પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બનાવવાનું શી રીતે પસંદ કરતાં હશે? કેમ કરીને સહન કરી શકતાં હશે? એ વિસ્મય મને રાજુલાની શેરીઓ જોઈને થયા વિના રહેતું નથી. પાંચ જ મિનિટની અંદર ગામની બહાર નીકળી શકાય, એવા તદ્દન નાના શહેરની શેરીઓ જો લોકો પ્રાતઃકાળના અંધારામાં ઊઠીને અસહ્ય રીતે બગાડી મૂકે, તો એ લોકોના આહાર-વિહાર વિશે શી કલ્પના કરવી? રાજુલાને પાદર પથ્થરની બહોળી ખાણો છે, મુંબઈ – કલકત્તાથી એના પ્રજાજનો કંઈક રળી લાવી સુશોભિત પાકાં મકાનો ચણાવે છે, કાઠિયાવાડનું એક સરસ આરોગ્યભવન બની શકે તેવું એ ગીરનું નાકું છે, અને છતાં આ વિષ્ટામાં રાચતી મનોદશા શી રીતે પેદા થઈ? ભાવનગર રાજ્યના લગભગ તમામ મહાલોનાં ગામો – કુંડલા, મહુવા, રાજુલા, બોટાદ વગેરે – કુદરતનાં કૃપાસ્થાનો છે, પ્રકૃતિમાતાએ એને પોતાના રસસૌંદર્યે નવાજ્યાં છે, પણ મનુષ્યને મન એની કિમત નથી. એ ગંદકી માનવતાને લજ્જાસ્પદ ગણાવી જોઈએ. ફક્ત ગઢડા જ એના અપવાદ રૂપ છે. એ પ્રતાપ સ્વામિનારાયણ ધર્મના શુચિ-સંસ્કારોનો. એની કથા અવસરે લખીશ. આજ તો એ ઇતિહાસપ્રેમી, અતિથિપ્રેમી અને વિષ્ટાપ્રેમી ગામને છોડી આગળ વધ્યો.

ગુમાવેલો પ્રતાપ

એ-ના એ પહાડ : એ-ની એ નદીઓ : એ-ની એ જુનવટ: ને એ-નો એ પ્રકૃતિનો પ્રતાપઃ પરંતુ હું તો એ તમામના વચ્ચે શોધતો હતો એનાં સંગી મનુષ્યોના જૂના પ્રતાપીપણાને. પણ હું નિરર્થક શોધતો હતો. જૂના પ્રભાવથી આંખો આંજતા, જોનારાને ડારતા, કોઈ અદ્ભુત નવલકથાનાં પાત્રો સૃજવાની સામગ્રી પૂરી પાડી શકે એવા અસલી ચહેરા-મહોરાની સમૂળી જ ગેરહાજરી મને બહુ સાલતી હતી. જીવનમાંથી તો જે ગયું. પણ પ્રદર્શનમાં મૂકવા યે જે ન રહ્યું, એવું માનવતત્ત્વ આજના લેખકોને પોતાની ચોપડીઓમાં કેવી બેહૂદી રીતે કલ્પવું પડે છે! અને એ કલાકારોની કલ્પનાનાં વર્ણસંકર ચિત્રો તથા વર્ણનોનો આધાર લઈને કોઈ પણ પ્રજા પોતાનો ભૂતકાળ કેવોક ભણી શકે! આવી વિકૃતિમાંથી નવો સૌરાષ્ટ્ર કેવો જન્મશે, ને એનું પાપ ક્લાકારોના માથા પર પણ કેટલું ચડશે, તે ભૂલવા જેવું નથી.

અમારું ઊંટ કે જેને અમે ‘સલૂન’ કહેતા હતા, ને જેની ભલાઈનો તથા સહનશીલતાનો લાભ લઈને અમે ત્રણ જણા ચડી બેઠા હતા, તે સરખી ચાલે વહેવા લાગ્યું અને તારોડિયાની જ્યોતમાં નહાતા, ભાવનગરના પ્રતાપી રાજા આતાભાઈએ તથા વજેસંગજીએ આ રાજુલા વગેરે પ્રદેશ કેવી કળવકળથી ને જબરદસ્તીથી કબજે કરી શાંતિ સ્થાપી તેની વાતો કરતા અમે પ્રભાતે એક ગામની ખળાવાડમાં પહોંચ્યા. એ નાના ગામનું નામ હતું સરોવરડું. નામ મને અત્યંત ગમી ગયું. નામ પાડવામાં અસલી લોકો અચ્છી રસિકતાનો ઉપયોગ કરી જાણતાં. એ તો ઠીક; પરંતુ આ નામની પૂછપરછમાંથી તો મને એક રસવંતો ઇતિહાસ હાથ લાગ્યો. ત્યાંના બે જુવાન ગરાસિયા ભાઈઓએ તુર્ત જ મને

12
 
લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