પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પણ આવા વિષમ ડુંગરમાં એક સો વર્ષ પૂર્વે જોગી બહારવટિયા જોગીદાસને આશરો મળેલો હતો. આજે પણ જોગીદાસના નાના ભાઈ ભાણના નામથી ઓળખાતો ભાણગાળો ત્યાં બતાવાય છે. એ ભાણગાળામાં, ભાવનગરના સરપાવની લાલચે જોગીદાસને જેર કરવા માટે એકસો વીસ ઘોડે ચડી આવેલા બહાદુર જસદણ-નરેશ શેલા ખાચરને ભાણજોગીદાસે કેવળ દસ જ ઘોડે તગડી મૂક્યા હતા. અને એવું વીરત્વ નજરોનજર જોનાર ગાંગા નામના બારોટે, પોતે જસદણનો જ વહીવંચો હોવા છતાં, જસદણની જ દરબાર કચેરીમાં, જેવું દીઠેલું તેવું વર્ણન કરીને એક ગીત સંભળાવેલું. તેની છેલ્લી કડીમાં કહ્યું છે કે

આલણહારો કહું અલબેલો
ખેલ જઈને બીજે ખેલો
ઝાટકિયો દસ ઘોડે ઝીલો
છો વસુંથી ભાગિયો શેલો!

આ સત્યવક્તૃત્વ બદલ ગાંગાને કહેવામાં આવ્યું કે “ચાલ્યો જા ! જસદણમાં રહે તો તું ગા’ ખા!”

'થૂ તારા જસદણમાં ! એવો ઉત્તર આપીને ગાંગો બારોટ ભીમોરાની ડેલીએ ચાલ્યો ગયેલો, અને ત્યાં શેલા ખાચરની પેશ્વાઈ ફોજ સાથેની ચડાઈ વખતે ભીમોરાના ધણી નાજા ખાચરની સંગાથે એ ગાંગાનો દીકરો દેસો રાવળ પહેલવહેલો કૂદી પડીને દરબારની આગળ ચાલી મર્યો હતો. તેનો દુહો છે :

ભીમોરો ને દખણી ભડે, થાનક સિંધુ ઠોર,
(તેદિ) માથું ના જાણી મોર્ય, (તેં) દીધું રાવળ દેસળા!

અને નાંદીવેલો બીજું પણ એક સ્મરણ કરાવે છે. એ સ્મરણ યુદ્ધનું નથી, પ્રેમનું છે. એની ટોચ પર ખરે મધ્યાહૂને દષ્ટિ સ્થિર થાય છે, ને ત્યાં એક આકૃતિ રચાતી દેખાય છે. આઘે આઘે નજર કરીને એ આકૃતિ સાત ગાઉ દૂર આવેલા સાણાના શિખર પર જાણે કોઈ બીજી આકૃતિને શોધે છે, કલ્પે છે, નીરખે છે. ધીરે ધીરે સંધ્યા નમે છે. અને

આભે ધારાળા કાઢિયા, વાદળ ચમકી વીજ,
રૂદાને રાણો સાંભર્યો, આવી આષાઢી બીજ.

એવી એ આષાઢની મેઘલી સંધ્યાએ, વીજળીના ચમકારા થતાંની વાર, નાંદીવેલા પર ઊભેલી એ આકૃતિને રુદે જાણે પોતાનો સાણાનિવાસી પ્રીતમ સાંભરે છે. બીજના ચંદ્ર સામે ટાંપી રહેલી એ પ્રેત-આકૃતિ જાણે સાંત્વન ધરે છે કે આજ બીજી કોઈ રીતે તો મળાય તેવું નથી, ચાર નજરો પણ એક થાય તેમ નથી, પણ આજે તો મારા પ્રીતમની આંખો પણ બીજનાં દર્શન કરતી હશે, હું પણ દર્શન કરું છું, એ રીતે અમારી ચારેય આંખોના પૃથ્વી પરના વિચ્છેદ આજે આકાશની અનંત ટોચે નાની-શી બીજ ઉપર અન્યોન્ય આલિંગન લઈને શમી જતા હશે. ત્યાં એને કોઈ સંસાર-વ્યવહાર અટકાવી શકશે નહીં!

સૌરાષ્ટ્રના ખંડેરોમાં
35