પુરાતન જ્યોત/સંત દેવીદાસ/પ્રકરણ ૨૧

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૨૦ પુરાતન જ્યોત
પ્રકરણ ૨૧
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૮
ભજન: ૧. શરણાગતિ →


[૨૧]

શાદુળ એકલો પડ્યો. શાદુળને પોતાનાં જૂનાં ભજનો સાંભરતાં થયાં :

ઇંદરીકા બાંધ્યા અબધૂત !
જોગી ન કે'નાં જી
જબ લગ મનવા ન બાંધ્યા
- મેરે લાલ !

એકલવાયો શાદુળ સમજતો હતો કે ઈન્દ્રિયો બાંધેલી છે, પણ અંતરના તલસાટ ઓછા નથી થયા. મનને એકલતા મારી રહી છે.

રક્તપીતિયાંનાં મળમૂત્ર ધોવામાં એણે મનને જોતરી દીધું. પતિયાં ચીસો પાડતાં પાડતાં કહેતાં હતાં કે, “શાદુળ બાપુ ! તમારો હાથ પોચો ખરો, પણ અમરમાના હાથ જેવી સુંવાળપ તો નહીં હો !”

તરત જ અમરબાઈનો દેહ એની સામે ખડો થતો. શાદુળનું હૃદય બાળકની પેઠે ચીસો પાડતું. એ ચીસોને શબ્દોમાં ઉતારવા કદી કદી એકતારો ખાળે લેતો ને સંત શાદુળ ગાતા તોરલ-વિછોડ્યા જેસલનું રુદનગીતઃ



રોઈ રોઈ કેને સંભળાવું !
જેસલજી કે' છે.
ઊંડાં દુઃખ કેને સંભળાવું !
જાડેજો કે' છે.
રૂદિયો રુવે રે
મારો ભીતર જલે.

પણ ગાવાથી વેદના વધતી. એકલા શાદુળ એકલતાની ભઠ્ઠીમાં ઓગળતા રહ્યા.

*

કૂવાનું ખોદાણ ઘણે ઊંડે ગયું છે, પણ પાણીનો પત્તો નથી. ભગત પોતે અંદર ઊતરીને ખોદે છે, 'સત દેવીદાસ ! અમર દેવીદાસ !'ના શબ્દ પુકારે છે, પણ પાણીની આવ હોંકારો દેતી નથી.

માણસો માનતાં હતાં કે શાદુળ ભગતનાં સત પાણી કાઢશે.

ભગત જાણતા હતા કે હજી મનનાં પરિભ્રમણ પૂરાં નથી થયાં. કુદરતના કાળમીંઢ પથ્થરોને વીંધી નાખે એવી આત્મશક્તિની શારડી મને મળી નથી. પાતાળમાં વહેતાં ઝરણાં જોડે મારા મનની ખરી મહોબ્બત ક્યાં બંધાઈ છે? હું તો હજુ ઝૂરતો નર છું. પાણી નહીં નીકળે.

એવામાં કોઈક ખબર લાવ્યું કે ઘોઘાવદરવાળા સંત ‘દાસી જીવણ' પાડોશના ગામમાં પધાર્યા છે.

'દાસી જીવણ' તરીકે જાણીતા જીવણદાસજી જાતના ચમાર હતા. શાદુળ ભગતને દિલમાં પ્રશ્ન થયો : એને લઈ આવું ? એનાં સત અજમાવું?

બીજો વિચાર જગ્યાના અભિમાનનો આવ્યો : મારા ગુરુથી અને અમરબાઈથી શું એક ચમાર ભક્ત ચડિયાતો ? અને જાણે પોતાના જ તંબૂરાનો તાર બેલી ઊઠ્યોઃ

જબ લગ મનવા
ન ધોયા મેરે લાલ.

મનમાં સરસાઈનો મેલ ભર્યો છેઃ ભગત, તમે જોગી શાના?

ગાયોનાં ધણેધણ આવીને 'પાણી ! પાણી !' ભાંભરી ઊઠ્યાં. કૂવો ઠાલોઠમ પડ્યો છે. શાદુળ ભગતનો ગર્વ ફરીથી ભાંગ્યો, એને ઘણાએ વાર્યો કે જગ્યાનું માતમ જાશે. છતાં એ જીવણદાસજીને તેડવા ગયા. તેડી લાવ્યા.

