સુધારી લેવાનો મને પ્રસંગ મળ્યો, તે માટે હું પરમેશ્વરનો નિરંતર આભાર માનું છું ! જો કે મારા એ અન્યાયનું મને સારું પ્રાયશ્ચિત્ત આપવું જોઈતું હતું, તે ન આપતાં તેણે મને અંતે પુનઃ સ્વર્ગીય સુખ આપ્યું, એ શું થોડો ચમત્કાર? વળી જેમને આપણે આજ સુધી નવરત્નોની માળા સમજતા આવ્યા હતા, તે જ હવે કાચના મણકાની માળાઓ સિદ્ધ થઇ ચૂકી છે ! તેમણે મારા હાથે બાલહત્યા કરાવી - પોતાના પુત્રનો જ ઘાત કરાવ્યો અને સ્ત્રી હત્યા – સતી હત્યા કરાવવાનો પ્રસંગ પણ લાવી મૂક્યો હતો એ કરેલા કુકર્મનો પશ્ચાત્તાપ કરીને હું હજીતો થોડો ઘણો શાંત થતો હતો, એટલામાં તો તેમણે મારી હત્યા કરવાનો પ્રયત્ન પણ આદર્યો - સમજ્યા કે?” રાજાએ પોતાની કર્મકથા વર્ણવી.
એ સાંભળીને અમાત્ય રાક્ષસ ચકિત થઈ ગયો અને આશ્ચર્યથી કોઈ ઉન્મત્ત - ગાંડા મનુષ્ય પ્રમાણે રાજાના કોપયુક્ત મુખમંડળને જોઈ રહ્યો.
સેનાપતિ ભાગુરાયણ અને ચાણક્યનું પરસ્પર શું ભાષણ થયું અને પાસેથી સેનાપતિને શી નવીન માહિતી મળી, તે કાંઈ આપણાથી અત્યારે કહી શકાય તેમ નથી; પરંતુ સંગમના સામા તીરે જઈને ગુપ્ત ભાષણ કીધા પછી ભાગુરાયણની વૃત્તિ એકાએક ચમત્કારિક થઈ ગઈ અને તેના મનમાં ચાણક્ય વિશેના આદરનો પહેલાંનાં કરતાં દશ ગણો વધારે થયો. ચાણક્યે એકવાર વાત કરતાં કરતાં સહજ સ્વભાવે ભાગુરાયણને કહ્યું હતું કે, “રાક્ષસ પોતે ખરેખરે સ્વામિનિષ્ઠ છે, એમાં તો જરા પણ શંકા નથી; પરંતુ તે સત્યનિષ્ઠ છે કિંવા નહિ, એની શંકા છે.” ચાણક્યના એ વાક્યોનું હાલમાં તેને વારંવાર સ્મરણ થતું હોય, એમ દેખાતું હતું. કારણ કે, તે અનેકવાર ચાણક્ય સમક્ષ એવા ઉદ્ગારો કાઢી ચૂક્યો હતો કે, “આ૫નું કહેવું મને અક્ષરેઅક્ષર સત્ય ભાસે છે. અમાત્ય રાક્ષસ સ્વામિનિષ્ઠ છે ખરા, પણ તે સત્યનિષ્ઠ તો નથી જ. અને જે સત્યનિષ્ઠ નથી, તે સ્વામિનિષ્ઠ પણ નથી, એમ જ માની શકાય અર્થાત્ જો સત્યના સમર્થન અને સંરક્ષણ માટે આપણે એનાથી કપટ વર્તન કરીએ, તો તેમાં અનાચાર અને પાપ જેવું કાંઈ પણ નથી.”
ભાગુરાયણ જ્યારે જયારે એ વાક્યો ઉચ્ચારતો હતો, ત્યારે ત્યારે ચાણક્યના હૃદયમાં એક પ્રકારનો અવર્ણનીય આનંદનો ભાવ થતો હતો.