અવસાન સંદેશ

વિકિસ્રોતમાંથી
(નવ કરશો કોઈ શોક થી અહીં વાળેલું)
અવસાન સંદેશ
નર્મદ



અવસાન સંદેશ

નવ કરશો કોઇ શોક – રસિકડાં, નવ કરશો કોઇ શોક – ટેક.
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી – રસિકડાં.
પ્રેમી અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી – રસિકડાં.
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી – રસિકડાં.
એક પીડમાં બીજી ચ્હીડથી, જળશે જીવ અગનથી – રસિકડાં.
હતો દુખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી – રસિકડાં.
મુઓ હું ત્હમે પણ વળી મરશો, મુક્ત થશો જગતમાંથી – રસિકડાં.
હરિકૃપાથી મમ લેખ ચિત્રથી, જીવતો છઉં હું દમથી – રસિકડાં.
વીર સત્યને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી – રસિકડાં.
જુદાઇ દુઃખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી – રસિકડાં.
મરણ પ્રેમીને ખચિત મોડું છે દુઃખ વધે જ રુદનથી – રસિકડાં.
જગતનીમ છે જનમ મરણનો, દ્રઢ રહેજો હિંમતથી – રસિકડાં.
મ્હને વિસારી રામ સમરજો, સુખી થશો તે લતથી – રસિકડાં.