જીવણ તો રાધાનો અવતાર મનાતા. જીવણનાં રૂપ તો અનોધાં હતાં. ફાંકડા જીવણને નીરખી શાદુળ વિમાસણમાં પડી ગયો, કે આ 'મસ્તાનો' આદમી શું સંત ! વધુ વિમાસણ તો જીવણદાસજીની જોડે ચારપાંચ સ્ત્રીઓને જોવાથી થઈ. શાદુળે ભયંકર કસોટી આદરી.

જીવણદાસજીને પોતે કૂવાકાંઠે લઈ ગયા. બતાવીને કહ્યું કે, “પાણી નથી.”

"બહુ વપત્ય !”

"ફરતી સીમનાં ધણ ધા નાખે છે.”

"કસ જોવરાવ્યો'તો ?"

"તમે જોઈ દેશો?”

“ભલે બાપ લ્યો હું ઊતરીને જોઈ દઉં.”

ખાટલીમાં બેસારીને દોરડા વતી જીવણદાસજીને ઊંડા કૂવાને તળિયે ઉતાર્યા, ને પછી ખાટલી પાછી ખેંચી લીધી.

પથ્થરોનાં વળાં તપાસીને પછી જીવણદાસજીએ કહ્યું : "હવે મને ઉપર સીંચી લ્યો.”

"એ તો નહીં બને.” શાદુળ ભગતે સામો જવાબ દીધો.

“શું નહીં બને ?”

"આ કૂવામાં પાણી આવ્યા અગાઉ તમને બહાર કાઢવાનું.” "કાં બાપ ?'

“તમે સંત છો. સતિયા છો. અમારી તરસ ટાળીને પછી નીકળો.”

“અરે ભાઈ, મારામાં એવું સત નથી. મારી આબરૂ ન લે. તુંય સંત છે આપા શાદુળ !”

“સંત છું. પણ કાઠી સંત છું.”

“મારો બત્રીસો ચડાવવો છે?"

"તે પણ કરું.”

“ઠીક ભાઈ, તું મારી ઈજ્જત લઈને રાજી થાજે.”

"શો વિચાર છે?”

“મારો એકતારો મોકલો.”

રસી બાંધીને એકતારો કૂવાને તળિયે ઉતારવામાં આવ્યો. દાસી જીવણે ચાર ભજન ગાયાં. કહેવાય છે કે જળ આવ્યું. સંગીતના જોરે.

સંતને બહાર કાઢવામાં આવ્યા. પણ સંતનું દિલ દુભાયું હતું.

શાદુળે કહ્યું: “આ જગ્યા ને આ કૂવો જીવશે ત્યાં સુધી આભડછેટના ભેદ વિના જગત આંહીં પાણી પીશે.”

"નહીં પીઉં એક ફક્ત હું.” કહીને જીવણદાસ ચાલી નીકળ્યા.

શાદુળ ભગતનો મદ ભાંગ્યો. એક ચમારને સાદે જળદેવે જવાબ દીધા. હું શું છું?

દિવસે દિવસે એનું દિલ દ્રવતું જ ચાલ્યું. એણે ઊંચનીચના ભેદ છોડી દીધા. એક દિવસ એણે સાંભળ્યું કે ચોડવડીનો એક ઢેડ, દર વરસે જગ્યાની ધજા બનાવવા માટે બાર હાથ પાણકોરું આપી જતો તે મરી ગયો.

શાદુળ ભગત ચોડવડી ગયા. શબ પડ્યું હતું. ડાઘુઓ ભેગા થયા હતા, પોતે જઈને એને પોતાનો ચીપિયો અડકાડ્યો ને કહ્યું : “ભાઈ, ઓણ સાલી જગ્યામાં પાણકોરું ન આપી શકળ્યો તેથી શું શરમાઈ ગયો ? ઊઠ ઊઠ, પાણકોરું ન દે તો કાંઈ નહીં.”

આપણને નથી પરવા કે એને કહ્યે મૂએલો ઢેડ ઊઠ્યો કે ન ઊઠ્યો, પણ શાદુળ ભગતના જીવન-ભેદ ટળી ગયા હતા તે તો આ વાતમાંથી નીકળે છે.

