પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

અમાત્ય રાક્ષસ તે રાજાનો તેવો જ અદ્વિતીય વિશ્વાસપાત્ર હતો અને તે વિશ્વાસને યોગ્ય હતો પણ ખરો. આખા રાજ્યમાં નંદરાજાના હિતમાટે નેત્રોમાં તૈલ આંજીને અહોરાત્ર પ્રયત્ન કરનારો કોઈ સ્વામિનિષ્ઠ સેવક હોય, તો તે એકલો અમાત્ય રાક્ષસ જ હતો અને બીજા અધિકારીઓ તથા પ્રજાજનોમાં તેનો પ્રભાવ પણ તેવો જ હતો. પરંતુ રાજાનો પોતાનો એનામાં આટલો બધો વિશ્વાસ છે અને રાક્ષસ કરે તે જ પૂર્વ દિશા, એવી સ્થિતિ છે, બીજા કોઈને પણ રાજા કાંઈ સલ્લાહ પૂછતો નથી. મુરાદેવીના મહાલયમાં નિવાસ કરીને રહ્યા પછી કોઈથી પણ રાજાના દર્શનનો લાભ લઈ શકાતો નથી; એ સઘળું જોઈને ચાણક્યને ઘણો જ આનંદ થયો. કારણ કે, એથી કેટલાકોના મનમાં રાક્ષસ વિશે દ્વેષ ઉત્પન્ન થએલો તેના જોવામાં આવ્યો. રાક્ષસ પોતે સત્ય અને સ્વામિનિષ્ઠ હતો. તે પોતાના હિતમાં લેશ માત્ર પણ લક્ષ આપતો ન હતો - તેનું ચિત્ત સદા સર્વદા રાજ્ય અને રાજાના હિતમાં જ લાગેલું રહેતું હતું, એ તેનું સત્ય વર્તન બધાને માન્ય હતું, પરંતુ જે કાર્યો રાજાએ પોતે કરવાં જોઈએ, તે પણ તે પોતે કરતો હતો અને સ્વભાવિક રીતે જોતાં તે પોતે જ રાજા બની બેઠો હતો. એથી જ તેના માટે કેટલાકોના મનમાં વૈમનસ્ય ઉત્પન્ન થયું હતું એવી, સ્થિતિથી રાક્ષસ વિશે અસૂયા ઉત્પન્ન થઈ અને જો એ એકલો જ સ્વામિનિષ્ઠ છે, તો શું બીજા સ્વામીદ્રોહી છે ? એવી ધારણાથી કેટલાકેાને રાજાનો એ અન્યાય ભાસવા લાગ્યો. પાટલિપુત્રમાંના અધિકારિવર્ગની અંત:સ્થિતિને ચાણક્ય ક્યારનો એ જાણી ચૂકયો હતો. રાજા પોતે રાજ્યની કાંઈ પણ વ્યવસ્થા જોતો ન હોવાથી અને રાજપુત્ર સુમાલ્ય અદ્યાપિ વયમાં ન્હાનો હોવાથી રાક્ષસને શિરે ઇચ્છા ન છતાં પણ કેટલીક વાર ભૂપાલ પ્રમાણે જ આજ્ઞાઓ આપવાનું કાર્ય આવી પડતું હતું. અર્થાત્ રાક્ષસ એવા પ્રકારની આજ્ઞાઓ કરે, તે ભાગુરાયણ આદિ સેનાપતિઓને રુચતું નહોતું, પરંતુ તેમની એ રુચિ કે અરુચિ કોઈ ધ્યાનમાં લે તેમ હતું નહિ. ખળભળી ખળભળીને તેઓ પાછા શાંત અને સ્વસ્થ બની બેસી રહેતા હતા.

કોઈ પણ રાજ્યમાં જો એવી સ્થિતિ હોય, તો તે પરિણામે ઘણી જ હાનિકારક થઈ પડે છે. અમાત્ય ગમે તેટલો સારો અને સર્વના માન સન્માનને યોગ્ય હોય, તો પણ સર્વ સત્તા તેના જ હાથમાં હોય અને રાજા કાંઈ પણ દેખરેખ રાખતો ન હોય, તો તે બીજા અધિકારીઓથી દેખી નથી શકાતું. તેમના મનમાં એવા વિચારો આવવા માંડે છે કે, “હવે કાંઈ આપણા ગુણોની કીંમત થવાની નથી – હવે તો આપણને માખો