પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૧
પ્રસ્તાવ.

અર્થનો ચાણક્યે ભાગુરાયણને અનેક વેળા ઉપદેશ આપ્યો હતો અને એનું તેના મનમાં પરિણામ પણ સારું થયું હતું; એમ કરવાથી કાંઈ પણ રાજદ્રોહ જેવું તો નહિ થાય, એવા તે વારંવાર વિચાર કર્યા કરતો હતો અને તેને અનુસરતો જ તેનો આજનો વિચાર હતો. પોતાનું બેાલવું સાંભળીને ભાગુરાયણ સ્વસ્થ અને ચિન્તાતુર થઈ ગયો છે, એમ જોઇને ચાણક્યે બીજી પણ કેટલીક વાતો તેને કહી અને તેના મનનો નિશ્ચય કરાવી દીધો કે, લોકોના અને મહારાજાના મનમાં રાક્ષસવિશે અપ્રીતિ અથવા તેમ ન થાય તો નિદાન સંશય ઉત્પન્ન કીધાવિના આપણું કોઈ પણ કાર્ય નિર્વિઘ્ને પાર પડી શકવાનું નથી. એકવાર આપણું કાર્ય સફળ થયું, એટલે પછી રાક્ષસને આપણા પક્ષમાં ખેંચી લેતાં વાર લાગવાની નથી. ચાણક્યમાં બોલવાની ચતુરતા એવી હતી કે, એ વિચારો ચાણક્ય નથી સૂચવતા; કિન્તુ મનમાંથી જ ઉત્પન્ન થાય છે, એવો ભાગુરાયણને ભાસ થતો હતો અને તે દિવસના ચાણક્યના ભાષણથી ભાગુરાયણને એવો દૃઢ નિશ્ચય થઈ ગયો કે, “આપણા કાર્યની સિદ્ધિ માટે રાક્ષસને ગોથું ખવરાવવું અને રાજાના તથા પ્રજાના મનમાં તેને વિષે સંશય ઉપજાવવો, એ ઘણું જ અગત્યનું છે.” ચાણક્યનો નિશ્ચય એવો થયો કે, “હવે ભાગુરાયણના હાથે કોઈ પણ કાર્ય સત્વર કરાવી લીધા વિના બેસી રહેવું એમાં લાભ નથી. એને સ્વસ્થ બેસી રહેવા દીધો, કે કાલે વળી બીજો કોઈ વિચાર એના મનમાં આવતાં એનું ચિત્ત ડૂલી જશે. માટે જો એકવાર કોઈ કાર્યનો એના હાથે પ્રસ્તાવ થયો કે, પછી એનાથી ફરી શકાશે નહિ. અર્થાત્ હવે એના હાથે સત્વર જ કાર્યનો આરંભ કરાવી દેવો જોઇએ.” એવા નિશ્ચયથી તેણે ભાગુરાયણને કહ્યું કે:-

“જો દિવસ જાય છે તો માત્ર એકજ જાય છે; પરંતુ એક એક કરતાં કેટલા દિવસો નકામા ગયા, એનો વિચાર કરવામાં આવતો હોય તો ઝટ આપણાં નેત્રો ઉઘડી જાય એમ છે. વિલંબ કરવાથી આપણા હસ્તમાં આવેલો સંધિ પણ નીકળી જવાનો સંભવ રહે છે. આવા પ્રસંગે તારા જેવા એક બુદ્ધિમાન પુરુષના મસ્તિષ્કમાં વિચારો તો પળે ને પળે આવવાના જ અને વિચારોમાં વળી બીજી પણ નાના પ્રકારની ધારણાઓ થવાની; પરંતુ કાર્યકર્તા પુરુષે પોતાના વિચારોની અમુક મર્યાદા કરીને કાર્યનું મંગળાચરણ કરવું જ જોઇએ. જો તારી અનુમતિ હોય, તો કાર્યના આરંભનું હું આજે જ મુહૂર્ત કરી શકું એમ છે. અમાત્ય રાક્ષસનો વિશ્વાસુમાં પણ વિશ્વાસુ સેવક – ગુપ્તદૂતોનો અધિકારી જે હિરણ્યગુપ્ત, તેને પણ મેં ફોડેલો છે.............."