દુહા એના ગવાતા થયા :

સૂરે શીશ ઉતારિયાં
આવી નાખ્યાં ખળે,
શાદુળ દેવંગીની ફોજમાં
ભાંગલ નર નૈ મળે.

વળી

પરબે અમર પરસીએં
જોગેસર જપે જાપ;
ડેણ ડરે ને ભૂત ભાગે
તાવમાં પડે ત્રાસ.

પણ શાદુળના મનની વેદનાઓને આ દુહાનાં થૂંક ઓલવી ન શક્યાં. શું કરું તો જીવ જંપે ? આ મનના વલોપાત મને મૃત્યુ પછીય જંપવા નહીં આપે તો શું કરીશ? મારી પ્રેતગતિ તો નહીં થાય ? શો ઇલાજ કરું? એક સ્ત્રીના હૃદય ઉપર એકાદ ક્ષણની સત્તા ભોગવવા જતાં મને કેવી સજા મળી ? શું કરું તો એ એક ઘડી ભોગવેલી મારી સત્તાના ચૂરા થઈ જાય ?

ભેંસાણ, રફાળિયું, ગળથ, બરવાળું, હડમતિયું, દેવકીગાળોલ, ખંભાળિયું ને રાણપુર : એ ચોય દિશાનાં ગામડાં, જ્યાં અમરબાઈ એ રામરોટી માગી હતી, ત્યાં હવે શાદુળ ભગતની એકલપંથી ટહેલ શરૂ થઈ. શાદુળની નજરે એ સાતે ગામની સીમમાં અમરબાઈનું સ્વરૂપ તરવરતું હતું. માર્ગે માર્ગે જાણે ચાલી જાય છે, મૂંડિયું માથું, ઉપર ચૂંદડીનો ટુકડો, ખભે લીલો હજૂરિયો (રૂમાલ), ડોકમાં માળા, ને આખે અંગે સફેદ અંચળો.

સાંજે ઝોળી લઈને પાછા વળે ત્યારે સીમમાં કાઠીએની જૂની ખાંભીઓ ઊભેલી જુએ, જોઈ જોઈને એ પથ્થરને પોતે કહે કે —

'આપાઓ ! આંઈ તડકે શીદ તપો છો? મરી રે'શો મરી. હાલોને મારી ભેળા, મૂંડિયાઓને છાંયો કરવા !'

એમ કહીને શાદુળ ભગત ખાંભીને ખંભે અથવા માથે ઉપાડી લ્યે. છેક જગ્યામાં લાવીને એને ખડકે. એમ રોજેરોજ ઉઠાવી આણેલા પાળિયાઓનું ચણતર ચણીને શાદુળ ભગતે જગ્યાની જુની ડેલી બાંધી : આશ્રિતોને છાંયો કરવા.

*

સધ મુનિવર મળ્યા સામટા
જોડી જાડી જાન,
કેસરિયો શાદલ તણો
રોક્યો કિં રિયે રામ !

“ભગત,” વાણિયો આવીને કરગર્યો, “મને શેર માટી અપાવો.”

"વાણિયા, તારા પ્રારબ્ધમાં દીકરો નથી.”

વાણિયો પાછો ગયો. સાંભળ્યું કે કોટડા ગામે પરબની જગ્યાના શિષ્ય રામવાળાનાં ભજન છે. વાણિયે ભજનમાં ગયો.

રામવાળાના ઘરમાં માંગલબા નામની કાઠિયાણી હતી. તેય પણ ભક્તિમાર્ગી હતી. ભજનની ત્યાં ઝૂક બોલી. ભજન ખતમ થયાં. ભજનિકો વીખરાઈ ગયા. રામવાળાની સામે વાણિયો બેસી રહ્યો.

"બેસી કાં રિયા?” વાણિયો રોઈ પડ્યો.

"કેમ?” રામવાળાએ પૂછ્યું.

“મને શાદુળ ભગતે સમરથ છતાં કહ્યું કે તારા પ્રારબ્ધમાં દીકરો નથી."

રામવાળાના દેહમાં ભભક આવી. એણે કહી નાખ્યું : "જા, દેવીદાસ તને દીકરો દિયે છે.”

