પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૩
અપરાધી કોણ ?

માત્ર પણ મુરાદેવી મહારાજથી દૂર થતી નથી. વળી તેનાથી છાની રાજા સાથે વાત કરી શકાય, એ તો સ્વપ્ને પણ આશા રાખવી નહિ. એક તે રાજા પાસે ન હોય, એવો સમય જ નથી આવતો, અને યદા કદાચિત્ તેવો સમય આવે, તો દેવીની બીજી દાસીઓમાંની કોઈ એક પણ મહારાજ પાસે હોવાની જ. એ અડચણોને ખસેડીને પણ કોઈ મહારાજાથી કાંઈ વાતચિત કરે, તો મહારાજા પોતે જ તે તત્કાળ દેવીને કહી સંભળાવે છે. આપને હું આ બધું એટલામાટે કહી સંભળાવું છું કે, આપને આ કાર્ય જેટલું સહેલું દેખાય છે, તેવું તે સહેલું નથી. પ્રયત્ન કરવાને હું તૈયાર છું - પણ તેમાં સિદ્ધિ મળે કે ન મળે, તે કૈલાસનાથને આધીન છે.” સુમતિકાએ વિઘ્નોનું દર્શન કરાવતાં કહ્યું.

એટલું બોલીને સુમતિકા સ્વસ્થ થઈને બેઠી. અમાત્ય રાક્ષસે પુનઃ તેને આગ્રહપૂર્વક કહ્યું કે, “ગમે તેમ કરીને પણ આટલી આ પત્રિકા મહારાજના હાથમાં પહોંચતી કર. પછી જે થશે, તેની વ્યવસ્થા હું કરી લઈશ. તારે તેની ચિન્તા કરવી નહિ.” એમ કહીને તેને રવાની કરી દીધી.

એ પત્રિકા લઈને સુમતિકા રાક્ષસના મંદિરમાંથી નીકળી. તે સીધી મુરાદેવીના મહાલયમાં ગઈ નહિ - તે તો એક બીજે જ સ્થાને ગઈ અને ત્યાં થોડીકવાર બેસીને પછી મુરાદેવીના અંતઃપુરમાં જઈ પહોંચી. માર્ગમાં તેને હિરણ્યગુપ્ત મળ્યો. તેણે તેને સહજ પૂછી જોયું કે, “અમાત્યની પત્રિકા લઈ પોતાની સ્વામિનીના મંદિરમાં જવાને બદલે વળી બીજે ક્યાં ગઈ હતી ?” એનું સુમતિકાએ હસીને ઉત્તર આપ્યું કે, “હિરણ્યગુપ્ત ! તું અમાત્યનો મુખ્ય ગુપ્ત દૂત કહેવાય છે, અને મને આવો પ્રશ્ન પૂછે છે એ તો મને આશ્ચર્યકારક જણાય છે. અરે – અમાત્યને ત્યાંથી ત્વરિત પાછી મુરાદેવીના મંદિરમાં જાઉં, તો અમાત્યને ત્યાં જ મારું કાંઈ ખાસ કામ હતું અને તે ગુપ્ત કામ કરીને હું પાછી છૂપાઈને પોતાના ઘર તરફ જાઉં છું, એવો કોઈના મનમાં સંશય આવવાનો સંભવ છે ખરો કે નહિ ? તેથી ધીમેથી અમાત્યના ગૃહમાંથી નીકળી હું બીજાં બે સ્થળે ગઈ હતી અને કૈલાસનાથના મંદિરમાં જવાથી બિચારી આવી હશે દેવદર્શન કરવા, એવી જ લોકોની માનીનતા થઈ જાય છે, અને તેથી વિશેષ શંકા આવતી નથી. હું ક્યાં જાઉં છું અને શું કરું છું, એની તું છૂપી દેખરેખ રાખે છે કેમ ? જો એમ જ છે, તો આજ પછી હું તમારે ત્યાં આવવાની નથી. અમાત્ય માટે મારા મનમાં ઘણી જ ભક્તિ અને અતિશય આદર હોવાથી જ અને તે જે કરતા હશે તે મહારાજા અને યુવરાજના હિતમાટે જ હશે, એવી ધારણાથી જ મેં તેમનું કાર્ય કરી