તુલસી-ક્યારો/કોના પ્રારબ્ધનું

વિકિસ્રોતમાંથી
તુલસી-ક્યારો
કોના પ્રારબ્ધનું
ઝવેરચંદ મેઘાણી
જબરી બા →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.





પ્રકરણ પહેલું
કોના પ્રારબ્ધનું?

સોમેશ્વર માસ્તરના મકાન પાસે લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. સોમેશ્વર માસ્તરની પચીશેક વર્ષની ભત્રીજી યમુના ગાંડી હતી. ઘરથી થોડે દૂર નળની ટાંકી પાસે ઊભી ઊભી લાંબા હાથ કરીને રોષેભર્યા અસ્પષ્ટ શબ્દો કાઢતી કાઢતી, કોઈ મવાલી પણ જાહેરમાં ઉચ્ચારવા હિંમત ન કરી શકે તેવી અશ્લીલ ગાળો કોણ જાણે અંતરીક્ષમાં કોને ભાંડી રહી હતી.

પચાસ વરસના સોમેશ્વર માસ્તર બહાર આવ્યા ને યમુનાને ફોસલાવા લાગ્યા; યમુના એ એને પણ અપશબ્દો કહ્યા. આખરે સોમેશ્વર માસ્તરના પચીસેક વર્ષના યુવાન પુત્ર પ્રોફેસર વીરસુતે એક સોટી સાથે દોટાદોટ આવીને ગાંડી યમુનાના શરીર પર ફટકા ખેંચવા માંડયા, ત્યારે પછી આડા હાથ દેતી, ચમકતી ને ડરતી યમુના રડતી રડતી ઘરની અંદર ચાલી ગઈ.

યમુનાને ઘરની અંદર લઈ જઈ એક ઓરડીમાં પૂરીને પણ વીરસુત જયારે મારવા ને ત્રાડ દેવા લાગ્યો ત્યારે એક દસેક વર્ષનો છોકરો ત્યાં ઊભો ઊભો કહેતો હતો : 'બાફોઈ, બોલો મા, બાફોઈ, ચુપ રહો તો બાપુ નહિ મારે. બાપુજી, હવે બાફોઈને ના મારો , એ કશું બોલતાં નથી, હો બાપુજી !'

'તું બહુ ડાહ્યલો ન થા, દેવુ!' વીરસુતે પોતાના એ પુત્રનું મોઢું તોડી લીધું.

સોમેશ્વર માસ્તર એ પોતાના ઓરડી તરફ ધીરે ધીરે આવી રહ્યા હતા, ત્યારે તેને તેના દીકરા વિરસુતે વઢી ને કહ્યું:

'તમે જ એને બહેકવા દીધી છે હું કહી કહીને થાક્યો કે એને ગાંડાની ઇસ્પિતાલમાં મૂકી આવવા દો, ત્યાં એ સાજી થશે, એનો ત્યાં જ વહેલો છૂટકો થશે. પણ તમે તો એને જ્યારે જ્યારે રજા ગાળવા આવીએ ત્યારે ત્યારે આ હૈયાહોળી છાતી પર અને છાતી પર ને છાતી પર રાખી છે'

'ભાઈ, મેં સારા માટે જ ગાંડાંની ઇસ્પિતાલની ના કહી છે, ત્યાં એ બાપડીનું પોતાનું કોણ?'

'ને અહીં ક્યાંય મોટર કે ટ્રેનમાં ચગદાઈ જશે તો?'

'તો તે તેના પ્રારબ્ધની વાત બનશે, પણ ભાઈ, આપણે દેખીપેખી ને એને કુટુંબમાંથી કાઢીએ તો એનો જીવ અંદરખાનેથી કકળી ઉઠશે'

'એને ગાંડા માણસને એવું શું ભાન હોય ! તમે પણ કેવી..' વીરસુત હસ્યો.

'હું ઠીક કહું છું ભાઈ, જીવ કકળે.'

'તો હવે શું કરવું છે? કંઇ છૂટકો પતાવવો છે કે નહિ?'

'એક વાર હું જોઉં, એને ભેરવપુર લઈ જાઉં' 'જ્યાં લઈ જતા હો ત્યાં લઈ જાવ.'

'તું આજ સુધી એ વહેમમાં પડવાની ના પડતો હતો ને?'

'હવે ના નહિ પાડું, ગમે તે ફકીર બાવા કે મેલડીના ભુવા પાસે લઈ જાવ, નીકર પછી હું ગાંડાની ઇસ્પિતાલે મૂકી આવીશ. હવે હું કોઇની શરમ નહિ રાખું. આપણી એ કઈ નજીકની સગી છે કે એને વેઠો છો ? એની સગી બહેનો ને માશીઓ તો ભાવ પૂછતી નથી.'

