પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.


હું પૂર્તિ કરીશ. તું અત્યારે જે બીજી જ શંકામાં ઘેરાયેલી છે, તે શંકા છોડી દે.” એ ભાષણ સાંભળીને મુરાદેવીના સંતપ્ત મનનું અર્ધ સમાધાન તો થયું. હવે પોતાની ઇચ્છાની સિદ્ધિ થવામાં માત્ર એક રાત્રિનો જ અવકાશ છે, એ વિચારથી તેને સંતોષ થયો અને તેણે ચાણક્યને જવાની આજ્ઞા આપી.

પરંતુ રાત પડી ન પડી, એટલામાં તો તેના મનની સ્થિતિ પાછી બદલાઈ ગઈ. ગમે તેટલી શક્તિશાલિની અને કપટી હોય, તો પણ અંતે સ્ત્રી જાતિ. મુરાદેવીની નૈસર્ગિક કોમળતા તેની ઇચ્છાને આડી આવીને ઊભી રહી.



પ્રકરણ ૨૩ મું.
ચિત્તની ચંચળતા.

ચાણક્યના જવા પછી મુરાદેવીના મનમાં પ્રથમ તો થોડીકવાર શાંતિ રહી. “ઘણા દિવસની, મહત્ત્વાકાંક્ષા નહિ, કિન્તુ વૈર વાળવાની ઇચ્છા હવે તૃપ્ત થશે અને મારા પુત્રને સર્વથા અન્યાયથી નાશ કરીને મને કારાગૃહમાં નાંખનાર અન્યાયી રાજાને પોતાના દુષ્કર કર્મનું પ્રાયશ્ચિત્ત મળશે. તેમ જ મારી પ્રતિજ્ઞા પ્રમાણે પાટલિપુત્રનું રાજય મારા ભત્રીજાને મળશે – અહા કેવા સુખનો સમય !” એવા એવા વિચારોથી તેને સ્વાભાવિક આનંદ થવા લાગ્યો. આર્ય ચાણક્યે પાટલિપુત્રમાં રહીને ધીમે ધીમે પોતાની નાના પ્રકારની યુક્તિઓથી જેવી રીતે એકે એક મનુષ્યોને વશ કરી લીધા હતા, તેવી જ રીતે તેણે મુરાદેવીને પણ વશ કરીને પોતાની શિષ્યા બનાવી લીધી હતી. પ્રથમ તે શા નિમિત્તે તેની પાસે ગયો અને ધીમે ધીમે તેને પોતાના કહ્યામાં કેવી રીતે લાવી શક્યો, એનું વિવેચન કરવાની કાંઈ પણ આવશ્યકતા નથી. “જે ઇચ્છા મારા મનમાં છે, તે જ ઇચ્છાએ એ રાજમહર્ષિના મનમાં પણ વાસ કરેલો છે.” એની ખબર પડવા પછી એને બીજું તો શું જોઈએ તેમ હતું? ચાણક્યના ભાષણમાં જ એક પ્રકારનો એવો આકર્ષક ગુણ સમાયલો હતો, કે તે ગુણના પ્રભાવથી જે કોઈ પણ એકવાર તેના વાક્પાશમાં સપડાયું, તે કોઈ કાળે પણ તેમાંથી પાછું છૂટવા પામે, એ સર્વથા અશક્ય હતું. તે સામું તેમાં વધારે અને વધારે જ ફસાવાનું, એટલું જ નહિ, પણ તેને તેમાંથી છૂટવાની ઇચ્છા પણ થવાની નહિ. મુરાદેવીના મનમાં વૈર વાળવાની પ્રબળ ઇચ્છા હતી અને તે ઇચ્છાને પૂર્ણ કરવા માટે ચાણક્ય એક ઉત્તમ સાધન મળી