ કરી ટાળવો;
પંડિતોના પારેખની પૌઢ પેઢી ભાગી પડી,
હવે કહો વ્યવહાર શી રીતે સંભાળવો.
દાખે દપલતરામ, પામરનો પાળનાર;
મુંબઈમાં હતો તે લુટાઈ ગયો માળવો. ૧૩

નરોત્તમ - ખરી વાત છે. એ તો ખરેખરો ગરીબનો માળવો હતો. અને હવે કવિતાનો અભ્યાસ કરો કે , ન કરો, કોઈ ભાવ પુછનાર નથી. "ફારબસ વિરહબાવની" નાં બે ત્રણ કવિત હું શીખેલો છું. તેમાં પણ એમ જ કહેલું છું.


મનહર છંદ.

સમશાની પૂરતીને સારી રીતે સમજીને,
વાહ વાહ કહીને કિયો વખાણનાર છે;
અને રસ અલંકાર પેખીને રૂડા પ્રકાર,
અંતરમાં ઉમળકો કોણ આપનાર છે;
ઉત્તમ અધમ કાવ્ય તત્વથી તપાસ કરી,
મોજ આપીને મોજ કોણ માણનાર છે;
કહે દલપતરામ સાહેબ કિન્લાક વિના,
કાવ્યની કિંમત હવે કોણ જાણનાર છે. ૧૪

દુમેલા છંદ

ગુણ ગ્રાહક, વિક્રમ, ભોજ ગયા, કવિતાતણિ કીમત જે કરતા;
પ્રથિરાજ [૧૦], અને ઈંદ્રજીત [૧૧] ગયો, રખિદાસ [૧૨] ગયો રસનો ધરતા;
સરદાર ગયા શુભ ફાર્બસસાહેબ, જે સઘળા ગુણ સંઘરતા;
શુભનામિ જવાથકિ ખામિ પડી, કરવી શું નકામિ કવીશ્વરતા. ૧૫

હાથીભાઈ - આપણા રાજદરબારમાં એક મારવાડી કવિ આવેલો છે, તેની કવિતા સાંભળીને રાજા તથા સભા રંજન થાય છે અને તે કવિને રાજા પગાર આપે છે. માટે હું જાણું છું કે આ ગૌરીબાઈને રાજસભામાં તેડી જઈએ તો રાજાજી બહુ ખુશી થશે.

નરોત્તમ - રાજાનો દરબાર અહીંથી ઢુકડો છે માટે હું એક ચીઠી લખી આપું. તે તમે રાજાજીને આપીને જવાબ લાવશો ?

હાથીભાઈ - હા લખી આપો.

પછી નરોત્તમદાસે રાજાજી ઉપર એક પત્ર લખ્યો તેમાં ગૌરીબાઈની કવિતાના ચમતકાર વિષે લખીને લખ્યું જે આપની મરજી હશે તો તે બાઈને આપની હજુરમાં લાવીશું.

તે પત્ર લઈને હાથીભાઈ રાજસભામાં ગયા. ત્યાં રાજાજી તથા કુંવરજી સભામાં બિરાજ્યા હતા. હાથીભાઈએ જઈને રાજાને સલામ કરીને મોઢા આગળ પત્ર મુક્યો. રાજાએ કારભારીન કહ્યું કે પત્ર વાંચી સંભળાવો. પછી તેણે વાંચ્યો. તે રાજાએ તથા કુંવરજીએ સાંભળ્યો. રાજાએ હાથીભાઈને ઉત્તરમાં એટલું જ કહ્યું કે ઠીક છે. તે સાંભળીને હાથીભાઈ તરત પોતાના શેઠને ઘેર આવ્યો. પણ રાજાના સમજવામાં એવું હતું કે એ બાઈને કોઈ એક દહાડે તેડી લાવશે. તેથી તે તો ઉઠીને ગામ બહાર બાગમાં પધાર્યાં. અને હાથી ભાઈના સમજવામાં એવું હતું કે ગૌરીબાઈને હાલ દરબારમાં બોલાવ્યાં છે. તેથી તેણે શેઠને કહ્યું કે ચાલો, રાજાજી સભામાં બિરાજે છે, અને ગૌરીબાઈને બોલાવ્યાં છે.