'એમ ન વિચાર ભાઈ, કોને ખબર છે કે આપણે આ આખા કુટુંબમાંથી કોના પ્રારબ્ધનો દાણે ખાતા હશું!'

'આ વાત તમે મને ચોથી વાર સંભળાવી.'

'મન બહુ જ દુભાય છે ત્યારે જ એ વાત યાદ આવે છે વીરસુત.'

'વારુ, હવે જે કરવું હોય તે પતાવો. નહિ તો મારે એ ગાંડીના પ્રારબ્ધનો દાણો મારા ઘરમાં નથી જોઈતો. હું ભલે ભૂખ્યો રહું. '

વરતા દિવસની ગાડીમાં સોમેશ્વર માસ્તર પોતાની ગાંડી ભત્રીજી યમુનાને લઈ જયારે ટ્રેનમાં બેઠા ત્યારે પેલો દસ વર્ષનો બાળક દેવુ તેમની સાથે ચાલ્યો હતો. એ બાળક સોમેશ્વર માસ્તરનો પૌત્ર અને પ્રો. વીરસુતનો પુત્ર થાય. એની પોતાની મા એને નાનો મૂકીને જ મરી ગયેલી એટલે એ દાદા પાસે જ ઊછરેલો. એને એના દાદા જોડે વિશેષ બનતી હતી. એના પિતાએ પણ જાણી જોઇને વળાવ્યો હતો. પિતા અમદાવાદમાં સાયન્સના પ્રોફેસર હતા. નવી સ્ત્રી પરણ્યા હતા. તેમને કલકત્તાની વિજ્ઞાનની પરિષદમાં નવાં પત્ની સહિત જવું હતું. આ બાળક એનું એક જ સંતાન હતો. એને ગળે વળગાડીને પ્રવાસ કરવામાં શી મઝા પડે? ભૈરવપુર નામના એ વળગાડ કાઢવા માટે જાણીતા દેવમંદિરમાંથી ત્રીજા દિવસે રવિવારે જયારે દાદા અને પોત્ર દેવું ગાંડી યમુના ને લઈ પાછા વાળ્યા ત્યારે દેવું હેબતાઈ ગયો હતો. પોતે જેને બાફોઈ કહેતો હતો તે ગાંડી યમુના થાકી લોથ થઈ આગગાડીના પાટિયા પર શબની સ્થિતિમાં પડી હતી. એના ટૂંકાટૂંકા ઝંટિયામાંથી કેટલીય પુણીઓ ખેંચાઈ ગઈ હતી. એના કપાળની ચામડી વાળના જથ્થા નજીક સોઝી ગઈ હતી. ને એના ગાલ પર ઉગ્રાવેશી તમાચાનાં આંગળાં ઊઠી આવ્યાં હતાં. એ વારે વારે ચમકતી હતી.

'બાફોઈને એ મારતો'તો કોણ હેં દાદા?' દેવુ ભયભીત અવાજે પૂછવા લાગ્યો.

'ભૂવો.'

'એ ભૂવો હતો? એટલે શું?'

'ભૈરવનો પુજારી.'

'એ કાળો ને કદરૂપો હતો તે શાથી ?'

'ભૂવા એવા જ હોય'

'પણ એને બાફોઈને ને ત્યાં બેઠેલી બીજી બાઈઓને અડબોતો કેમ મારી?'

'મારવાથી ભૂત જાય.'

'બાફોઈનું ભૂત તો ના ગયું. મને તો દાદા એમ લાગે છે કે જાણે એ ભૂવો જ બાફોઈને ચોંટ્યો છે. હવે જુવો ને, બાફોઈ ચમકી ચમકીને આમ તેમ જોયા જ કરે છે. મને એ ભૂવો ન ગમ્યો, એ મંદિર પણ બહુ બહુ ડરામણું લાગ્યું ને ત્યાં બેઠેલી બધી બાઈઓ પર આટલી બધી ચીસાચીસ ને રાડારાડ ને ડરધમકી તે શી?' ખરું જોતાં સોમેશ્વર માસ્તરની પાસે આ પ્રશ્નો ના ઉત્તર નહોતા. એમેણે કદી અગાઉ ભૈરવપુર જોયેલું નહિ. ઘણા માણસો, પારસીઓ અને મુસલમાનો પણ પાતાના ગાંડા થઇ ગયેલ કુટુંબીઓને ભૈરવપુર લઈ જતાં, ને તેમાંનું કોણ આરામ મેળવીને આવ્યું તેની નજરે સાબિતી તો નહોતી દીઠી, પણ ફરતાં ગામોમાં અજાણ્યાં અજાણ્યાં લોકો એવી વાતો કરતાં કે ભૈરવપુરના ભૈરવ આગળ એકેય વળગાડ ઊભો રહેતો નથી. ફલાણાને આરામ થયો, ઢીંકણાનું ભૂત ભાગી ગયું. પેલા પારસીની છોકરીને વળગેલી વાઘરણ ચાલી ગઈ, અરે એને તો ભૂવાએ ચોટલે ઝાલી ઝાલી, લપડાકો મારી મારીને કાઢી, વગેરે ખાલી વાતો જ હવામાં તરતી આવતી હતી.

