ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ/વિષય પરિચય

વિકિસ્રોતમાંથી
ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ
વિષય પરિચય
દલપતરામ
અખો ભક્ત →


ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ

નરસિંહ મેંહેતા પછી તુળસી, દેવીદાસ, વિષ્ણુદાસ, શિવાનંદ, શિવદાસ અને નાકરદાસ વગેરે ગુજરાતી ભાષાના કવિયો થયા; તેઓનાં ગામ ઠામ, હયાતીનાં વર્ષ વગેરે ગયા પુસ્તકમાં અમે જણાવેલાં છે. પણ તેઓની વિશેષ હકિકત અમારા જાણવામાં આવી નથી. તેઓએ ભાગવત, મહાભારત, રામાયણ વગેરેનાં મોટાં મોટાં પુસ્તકો રચેલાં છે, પણ તેઓની કવિતા સાધારણ ગણાય છે. તેમાં ઘણો રસ નથી. ફક્ત વ્યાસ લોકો તેઓના ગ્રંથ વાંચે છે. પણ આજ સુધી સઊથી પહેલા નંબરમાં ગણવા લાયકતો વડોદરામાં પ્રેમાનંદભર થયો. તે સંવત ૧૭૩૩માં હયાત હતો. તે ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ નાતે હતો. તે વિષ્ણુ ભક્ત હતો. કાંઈ એક વાત સાંભળે. તેનું વર્ણન ઘણી સારી યુક્તિથી તે કરતો હતો. જેમ કે કુંવરબાઈના મામેરાની વાત અસલ કોઈ પુસ્તકમાં લખેલી જણાતી નથી. પણ લોકોમાં થોડી ઘણી ચાલતી વાત સાંભળીને, પ્રેમાનંદ ભટે વિસ્તારથી વરણવી છે. તેમાં નાગરની નાતમાં સ્ત્રિયોનાં નામ કેવાં હોય છે? અને સીમંતની વખતે વેવાણ કેવી રીતે પોતાનો હક માગે છે? એ સગળા ચાલતા શિરસ્તા પ્રમાણે, એક રમુજી નાટક જેવું એ મામેરાનું પુસ્તક, તેણે કવિતામાં રચેલું છે. તેમજ ઓખાહરણની થોડીક વાત ઊપરથી ગણો વિસ્તાર કરીને, તેણે સરસ પુસ્તક બનાવેલું છે. એ કવિયે સંસ્કૃતમાંથી રસ અલંકારના ગ્રંથ જોયેલા હોય, એવું જણાય છે. કારણ કે મુગ્ધા, મધ્યા વગેરે સ્ત્રિયોના ભાવ તથા સ્વપ્નદર્શન, ચિત્રદર્શન અને ગુરૂલઘુમાન, સંયોગશ્રૃંગાર, વિયોગશ્રૃંગાર, તથા નવરસ વગેરે ઘણી સારી રીતે તેણે વરણવી દેખાડવા છે. ઓખાહરણની રસીકવાત જાણીને, તેના પછી બીજા કેટલાકએક કવિયોને એ જ વિષે કવિતા કરી. પણ પ્રેમાનંદની કવિતા જેવી કોઈથી બની શકી નથી. પ્રેમાનંદની વખત સુધી ગુજરાતીભાષામાં પિંગળના કાયદા પ્રમાણે છંદ રચવાનો ચાલ નહોતો, એવું જણાય છે. તેથી તેણે ગાવાની સેહેલી દેશિયોમાં ગ્રંથો રચેલા છે. પણ તેણે વાણીની મીઠાશની હદ વાળી છે. એવી કવિતા જોડવાની શક્તિ, પરમેશ્વરની બખશીશ આપેલી ગણાય છે; એમ આખી દુનિયાના કવિયો લખી ગયા છે. ગુજરાતીભાષા બોલનારા લાખો માણસો થઈ ગયા, અને હાલમાં પણ છે; અને કવિતાનો અભ્યાસ આખી ઉમ્મર સુધી કરનાર કેટલાએક થઈ ગયા; પણ પ્રેમાનંદને વિસારિયે, એવી કોઈની વાણી સાંભળવામાં આવી નથી. જો મેહેનત કરવાથી એવી કવિતા આવડતી હોત, તો હું પણ પ્રેમાનંદના જેવો કવિ થાત. પણ તેનો જેવો થયાની કોઈ દિવસે મારી આશા નથી; એ હું ખરાદિલથી કહું છું.

પ્રેમાનંદ કથા વાંચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. અને તે વાસ્તે દક્ષિણમાં નંદદરબાર સુધી તેને જવું પડ્યું હતું. ત્યાં રહીને પણ તેણે એક પુસ્તક રચ્યું હતું. તેમાં એ વાત તેણે લખી છે. એ કવિને કોઈ એક રાજાએ કે ગૃહસ્થે આશ્રય આપ્યો હોય, એવું જણાતું નથી. જેથી તેની કવિતા ઊપરથી કાંઈ જણાતું નથી, કે તે વખતમાં આબરૂદાર રાજા કે ગૃહસ્થ ગુજરાતમાં કોણ હતો? જો કોઈ એકે આશ્રય આપ્યો હોત તો પ્રેમાનંદનું નામ સૈકડો વર્ષ સુધી અમર રહેશે, તે સાથે તેનું નામ પણ અમર રહેત. લોકો કહે છે કે, "ગીતડે કે ભીંતડે બે વાતે અમર રહે છે; પણ પ્રેમાનંદનાં પુસ્તકો જાણિયે કે, આજ્જ બનેલાં હોય, તેવાં જોવામાં આવે છે, અને ગામેગામ તેનો ફેલાવ થયો છે. પણ એ વખતમાં મોટી ઈમારતો બનાવેલી હશે, તેઓનાં નામ કોઈ જાણતું નથી. એક કવિ લખે છે કે..."

દોહરો

દૈવ કૃપાતેં કવિ બને, ન ભને કિય અભ્યાસ;
તાતેં કવિકું ચાહતે, બહુ નૃપ ગયે નિરાશ. ૧

અર્થ. દૈવની કૃપાથી કવિ થવાય છે, પણ ફક્ત અભ્યાસ કરવાથી થવાતું નથી. તેથી કવિની ચાહના કરતા કરતા ઘણાક રાજા નિરાશ ગયા.

એવું ભાસે છે કે, પ્રેમાનંદ હયાત હશે, ત્યારે તેની કિમત આટલી બધી કોઈયે જાણી નહિ હોય; કેમકે એ જ રીતે બીજા દેશોમાં પણ બનેલું છે. સંસ્કૃતનો જુનો કવિ જેમ વાલ્મિક, તેમ ગુજરાતીભાષાનો જુનો કવિ નરસિંહ મહેંતો. અને સંસ્કૃતનો સર્વોપરી કવિ જેમ કાળીદાસ, તેમ ગુજરાતી ભાષાનો સર્વોપરી કવિ પ્રેમાનંદ ભટ ગણાય છે. પ્રેમાનંદનો એવો અભિપ્રાય જણાય છે, કે જુના ગ્રંથમાંનો અથવા જુની ચાલતી વાતનો એક દાખલો લઈને વર્ણન કરયું; કે જેથી કે કલ્પિત વાત કેહેવાય નહિ; અને લોકોના દિલમાં અસર થાય; અને તે ખરી વાત મનાય; માટે તેણે એ રીતે કરેલું છે.

દોહરો

પ્રીછે નહિ જે પારખું, દેખે સરખું ડોળ;
જંગલિ જન જાણે નહીં, ગોળ ગળ્યો કે ખોળ.