ગુજરાતની ગઝલો/ગઈ ક્યાં પ્રેમની પ્યાલી ?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રેમીની તલ્લીનતા ગુજરાતની ગઝલો
ગઈ ક્યાં પ્રેમની પ્યાલી ?
[[સર્જક:|]]
૧૯૪૩
પ્રેમની બેપરવાઈ →


૪૧ : ગઈ ક્યાં પ્રેમની પ્યાલી ?


વગર હું કાંઈ ભાવે નહિ, મને તું એમ કહેતી'તી,
વિયોગે તેં જિવાયે નહિ, મને તું એમ કહેતી તી.

સ્વરગના સુખથી મીઠાં, જગતજંજાળ કાપંતાં−
મધુર મુજ ચુંબનો વિના, જીવું નહિ એમ કહેતી' તી.

રહીને રાતદિન પાસે, જિગર આપી લઈ બાધું,
અલૌકિક મૂર્તિની પેઠે, પૂજાઉં એમ કહેતી'તી.

ભીંજેલા નેહથી હુંને, સહજ એક નેનની સેને,
અજબ જાદુગરી મારી, નચાવું એમ કહેતી'તી.

તજું નહિ જીવ જાતાં હું, રૂડી વેલી શી રહું વળગી;
ગઈ ક્યાં પ્રેમની પ્યાલી? મને જે એમ કહેતી'તી !