પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૯
અમાત્ય રાક્ષસ.

પડવાથી તને કાંઇપણ મારા વિશે તેણે પૂછ્યું હશે. હું કહું છું તે ખરું છે કે ખોટું? મારો તર્ક બરાબર છે કે નહિ ?”

આર્ય ચાણક્યની આવી તર્ક શક્તિને જોઈ ભાગુરાયણ ઘણો જ આશ્ચર્યચકિત થઈ ગયો. ચાણક્યનો તર્ક આટલો બધો સત્ય કેવી રીતે થયો હશે, એનું જ તેને રહી રહીને આશ્ચર્ય થવા લાગ્યું. તેને ક્ષણવાર એવો ભાવ પણ થયો કે, “રાક્ષસ પ્રમાણે આ બ્રાહ્મણે પણ મારી પૂઠે ગુપ્ત દૂતો તો નહિ રાખ્યા હોય ?” પણ બીજી જ પળે તેને પોતાની એ ધારણા નિર્મળ જણાઈ અને “એ ચતુર તથા નીતિ શાસ્ત્રજ્ઞ હોવાથી જ એનો તર્ક અક્ષરે અક્ષર સત્ય ઊભો રહ્યો છે.” એવો તેને નિશ્ચય થઈ ગયો. ચાણક્ય તેને પાછો હસતો હસતો પૂછવા લાગ્યો કે, “તું જે કાંઈ પૂછવાનો હતો તે પૂછયું - હવે જે વાત કહેવાને હતો તે શું છે ? તે સાંભળવાને હું અત્યંત ઉત્સુક થઈ રહ્યો છું.”

એ પ્રશ્ન સાંભળીને ભાગુરાયણ એકાએક શુદ્ધિમાં આવ્યો ને “કહું છું.” એવા શબ્દો તેના મુખમાંથી અચાનક નીકળી ગયા. પછી જે કાંઈ બન્યું હતું, તે સર્વ તેણે ચાણક્યને કહી સંભળાવ્યું. એ સાંભળીને ચાણક્યના હૃદયમાં ઘણો જ સંતાપ થયો; પરંતુ તે સંતાપને લેશ માત્ર પણ તેણે વ્યકત થવા દીધો નહિ. તે મનસ્વી જ બોલ્યો, “અમાત્ય રાક્ષસ ! હવે તારા અને મારા યુદ્ધનો સમય નિકટ જ આવી પહોંચ્યો છે. એ યુદ્ધમાં હવે કોનો વિજય થાય છે અને કોણ દેશપાર જાય છે, તે જોવાનું છે.” ત્યાર કેડે તે ભાગુરાયણને સંબોધીને કહેવા લાગ્યો કે, “સેનાધ્યક્ષ ! જેવી રીતે તેં મને તારી કથા કહી સંભળાવી, તેવી રીતે મારે પણ તને મારી કથા કહી સંભળાવવી છે. પરંતુ એ કથા ઘણી જ ગુપ્ત હોવાથી અહીં કહેવાય તેવી નથી – ચાલો આપણે નદીના સામા તીરે જઇએ - ત્યાં હું કહીશ.”

હવે એ ગુપ્ત કથા શી હતી, તે ચાણક્યને કહેવાનો અને ભાગુરાયણને સાંભળવાનો સમય આપીને તેમને એકાંતમાં જવા દઈ, આપણે આપણી નવલકથાનાં બીજાં પાત્રોની ભાળ લઈએ.



પ્રકરણ ૧૭ મું.
અમાત્ય રાક્ષસ.

ત પ્રકરણમાં વર્ણવેલી ઘટના પછી બીજે દિવસે મધ્યાન્હ પછીના શાંત સમયે અમાત્ય રાક્ષસ પોતાના મંદિરના એક અંતર્ગુહમાં પોતે એકલો જ કાંઈ વિચાર કરતો બેઠો હતો. જ્યારે જ્યારે કોઈ બીજું