'આમ તે કોઈને સારૂં થાય હેં દાદા?' એ પ્રશ્ન પૂછનાર દેવુને સોમેશ્વર માસ્તર કશો જવાબ ન વાળી શક્યા. એને પોતાને પસ્તાવો પણ બહુ થયો, કે એને ઊંડા ઊતરીને કશી ખાત્રી કર્યા વગર યમુનાને ભૈરવપુર લઈ જઈ ઘાતકી માર ખવરાવ્યો યાદ કરતાં કરતાં એને પણ ભૂવા પ્રત્યે ઘૃણા જન્મી. આ માણસમાં શિવજીનો સંદેશ હોઈ જ કેમ શકે?

'આવી ક્રૂરતા ગાંડાં માણસો પર કરાય, હેં દાદા? મને તો દયા જ આવે છે' એવું બોલતો દેવુ હસવાનો પ્રયત્ન કરી રડવું રોકતો હતો. સૂતેલી યમુનાની નજીક પોતે "બાફોઈ, કેમ છે? હવે દુ:ખે છે? " એમ કહેતો ગાલ પંપાળવા નજીક ગયો ત્યાં યમુના ટ્રેનના પાટિયા પરથી ચમકી ઊઠી, બારી વાટે બહાર કૂદી પડવા દોડતી હતી. દાદાએ એને પાછી સુવારી ત્યારે એનો ચહેરો ખૂબ દયામણો લાગતો હતો. દેવુ એ ભૈરવપુરના સોમવારની ધુણાવવાની ક્રિયાને વારંવાર યાદ કરતો કરતો પોતાની આંખો આડે હાથ ચાંપી દેતો હતો ને મનમાં મનમાં બોલતો 'ભયંકર! બહુ ભયંકર! દાદા ! બહુ નિર્દય !" ઘેર પાછા આવ્યા પછી સોમેશ્વર માસ્તર પોતાના પ્રોફેસર પુત્રથી શરમીંદા બન્યા. એણે દેવદેવલાં અને ભૂતપ્રેતના વહેમો પર સારી પેઠે મેંણાટોણાં સાંભળ્યાં. ને છેવટે એક દિવસ ગાંડાની ઇસ્પિતાલે યમુનાને મૂકી આવવા ડોસા કબૂલ થયા, પણ ધીમે ધીમે બબડ્યા જ કર્યું કે 'કોને ખબર છે, આપણે એના પ્રારબ્ધનો રોટલો ખાતા હશું તો!'

આ વાક્ય ફક્ત એક દેવુ જ સાંભળતો હતો. એને બીજું તો કાંઈ સમજાતું નહોતું, પણ 'રોટલો ખાવા'ની વાત બાળક તરીકે એને પરમ મહત્ત્વની લાગી.

'તમારે ત્યાં જોડે આવવાની જરૂર નથી. પાછા તમે ત્યાં પોચા પડી જશો.'

એટલું કહીને પ્રોફેસર વીરસુતે ખભે ખેસ નાખીને તૈયાર થયેલા પિતાને અટકાવ્યા ને યમુનાને પોતે હાકોટાવતો તેમ જ ધમકાવતો ગાડીમાં નાખીને લઈ ગયો. સરકસનાં ચોપાનીઆં જેમ ઘોડાગાડીમાંથી ફરફરાટ કરતાં વેરાતાં હોય છે તે રીતે આ ધોડાગાડીમાંથી યમુનાના આપશબ્દો વેરાતા હતા. ગાંડીની ગાડી પાછળ લોકો પણ દોડતા હતા.

પ્રોફેસર વીરસુતની રજા પૂરી થઈ તે પૂર્વે જ એણે પિતાએ ભેગાં કરેલાં આ કુટુંબીઓની વેજામાંથી નાસી છૂટવા તથા પુત્રને પણ આ વાતાવરણમાંથી ઉઠાવી લેવા ઇચ્છા કરી. પણ પિતાએ પુત્ર પાસેથી દેવુને માગી લીધો. 'શરીરે સુકલકડી છે. આંહી ભલે રહ્યો. અમે દાદો દીકરો જોડીદાર થઈને રહેશું. તારે કશી ચિંતા કરવી નહિ.'

'ઠીક તો રાખો.'

પ્રોફેસર વીરસુત અને એનાં પત્ની (દેવુનાં સગાં માતા નહિ પણ પ્રોફેસરનાં નવાં પત્ની) પોતાની કોલેજના શહેર તરફ ઊપડી ગયાં.