દીનાનાથની ઢાળો/ઢાળ ૭મી

વિકિસ્રોતમાંથી
← ઢાળ ૬ઠ્ઠી દીનાનાથની ઢાળો
ઢાળ ૭મી
કેશવલાલ ભટ્ટ
ઢાળ ૮મી →


(ઢાળ સાતમી)

જોને જોને જાગી, જીવન વીતી જાય છે રે;
મિથ્યા માયામાં શું ઠાલો, ઠોઠ ઠગાય છે રે. એ ટેક.
ધામ ધરા ધન ક્યાં છે તારા, પીડા કરનારા છે પ્યારા;
અંતે તે છે ન્યારા, કોણ સ્હાય છે રે. જોને૦
મારૂં મારૂં મિથ્યા કરતો, ફુલણજી થઈને તું ફરતો;
સ્વાર્થ નથી લવ સરતો, ઊંધો ધાય છે રે. જોને૦
અંધ થઈ અવડો આથડતો, જ્યાં ત્યાં ઠોકર ખાતો પડતો;
હર્ષ શોકથી રડતો, બહુ રગડાય છે રે. જોને૦
આજ જાળ કરી દે અળગી, વ્હાલા કેમ રહ્યો છે વળગી;
ઘર ઉઠ્યું છે સળગી, શું મલકાય છે રે. જોને૦
વિષયોમાં રમ શું રમવાયા, એથી કોઈ નથી જ ધરાયા;
દોષ દૃષ્ટિથી ડાહ્યા, શાંત થવાય છે રે. છે રે. જોને૦
અમૃત જે લાગે છે આગળ, તે વિષરૂપ બને છે પાછળ;
છટકેલા છળકપટ વડે દંડાય છે રે. જોને૦
દુઃખદાઈ સંસાર ઠર્યો છે, વિનય વિવેક વિચાર કર્યો છે.
સમજે તેજ તર્યો છે, ઇતર તણાય છે રે. જોને૦
સમદમ સાધન સુખના સજવા, કામ ક્રોધ લોભને તજવા
કેશવ હરિને ભજવા, એ જ ઉપાય છે રે. જોને૦