એ પછી એક મહિને શાદુળ ભગતને આ બનાવની ખબર પડી. એણે રામવાળાને કહેવરાવ્યું: “તેં બહુ ખોટું કર્યું. સંત દેવીદાસને માથે બદનામું ચડાવ્યું. હવે તો કાં તારે ને કાં મારે, એને પેટ પડવું જોશે.”

“તો હવે વચને રે'જો.” રામવાળાએ જવાબ મોકલ્યો અને પોતે પોતાની સમાધનો દિવસ નક્કી કરીને કંકેતરી લખાવી. સમાધ પણ ગાળીને તૈયાર રખાવી. શાદુળ ભગતને તેડું મેકલ્યું.

"હવે ભાઈ," શાદુળ ભગતે કહાવ્યું: “ખાડો બૂરવો છે એમાં શું માણસ દોડાવછ ?"

"તો કાંઈ નહીં ભગત !”

રામવાળાએ શાદુળ ભગતના વિના જ ચલાવ્યું. સમાધમાં બેસવાનું પ્રભાત આવી પહોંચ્યું.

“તમને એકલા તે કેમ જવા દઈશ ?” માંગલબાઈ એ પણ સાથે બેસી જવાની હઠ લીધી.

એક કુંભાર ને કુંભાર્ય: એક આયર ને આયરાણીઃ એ ચાર બીજાં પણ સાથે સમાવા તૈયાર થયાં. એક ભેરવો (કાળો) કૂતરો પણ એ છનો સાતમો સાથી થવા આવી ઊભો રહ્યો.

સર્વનું સામૈયું ચાલ્યું ત્યારે માંગલબાઈ એ ભજન ઉપાડ્યુંઃ 

મારા અંતરના ઉદવેગ
તે તો ગુરુએ ટાળ્યા,
ચરાચરમાં દેખું દેવીદાસ
ભાવે ગરુને ભાળ્યા.

મારા હૈડા તણે હેતે
પ્રીતમ તમને પામી;
હું તો ગૂંથાણી લૈને ગળે બથ
અંતરના છો જામી.

*[૧] દુબજાળાં દુરીજન લોક
તેને શું કહીએ
ઈ તો અસજે બોલે અવગુણ
તોયે ગરુને ચરણે રહીએ.

કર જોડી માંગલ કહે
સાચું હું તો ભાખું;
મારા રૂદિયામાં શાદલ પીર
રોમે રોમે રાખું.

ગાતાં ગાતાં ચાલ્યાં જાય છે. બાજુમાં નાનો દીકરો દોડ્યો જાય છે.

માંગલબાઈની ચૂંદડી પગમાં ઢસરડાતી આવે છે. એ ચૂંદડીના છેડા ઉપર બાળ દીકરા બાવાનો પગ પડી ગયો. ચૂંદડી ખેંચાતાં ગાવામાં માંગલબાઈને ટેરમાં ફેર પડી ગયો. એણે પાછા ફરી જોયું.

રામભગતને શંકા આવીઃ “કેમ, બાવામાં જીવ ગયો ?”

"ના રે મા'રાજ !" માંગલબાઈ એ કહ્યું, “મારી ચૂંદડીને માથે પગ આવ્યો.”.


  1. *દુર્બુદ્ધિવાળાં

આટલી ઉગ્ર કસોટી પાર કરીને સ્ત્રીપુરુષ સમાયાં. નાનો બાળક એકલો બન્યો. હજી તો હમણાં જ જેની ચૂંદડી ખૂંદતો હતો તે મા ચાલી ગઈ.

પોતાના મર્મબોલને પરિણામે આવા કેટકેટલા કેર વર્ત્યા ! શાદુળ ભગતના અંતર ઉપર શિલાઓ ખડકાતી ગઈ.

“હવે તો નથી રોકાવું. હવે આ સ્વભાવ નહીં બદલાય. હવે જાન જોડવી જોશે.”

મૂંઝાતું દિલ લઈને શાદુળ ભગત દત્તાત્રેયના ધૂણી પર જઈ બેઠા.