પછી ગંગાબાઈ, જમનાબાઈ, તથા ગૌરીબાઈ, અને બીજી તેના જેવડી ચાર પાંચ બાઈઓ સુધાં, નરોત્તમદાસ તથા હાથીભાઈ દરબારમાં ગયા. તે સમે દહાડો બે ઘડી રહ્યો હતો. દરવાજામાં પેસતાં આગળ મોટું મેદાન હતું, અને તે મેદાન વચે કઠેરાબંધ મોટો ચોરો હતો, ત્યાં રાજકુંવર સભા કરીને બેઠો હતો. નાયકાઓ નાચતી હતી, વાજીત્ર વાગતાં હતાં, અને એક સુંદર શોભા બની હતી. કુંવરજીએ પેલાં સઉને આવતાં દીઠાં, એટલે એક હજુરના ચાકરને કહ્યું કે તું સામો જઈને એ સઉને અહીં બોલાવી લાવ. રાજાને સભામાં ન દેખવાથી, અને નાયકાઓને જોઈને, તે બધી બાઈઓના પગ પાછા હઠ્યા. ત્યાં પેલે ચાકરે જઈને કહ્યું કે ચાલો તમને સઉને કુંવરજી બોલાવે છે.

ગંગાબાઈ - (નરોત્તમદાસને કહે છે.) પાતરો નાએ છે ત્યાં અમે તો નહી આવીએ.

નરોત્તમ - કુંવરજી બોલાવે છે, અને નહીં જઈએ તો તેને દુખ લાગશે. માટે આપણે સઉ એક તરફ થોડીવાર બેશીને ઉઠી નિકળીશું.

પછી સઉ ત્યાં ગયાં. કુંવરજી તેઓને એક તરફ બેસવાની જગા અપાવી. સલામ કરીને સઉ બેઠાં, નાચનારીઓ નાચે છે, અને વાજાં બજાવનારા બજાવે છે. અને કુંવરજી તેઓ પોતાની પાસે બેઠેલા લોકો સાથે વાતો કરતો હતો. તેણે નરોત્તમદાસને પુછ્યું કે ગૌરીબાઈ કેનું નામ ?

નરોત્તમ - આ બાઈનું નામ.

કુંવર - તેને કવિતા બહુ સારી જોડતાં આવડે છે.

નરોત્તમ - હા સાહેબ.

કુંવર - (ગૌરીબાઈને) જે વિષે કહું તેનું કવિત રચી આપશો ?

ગૌરીબાઈ - હા સાહેબ.

કુંવરજી - આ એક નાયકાના વરણનનું કવિત રચી આપો. એમ કહીને કાગળ કલમ આપી.

ગૌરીબાઈની ના કહેવાની મરજી થઈ. અને મનમાં ધાર્યું કે આ પાપમાં અમે ક્યાંથી આવી પડ્યાં ?

નરોત્તમ - (ગૌરીબાઈને) હવે આવી ફશાં તે ફશાં. માટે જેવું તેવું કવિત કરી આપો. પછી આપણે ઘેર જવાની રજા માગશું.

એવામાં દરબારની ગાયો બહાર ચરવા ગયેલી તે પાછી આવી. તેમાં એક ગોરા રંગની ગાય દરવાજામાં પેઠી. તેના પગમાં ઝાંઝર હતાં. તેને જોઈને તે ગાયના વરણનનું કવિત રચ્યું. તે નીચે મુજબ.

મનહર છંદ.

