પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૫
ચાણકયચક્રચાલન.

મારતા જ બેસી રહેવું પડશે.” અને એવા વિચારોનો પ્રભાવ એ થાય છે કે, ધીમેધીમે તેમનામાં અસંતોષનો વધારો થતો જાય છે. પરન્તુ જો રાજા પોતે જ રાજ્યવ્યવસ્થાને જોનારો હોય, તો “અાજ નહિ, તો ચાર દિવસ પછી પણ આપણા ગુણો રાજાના જોવામાં આવશે અને તે વેળાએ આ૫ણને તેનો બદલો પણ મળશે.” એવી આશાથી અધિકારીઓ બહુધા શાંત અને સંતુષ્ટ રહે છે. પરંતુ એ રીતિનો સર્વથા નાશ થએલો હોવાથી ભાગુરાયણ આદિ વરિષ્ઠ અધિકારી જનોનાં હૃદય પણ અસંતોષ અને અસૂયાથી છલાછલ ભરાઈ ગયાં હતાં. ચાણક્યે એ બધું જાણી લીધું અને પોતે પ્રધુમ્રદેવના પુત્ર સાથે આવેલા ઉપાધ્યાયના મિષથી તે એક દિવસે સેનાપતિ ભાગુરાયણને ત્યાં ગયો, સેનાપતિ ભાગુરાયણે તેનું સારું આદરાતિથ્ય કર્યું અને ચાણક્યના ચાતુર્યપૂર્ણ ભાષણથી તે ઘણો જ સંતુષ્ટ થયો, તે એટલે સૂધી કે, ચાણક્ય જ્યારે ત્યાંથી જવા નીકળ્યો, ત્યારે ભાગુરાયણ પણ તેની સાથે તેને પર્ણકુટી સુધી પહોંચાડવાને ગયો. પર્ણકુટીમાં દરિદ્રતાનું દર્શન કરીને તેણે ચાણક્યને કાંઈક દક્ષિણા આપવાની ઇચ્છા દર્શાવી. પરંતુ તેનો અસ્વીકાર કરીને “હું કોઈની પાસેથી એક કપર્દિક પણ દક્ષિણાના નામથી લેવા ઇચ્છતો નથી, તેમ જ બીજા કોઈની કોઈ પણ પ્રકારની સહાયતાની મને આવશ્યકતા નથી.” એવું ચાણક્યે સ્પષ્ટ ઉત્તર આપ્યું. એથી ભાગુરાયણના મનમાં ચાણક્ય વિશે વિશેષ આદર- બુદ્ધિ ઉત્પન્ન થઈ. અમુક મનુષ્ય ઘણો જ નિઃસ્પૃહી છે, એવો નિશ્ચય થયો, એટલે તેના માટે મનમાં ઘણો જ સારો ભાવ થાય છે અને ભાવ થયો એટલે રહેતે રહેતે ભક્તિ પણ થઈ જાય છે, એવો એક વિશ્વવ્યાપી નિયમ જ છે. એ જ અવસ્થા ભાગુરાયણની પણ થઈ ચાણક્ય તે એક મહા-વિભૂતિ–પ્રાચીન કાળના વસિષ્ઠ વિશ્વામિત્રના જેવો જ કોઈ મહર્ષિ છે, એવી તેની ભાવના થઈ ગઈ અને ત્યારથી એક દિવસ પણ તેણે ચાણક્યના દર્શનનો લાભ લીધા વિના જવા દીધો નહિ. દરરોજ ઠેરવેલે વખતે તે ચાણક્યની પર્ણકુટીમાં આવવા લાગ્યો. એવી રીતે ભાગુરાયણને પોતાનો ભાવિક ભક્ત બની ગએલો જાણીને, પ્રચંડ ચાણક્યના મનમાં અવર્ણનીય આનંદ થવા લાગ્યો. રાજાના મુખ્ય અંગો માત્ર બે જ કહેવાય છે; એક સેનાપતિ અને બીજો અમાત્ય, કેટલીક વાર તો અમાત્ય અથવા તો સચિવ કરતાં પણ સેનાપતિની પ્રબળતાનું માહાત્મ્ય અધિક હોય છે. કારણ કે, રાજ્યની મુખ્ય શક્તિ જે સેના, તે તેના અધિકારમાં હોવાથી માનો કે આખું રાજ્ય તેના જ હાથમાં હોવા જેવું હોય છે. વ્યાધ રાજાપર સ્વારી કરનાર સેનાપતિ એ ભાગુરાયણ જ હતો, અને એણે જ