ગોધૂલિની એ વેળા હતી. શાદુળે ચારે સીમાડા ભરીને નજર નાખી. ઝીણી ઝીણી રજના ડમ્મર ચડ્યા હતા

ધરા આખી છૂંદાતી હતી. શાદુળને જવાબ જડ્યો.

પછી એક દિવસ પરબની સમાધ-દેરી પાસે આવો બોલાશ ઊઠ્યો :

"નહીં ભાઈ, ત્યાં બાજુમાં નહીં.”

"ત્યારે ?”

"અહીં, એ ઓટાની નીચે, પગથિયાની જગ્યાએ મારી સમાધ ગાળો.”

"કેમ એવું કહો છો?"

"મારા શરીરનું વિરામસ્થાન અહીં જ રહેશે. ઉપરની સમાતોને જુવારવા જનારાં લોકો મારા કલેજા ઉપર ચરણ મૂકીને જ પહોંચી શકશે. હું એ સહુના કદમોમાં છૂંદાતો છૂંદાતો જ અહીં સૂતો રહેવા માગું છું.”

સમાધના ખાડાને કાંઠે ખડા રહીને શાદુળ ભગતે છેલ્લું ભજન ગાયું – 

કલે કલે તારી કૂંચી
પરબુંના પીર ! કલે કલે તારી કૂંચી.
પાંચ તતવનો બંગલો બનાવ્યો
બારી મેલી છે ઊંચી
પરબુંના પીર, કલે કલે તારી કૂંચી.

અઢાર વરણ જમે એકઠા.
ત્યાં જાત વરણ નૈ નીચી
પરબુંના પીર, કલે કલે તારી કૂંચી.

સવરા મંડપમાં મારો સતગરુ બેઠા
ત્યાં ચાર જગની વાત પૂછી
પરબુંના પીર, કલે કલે તારી કૂંચી.

દેવંગી પરતાપે પીર શાદળ બોલ્યા
જાતી વૈકુંઠની વાત પૂછી
પરબુંના પીર, કલે કલે તારી કૂંચી.

ભજન પૂરું કરીને શાદુળ ભગતે પોતાનું ખોળિયું છોડી દીધું.

આજે જસા વોળદાનની અને દેવીદાસ, અમરબાઈની મળી ચાર કબરો જે દેરીમાં છે, તે દેરીના ઉંબર બહાર અણઘડ કાળો પથ્થર છે. એ પથ્થરની નીચે સૂતેલું શાદુળ ખુમાણનું શબ. શાદુળનું કલેજું ત્યાંના જાત્રાળુઓની ચરણરજને ચૂમતું બેઠું છે. કેટલા ચરણને એણે ચૂમ્યા હશે આજ સુધીમાં ? દોઢ સૈકો થઈ ગયો. અષાઢી બીજના અનેક મેળા ભરાણા. ભજનકીર્તનના સમૈયાનો પાર નહીં રહ્યો હોય. શાદુળ ભગત ને પછી તો ત્યાં અમરી માતા, અમૂલાંબાઈ, મા હીરબાઈ અને ગંગદાસજી સમાયાં. સાંઈ સેલાનીશાએ,

રતન જેવી આંખડિયાં મિલી
મે દીવડિયાં કાં બાળો !



હિંદુ મુસલમાન એક જ પિયાલે
નૂરીજન નજરે ભાળો !
પરબુંવાળો પીર પાદશા,
મેં તો ધૂનધણી ધાર્યો,
ધણી, તારો પરગટ પરચો ભાળ્યો.

—એવાં અભેદભાવનાં ભજનો ગાતે ગાતે ત્યાં શરીર સંકેલ્યું અને આરામગાહી ઢાળી. અને શાદુળના શિષ્ય કરમણ પીર, દાનો બાવો વગેરે પણ ત્યાં વિરમ્યા છે. તે તમામના મૃત્યુઉત્સવો પર મનખ્યો ઊમટ્યો હશે. સર્વના કદમોને શાદુળના હૈયાએ હોઠે ચાંપ્યા છે.

મારી મરણસજાઈ આ દેરીનાં પગથિયાં પર જ હોજો !
શાદુળ જીવનમાં જીત્યા તે કરતાં મરણમાં વિશેષ જીત્યા,
શાદુળો પીર કહેવાંણો.
શાદુળો દેવીદાસનો !