કાળા લાંબા કેશવાળી, રંગે તો રૂપાળી ભાળી,
ઝાંઝરના ઝમકાળી વડી વખણાય છે;
ઠમક ઠમક ચાલ, ચાલતી ચંચળતાથી,
સમિપ સકળ જન, સામુ જોતી જાય છે;
પતિવ્રતા નહિ પણ પ્રજા તો પ્રસવે પોતે
સ્વરોદયવાળી જાતે સુંદરી જણાય છે;
દાખે દલપતરામ દેખો દુનીઆના લોકો,
રાજદ્વારમાંહી ગોરી ગુણવંતી ગાય છે. ૧૬

તે કવિત લખી કુંવરજીના આગળ મુક્યું. કુંવરે બીજા માણસ પાસે વંચાવ્યું. પણ તે કવિતાનો ચમત્કાર કુંવરને કશો સમજાયો નહિ. તો પણ ગૌરીબાઈને સારૂં મનાવવા વાસ્તે કુંવરે કહ્યું કે, ઠીક કવિત રચ્યું. એ નાયકા એવી જ છે. અને તે બહુ સારૂં ગાય છે.

ગૌરીબાઈ - એ શું ગાય છે? અને તેમાં શો અર્થ ચમત્કારી છે. કુંવર - અર્થ બરથમાં સમજીએ નહીં. એનો રાગ, વાજાંના સ્વરમાં ભળી જાય છે. વળી બોલ્યો કે, ગૌવરીબાઈ તેમ આવાં વાજાં સાથે લાવ્યાં છો?

ગૌરીબાઈ - ના સાહેબ.

કુંવર - ઓહો ! જુઓ તમારી કવિતા કરતાં આનાં વાજાંમાં, અને રાગમાં કેવી રમુજ છે?

ગૌરીબાઈ -(નરોત્તમને) હવે ઝટ રજા માગો.

નરોત્તમ - (કુંવરને) સાહેબ હવે અમને રજા આપો.

કુંવર - (ચાકરને ) આ સઉને પાનનાં બીડાં આપો. (ચાકરે આપ્યાં)

કુંવર - વળી કોઈ વખતે આવજો, આ દરબાર તમારો છે.

નરોત્તમ - સારૂ સાહેબ આવીશું.

સઉ ઉઠીને સલામ કરીને ચાલ્યાં. એ સભામાં પેલો મારવાડી કવિ બેઠો હતો, તેતો એ કવિતાનો વ્યંગાર્થ સમજીને બહુ અચરત પામ્યો, અને સભામાંથી ઉઠીને આઘે જઈ નરોત્તમદાસને પુછ્યું કે તમારે કેમ આંહીં પધારવું થયું હતું? નરોત્તમે થોડીઘણી વાત કહી. પછી કવિ બોલ્યો

ગીતી

સરસ નરસ રસ સમજે, કવિતારસ તો તહાં પ્રગટ કીજે;
પણ ઘુઘરો કે ઘંટા, બાળક તો તે બજાવતાં રીખે. ૧

નરોત્તમ - આપ કોણ છો ?

કવિ - હું એક કવિતા જાણનારો છું ?

નરોત્તમ - આ રાજાજી કવિતાના રસમાં કાંઈ સમજે છે કે, એ પણ આ કુંવરજી જેવા છે.

કવિ - રાજા પણ ગોળ નેં ખોળ સાખું કુટી મારે એવા છે. મેં સારી કવિતા સંભળાવીને તેનું મન રંજન કર્યું છે, તેથી મને પગાર આપવો કરીને રાખ્યો છે ખરો, પણ ઉત્તમ, મધ્યમ કવિતાની પરીક્ષા રાજા જાણતો નથી તેથી મારૂ મન આઠેકાણે સ્થિર નથી.

નરોત્તમ - વારૂ તમારીં રચેલું એક કવિત કહો જોઈએ એટલે અમારી ખાતરી થાયકે તમે કેવી કવિતા રચી જાણોઇ છો ?

કવિ - મેં ઘણા વિષયો ઉપર કવિતા રચેલી છે, માટે તમે કહો તેવા પ્રકરણનું કવિત કહું.

