પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૩
અમાત્ય રાક્ષસ.


એ સાંભળતાં જ રાક્ષસ આશ્ચર્યચકિત થયો અને પોતાના મનમાં જ કહેવા લાગ્યો કે, “ભિલ્લ અને તે પોતાના રાજાની પત્રિકા લઈને આવેલો છે ? એ શું હશે વારુ? હિમાલયનો રાજા તો પ્રદ્યુમ્નદેવ જ ! પરંતુ જે વાર્તા પ્રત્યક્ષ છે, તે વિશે લાંબા લાંબા વિચારો કરવામાં શો સાર છે ? તેને બોલાવીને પત્રિકા વાંચી, એટલે બધો ખુલાસો થઈ જવાનો" એમ વિચારીને તેણે પ્રતિહારીને આજ્ઞા કરતાં કહ્યું કે, “ઠીક છે - ત્યારે તે ભિલ્લને અહીં લઈ આવ.”

પ્રતિહારી બહાર ગયો અને તે ભિલ્લને સાથે લઈને પાછો અંદર આવ્યો. ભિલ્લ જે કે શરીરે તો ઘણો જ કાળો - અમાવાસ્યાની રાત્રી જેવો હતો, પણ ઘણો જ દૂરથી ચાલતો આવેલો હોવાથી અત્યારે તેનું શરીર માર્ગમાં ઉડેલી ધૂળથી છવાયલું હતું. તેથી જાણે કૃષ્ણવર્ણ મેઘમંડળમાં, મહાસાગરમાં નિમગ્ન થએલા અસ્તાચલગત સૂર્યની ધૂસર કાંતિની છટા પ્રસરેલી હોયની ! તેવો ભાસ થતો હતો. અંદર આવતાં જ તે ભિલ્લે રાક્ષસને દંડવત્ પ્રણામ કર્યો અને એક થેલી તેના ચરણેમાં રાખીને વિનતિ કરી કે, “મહારાજ ! અમારા મહારાજે કુશલપ્રશ્નપૂર્વક આ પત્રિકા આપના નામે મોકલી છે. જો એનું કાંઈ૫ણ ઉત્તર આપવાનું હોય, તો તે લઈ જવાને દાસ તૈયાર છે.” ભિલ્લ એ પ્રમાણે બોલતો હતા, તેટલા સમયમાં રાક્ષસે પ્રથમ તે કોથળીને ધારી ધારીને જોઈ અને ત્યાર પછી તેમાંની ભૂર્જપત્રપર લખેલી પત્રિકા કાઢીને વાંચવા માંડી, તે નીચે પ્રમાણે;-

“સ્વસ્તિશ્રીમત્સકલ સામન્ત મુકુટમણિ રંજિત ચરણ નખર મહારાજ ધનાનન્દના અમાત્યવર રાક્ષસવર્માની સેવામાં – હિમાલય અંતર્ગત નિષાદ ખાસ પ્રાચ્યાધિપતિ મહારાજ પ્રધુન્નદેવની અનેક કુશલ પ્રશ્નો પશ્ચાત પ્રાર્થના કે, હાલમાં મહારાજ પ્રદ્યુમ્નદેવની ભગિની શ્રી મન્મહાદેવી મુરાનો ઘણો જ આગ્રહ થવાથી મહારાજે પોતાના પુત્ર યુવરાજ ચન્દ્રગુપ્તને ચાર દિવસ પાટલિપુત્રમાં રહેવા માટે અને ત્યાંની રાજ્યવ્યવસ્થા સમજી લેવા માટે મોકલેલા છે. યુવરાજ ત્યાંથી નીકળ્યા, તે વેળાએ આ પત્રિકા પણ તેમની સાથે જ આપને મોકલવાનો વિચાર હતો; પરંતુ લખેલી પત્રિકા કાંઈક દૃષ્ટિદોષથી ત્યાંની ત્યાં જ પડી રહી અને તેથી આજે તે શીધ્રગામી દૂતદ્વારા મોકલવાની જરૂર પડી છે. અમારી ભગિની મુરાદેવી પર મહારાજની પુનઃ પૂર્ણ કૃપા થએલી છે, એ સાંભળીને માતુશ્રીને અને મને પણ ઘણો જ આનંદ થયો છે અને આપને પણ હવે તેના વિશે કાંઈ સંશય અથવા તો રોષ નથી, એ જાણીને તો હર્ષની પરિસીમા જ થઈ છે. તેથી જ મુરાદેવીના આમંત્રણને માન આપી, યુવરાજને અહીંના