પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

છૂટા ચરવા છોડી દઈને પોતે પોતાના વેણુવાદ્યને વગાડતા બેસતા હતા અથવા તો જો ત્યાંથી વનપુષ્પો મળી આવે, તો તેમની માળાઓ બનાવીને પોતાના, માતાપિતાના, પોતાના તરુણ મિત્રોના અથવા તો ગાયો બળદના ગળામાં તેમનું આરોપણ કરતા હતા. મધ્યાહ્ન સમયે ભોજન વેળા થતાં પોતા સાથે બાંધી લાવેલા ભાતાને છોડીને સર્વ મિત્રમંડળ એકત્ર બેસી તે ભોજનના આસ્વાદમાં લીન થતું હતું. એવો તેમનો નિત્યક્રમ હતો.

એક દિવસે ત્યાં મગધદેશ અને અહીં ગંગાતટ એ ઉભયની સીમાના સંમેલનથી કિંચિત્ ઉત્તર દિશામાં આવેલી એક દરીના ગોવાળિયાઓ એક ટેકરી પર ગયા હતા. દિવસો ગ્રીષ્મ ઋતુના હતા અર્થાત્ એ ઋતુમાં ભગવાન સૂર્યનારાયણ કાંઈક અધિક કાળ પર્યન્ત પોતાના પ્રકાશનો સૃષ્ટિને લાભ આપે છે અને તેમાં પણ પર્વત શિખરે તો સપાટી કરતાં ઘણા જ વધારે સમય સુધી સાયંકાળનાં સૂર્યકિરણો વડે ભિન્ન ભિન્ન સ્થાને ભિન્ન ભિન્ન રંગોથી નભેામંડળ રંજિત થએલું દેખાય છે. સદોદિત શીતલતા હોય, તોપણ ગ્રીષ્મકાળમાં તે શીતલતા ત્રાસદાયક જણાતી નથી; કિન્તુ વિરુદ્ધપક્ષે ઉષ્ણ દિવસેામાં એ શીતલતા અમુક અંશે સુખનું એક સાધન થઈ પડે છે. એવા એક દિવસે સાયંકાળે ઉપર કહેલા પ્રાંતના ઉત્તર ભાગમાંની હિમાચલની દરીમાં ઉપરના શિખર ભાગેથી પેાતાના ઢોરોને હાંકતા તે ગોવાળીયાઓ ઉતરી આવતા હતા – નીચે દરીમાં આવતાં જ ઢોરો પોતપોતાના સ્થળે ચાલ્યાં ગયાં, પરન્તુ ઢોરોનું એક ધણ એક બીજી બાજૂએ ગયું – ત્યાં એક વૃદ્ધ ગોવાળિયો ઊભો હતો તે ઘણા જ પ્રેમથી પોતાના ઢોરોનો સત્કાર કરવા માટે આગળ વધ્યો – બધાં પશુ પ્રાણીઓ તેની પાસેથી પસાર થયાં - તે જાણે તેને જોઈને આનંદ પામ્યાં હોયની ! એમ તેમની ચર્યાના અવલોકનથી જણાતું હતું. તે ગોપાલક વૃદ્ધ પણ તેમને જોઈ જોઈને આનંદથી હસ્યા કરતો હતો. જોત જોતાંમાં સઘળાં ઢોરો ત્યાંથી ચાલ્યાં ગયાં અને તેમને તેમના સ્થાનમાં બાંધી દેવામાં આવ્યાં એમ કહેવા કરતાં તેમને પૂરી દેવામાં આવ્યાં, એમ કહીશું તો તે વધારે શોભશે. બધા ગોવાળિયાઓનાં અને બીજા લોકોનાં ઢોરો બંધાઈ ગયા પછી તે વૃદ્ધ ગોપાલક પોતાના ગૃહમાં જવાનો વિચાર કરતો હતો, એટલામાં એક બીજો તેના જ વયનો વૃદ્ધ પુરુષ તેની પાસે આવ્યો અને તે બન્ને પરસ્પર કાંઈક વાર્તાલાપ કરતા બેઠા. એટલામાં ત્રીજો એક તેવો જ વૃદ્ધ ગૃહસ્થ આવ્યો – ચોથો આવ્યો - એમ થતાં થતાં તેની પર્ણકુટીપાસે આઠ દશ વૃદ્ધ પુરુષોનો જમાવ જોતજોતાંમાં થઈ ગયો. એ વેળાએ સૂર્યનો સર્વથા અસ્ત થઈ ગએલો હોવાથી શીતલતાનું પ્રાબલ્ય કાંઈક વિશેષ થએલું હતું. રાત્રિ પૂર્ણમાસીની