નરોત્તમ - હાલ આપણે રાજા સંબંધી વાતચીત કરીએ છૈએ માટે એ જ પ્રકરણનું કવિત કહો કે, આ સમયમાં કેવો રાજા હોય તે જશવાળો કહેવાય છે ? કવિ - જેમ એક સમે વડોદરામાં ગણપતરાવ, ગોવિંદરાવ, ગોપાળપંથ, અને ગજરાંબાઈ, એવા ચાર પાંચ ગકાર મળીને ત્યાંનો વહિવટ ચલાવતા હતા; તેમજ જે રાજાની આગળ ગુણવાન, ગતિમાન, ગંભીર અને ગણિતજાણ એવા ભલા ભલા ગકાર તો કારભારી હોય. અને જે રાજા શા એટલે શાહુકાર લોકોને મળતાં તે સર્વ ઉપર રેહેમની નજર રાખે, અને જ્યાં સદા સંતોષ રૂપી સદ્ગુણની સારી સલાહ હોય, વળી જેને ૧ શૌર્ય, ૨ ધૈર્ય, ૩ સુવિચાર, ૪ દીર્ઘદ્રષ્ટિ, ૫ દયા અને ૬ દાન, એ ૬ ગુણોની સાથે હમેંશા દોસ્તી હોય. અને પ્રતિદિવસ નગરના લોકો જેના ઉપર પ્રીતિભાવ રાખતા હોય. એવો રાજા હોય તે જશવાળો અને જયકારી છે.

નરોત્તમ - ખરી વાત પણ તમે કહ્યું એટલા જ અર્થનું કવિત હોય તો કહો. એવી ફક્ત વાતથી રસ ઉપજતો હોત તો કવિતાનો કોઈ ભાવ પુછત નહીં.

કવિ - એટલા જ અર્થનું મેં કવિત રચેલું છે તે સાંભળો/

મનહર છંદ.

ગુણવાન ગતિમાન ગંભીર ગણિતજાણ
એવા ભલા ગગા ભાઈ જેના કારભારી છે.
શા મળતાં સર્વપર રેમની નજર રાખે,
સદાકાળ જ્યાં સંતોકની સલાહ સારી છે
શૌર્ય, ધૈર્ય, સુવિચાર, દીર્ઘદૃષ્ટિ, દયા દાન,
છ-ગુનની સાથે તો સદૈવ દોસ્તદારી છે.
પ્રતિદિન પ્રીતિ ભાવ નગરના લોક રાખે,
એવો રાજા જશવંત અતિ જયકારી છે. ૧૭

એ કવિત સાંભળીને ગૌરીબાઈનું અભિમાન ઉતરી ગયું. અને સાંભળનારાં સઉ અચરજ પામ્યાં.

નરોત્તમ - સાબાશ છે, તમે સર્વ રાજાઓને લાગુ પડે એવું કવિત કહ્યું, પણ તેમાં જે વ્યંગાર્થ છે, તે હું બરાબર સમજ્યો, તેથી તે કવિત મારા અંતરમાં પાર ઉતરી ગયું. જો હું રાજા હોત, તો આ કવિતાની કિંમત તમને આપ્યા પછી અહીંથી ઘરભણી પગલું ભરત, વારૂ પણ કવિરાજ, મેહેરબાની કરીને આવતે રવિવારે પાછલા પહોરના અમારે ઘેર પધારજો.

કવિ - સારૂ શેઠજી, હું આપને ઘેર આવીશ, પણ આ ગૌરીબાઈની કવિતા સાંભળવાની મારી ઘણી મરજી છે.

નરોત્તમ - રવિવારે ગૌરીબાઈને પણ અમારે ઘેર બોલાવીશું કવિ - સલામ કરીને પાછો રાજસભામાં ગયો.

નરોત્તમ - (ગૌરીબાઈને) આવતે રવિવારે મેહેરબાની કરીને અમારા ઘર સુધી પધારવાની તસદી લેશો તો ઘણું સારું કેટલાએક પુસ્તકો અને "મેજીકલાંટર્ન" વગેરે યંત્ર તમને દેખાડાવા છે.

ગૌરીબાઈ - સારૂં સાહેબ, જું, અને આ મારી બહેનપણીઓ સુધાં સઊ આવીશું એમ કહીને ગંગાબાઈ વગેરે સૌને પ્રણામ કરીને પોતપોતાને ઘેર ગઈઓ. અને ગંગાબાઈ, તહા નરોત્તમદાસ પણ પોતાને ઘેર ગયાં.

બીજે રવિવારે સભા મળવાનું સાંભળીને તે રમુજ જોવા સારૂં નરોત્તમદાસના ગુમાસ્તા હાથીભાઈ વગેરે સાત આઠ મશકરાની ટોળી બપોરથી આવીને બેઠી. તેમાંથી એક જણે કહ્યું કે, એ મારવાડી કવિ મગરૂરી બહુ રાખે છે, તે કહેતો હતો કે આ શહેરમાં મારા જેવો કોઈ નથી.

હાથીભાઈ - ત્યારે આપણામાંથી એક જણને કવિ બનાવો, અને પછી આપણે તેને જ કવિતા પ્રમાણે કરીને , તે મારવાડીને મશકરીમાં ઉડાવીશું.

પછી એક જણ બોલ્યો કે હું કવિ બનું, અને તમે સઉ મારા પક્ષમાં રહેજો. તો પછી જુઓ કે હું તેને કેવો હરાવું છું. એવો ઠરાવ કરીને નરોત્તમદાસ ત્યાં ન છતાં, તેનું નામ લઈને પેલા કવિને બોલાવા સારૂ એક જણને મોકલ્યો તેણે જઈને કવિને કહ્યું કે, ચાલો તમને શેઠજી બોલાવે છે. પછી તે કવિ નરોત્તમદાસને ઘેર આવ્યો, અને પુછ્યું કે શેઠજી ક્યાં છે?

હાથીભાઈ - હમણાં આવે છે, અને કહ્યું છે કે તમે કાંઈ ચરચા ચાલવતા થહો, ત્યાં હું આવું છું.

કવિ - આ ભાઈ કોણ છે ? અને એમનું નામ શું છે ?

હાથી - અહો તમે હજી સુધી એમને નથી ઓળખતા ? એમનું નામ પ્રૌઢ કવિ છે. અને અમારા શેહેરમાં તે મોટો કવિ ગણાય છે. અમે ધારીએ છૈએ કે એના જેવો આજને સમે દુનિયામાં કોઈ નથી.

કવિ - પરુઢકવિજી, તમે કવિતાના નિયમના કિયા કિયા ગ્રંથો ભણ્યા છો ? કવિપ્રિયા, રસરહસ્ય કે અલંકારત્નાકર ભણ્યા છો ?

પ્રૌઢકવિ - એ તો બધા ગ્રંથો દશ વર્ષની મારી ઉમર હતી ત્યારે મેં જોઈ લીધા છે; મારૂં અજાણ્યું કશું નથી. એવી વાત ચાલતી હતી ત્યાં ગૌરીબાઈ આવ્યાં.

હાથી - ગૌરીબાઈ, હાલ તમે તો એક કોરાણે બેસો, અને આ બંને મહા કવિયોની ચરચા સાંભળો. અને તમે એક શમશાપૂર્તિ તે બંનેને પૂછો, જોઈએ કોની કવિતા સારી બને છે ? વળી ગૌરીબાઈના કાનમાં કહે છે કે, સવૈયા, કે કવિત વગેરે જેમાંચાર ઠેકાણે એક જ રીતના અનુપ્રાસ મેળવવા પડે, એવું કઠમ પુછશો નહિ. જેમાં એક તરેહના ફક્ત બે મેળવવા પડે, એવું કઠમ પુછશો નહિ. જેમાં એક તરેહના પ્રાસ ફક્ત બે મેળવવા પડે એવા દોહા, કે સોરઠા જેવું અને સેહેલું પુછજો.

ગૌરી - (એક સોરઠાનું છેલું પદ રચી આપે છે.)

"કીધાં ઢાંકણ કાચનાં"
એ પદ છેલું આવે એવો એક સોરઠો બંને જણા રચી આપો.
પછી બંને જણા શિલેટ ઉપર સોરઠો રચવા લાગ્યા.

હાથી - કેમ સોરઠો બનાવ્યો કે નહી ?

બંને જણ બોલ્યા કે, હા બનાવ્યો.

પ્રૌઢ - પહેલો તમારો દેખાડો, પછી મારો સોરઠો દેખાડીશ.

કવિ - લો. જુઓ.

સોરઠો
ઘટમાં જે ઘુંટાય, છાનુ છેક રહે નહીં;
એ બાંકે દેખાય, દીધાં ઢાંકણ કાચનાં. ૧

હાથી - જુઓ ગપ માર્યું છે. ઘડાના બાંકાં ને કાચનાં ઢાંકણ કોણ કરે છે ? એ વાત કાંઈ સંભવતી નથી.

પછી પ્રૌઢને પુછે છે, કે કેમ તમારો સોરઠો થયો કે નહિ ?

પ્રૌઢ - (કાનમાં કહે છે) ક્યારનો માથાકુટ કરૂ છું. પણ અનુપ્રાસ મેળવતાં અર્થ તુટી જાય છે, અને અર્થ મેળવતાં અનુપ્રાસ તુટી જાય છે, પણ જડતું આવતું નથી.

હાથી - અરે જડતું આવ્યાનું શું કામ છે ? આ કવિતા કાંઈ ભુજના રાવ સાહેબની પોશાળમાં પરખવા મોકલવાની નથી. જેવી હશે તેવી વખાણશું અને આંહી કવિતા સારી, નરશીમાં કોણ સમજે છે? લાવો જેવો થયો હોય તેવો. પછી વળી માથાકુટ કરતાં બે ચાર વર્ષ સુધીમાં એ જ સોરઠાના પ્રાસ મેળવી શકો તો મેળવી આપજો, વળી ફેરવીશું.

સોરઠો
જાતી ભેદ તોડો, બાકિ હવે એટલું છે,
બંગલા આ બારિઓ થઈ, દીધાં ઢાંકણ કાચનાં. ૧

હાથી - વાહ, વાહ, સાબાશ સાબાશ, એમ કહીને બધી ટોળીએ ખૂબ જોરમાં તાલિયો પાડી. અને કહ્યું કે, જુઓ કવિતા તો આનું નામ કહેવાય. કવિ - સોરઠાના હરેક પદમાં કેટલી માત્રાઓ જોઈએ ? ક્યાં તાળ જોઈએ ? અને કિયે ઠેકાણે અનુપ્રાસ જોઈએ ?

પ્રૌઢ - પહેલા અને ત્રીજા પદોમાં ૧૧, અને બીજા અને ચોથા પદોમાં તેર તેર માત્રાઓ જોઈએ. માટે ગણી વાળો એટલી માત્રાઓ છે કે નહિ ?

કવિ - અને તાળ ક્યાં છે ?

પ્રૌઢ - વળી તાળની વાત કિયા ગ્રંથમાં છે ? માત્રાઓ પૂરી હોય એટલે બસ.

હાથી - અરે એક બે માત્રા કે અક્ષર વધી જાય તો શું અને ઘટે તો શું થયું. વેદની કવિતામાં જુઓ કે કોઈ ઠેકાણે એકાદ ઓછો કે અદકો અક્ષર હોય કે છે કે નહિ. અનુષ્ટુપ છંદના માપથી એક બે અક્ષરો ઓછા હોય તો તેનું નામ નિચૃદૃઅનુષ્ટુપ. અને એક બે વધતાં અક્ષરો હોય તો ભૂરિજઅનુષ્ટુપ. એ જ રીતે વેદના હરેક છંદમાં છે. અને તેમાં તાળ અનુપ્રાસ ક્યાં છે. એ તો કાળીદાસ, અને માઘ જેવા ભટાઓએ ગુરુ લઘુના માપથી તથા યમકાનુપ્રાસ વગેરે ઘાલીને ખરાબ કર્યું. વળી તુળશીદાસ, શુરદાસ, સુંદાદાસ અને પ્રેમાનંદ ભટે તથા શામળભટે છેલા અનુપ્રાસ ઘાલીને કવિતા બગાડી નાંખી, તે હવે અમે સુધારો કરીએ છૈએ.

પ્રૌઢ - કવિતામાં ઇડયમ જોઈએ કેમકે તે કવિતાનો જીવ છે. તે તમારા સોરઠામાં નથી. અને મારા સોરઠામાં છે.

કવિ - ઇડિયમને આપણા દેશી કવિયોએ શું નામ આપેલું છે ? અને ઇડયમનું એક ઉદાહરણ બતાવો. એટલે આ વાત જેના જાણવામાં આવે, તે ધણી પોતાની મેળે પરીક્ષા કરે, કે આમાં ઇડયમ છે અને આમાં નથી.

પ્રૌઢ - આપણા દેશીઓ શું કહે છે તે; અને ઇડયમ શેને કહેવાય, તે હું જાણતો હોત તો ઉદાહરણ બતાવ્યા વિના રહેત નહિ. પણ હું તો ફક્ત એટલું જાણું છું કે ઇડિયમ કવિતાનો જીવછે. અને તે કહેવતોમાં નથી.

કવિ - ભાઈ , એમ નથી. કવિતાના જીવને આપણા કવિયો વ્યંગ અથવા ધ્વનિ કહે છે. તેના અનેક ભેદ છે, તેનાં ઘણાં ઉદાહરણો કવિતા રચવાની રીતિના ગ્રંથો રસરહસ્ય વગેરે છે, તેમાં છે, કવિતામાં ત્રણ પ્રકારના અર્થો હોય છે શબ્દાર્થ, ભાવાર્થ અને તાત્પર્ત્યાર્થ. તે ભાવાર્થ તથા તાત્પર્ત્યાર્થનું નામ વ્યંગ, અને તે જેમાં મુખ્ય હોય તેનું નામ ધ્વનિ છે, તે કવિતાનો જીવ છે. શબ્દોમાંથી જ ફક્ત જેટલો અર્થ નીકળે, તેનું નામ શબ્દાર્થ. જેમ કે ઉપલા સોરઠામાં શબ્દાર્થ એટલો છે કે, ઘડામાં જે ઘુંટાતુ હોય, તે છેક છાનું ન રહે. કેમ કે તેનાં બે બાંકાને કાંચનાં ઢાંકણાં કરેલાં છે. હવે તેનો ભાવાર્થ એ છે કે, માણસના મનની વાત, છાની ન રહે, તેની આંખોમાંથી જણાઈ આવે. અને તેનો તાત્પર્ત્યાર્થ એ છે કે, આ સભાસદોના મનની વાત, એમની આંખોમાંથી મેં સમજી લીધી છે.


  1. ફૂલાય છે , અથવા લોઢાના ખીલા પણ છે
  2. રથ ઘડે નહિ તે, અથવા વાક્ય નો અર્થ ઘડનારાં
  3. પક્ષીઓ
  4. ખાઇને ઉલટી કરી નાખે, પેટમાંહીનિ ભાગ ધોઊ નાખે તે નોળિક્રિયા
  5. ધનુષ
  6. માથાના વાળ
  7. અસ્ત્રો ઘસવાનું ચામડું
  8. પારકી આયુષની
  9. કુટુંબના વિસ્તારવાળી
  10. કવિચંદનો.
  11. કવિ કેશવદાસનો
  12. શામળભટનો પાળનાર