પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.


મારા એ કથનથી તું પણ ભૂલાવામાં પડી જઇશ, એવી મારી ધારણા હતી નહિ. તથાપિ જે દિવસે તું શંકા કરે, તે જ દિવસે એ સઘળો ભેદ તને જણાવવાનો મેં વિચાર કરી રાખ્યો હતો. પણ આજ સુધી તેવો અવસર જ આવ્યો નહિ.” ચાણક્યે ચાતુર્ય બતાવ્યું.

મુરાદેવી ચાણક્યનું એ ભાષણ ધ્યાનપૂર્વક સાંભળતી હતી કે નહિ, એની શંકા જ હતી. કારણકે, તેનું ચિત્ત ચાણક્યના બોલવામાં હોય, એમ દેખાતું નહોતું. “ચાણક્ય કહે છે, તે વાત ખરી હશે કે ? ચન્દ્રગુપ્ત મારો પુત્ર હશે કે ? કે આ વેળાએ હું ચાણક્યથી વિરુદ્ધ ન થાઉં, તેટલા માટે એણે આ યુક્તિ શોધી કાઢી હશે?” એવી એવી અનેક શંકાઓ તેના મનમાં આવવા લા૦ગી. તેથી તેણે એકાએક ચાણક્યને કહ્યું કે, “આપ એને મારો પુત્ર કહો છો, પણ તેની સત્યતા માટે આપ પાસે આધાર શો છે?”

“આધાર ? તારા અને એના સ્વરૂપમાં રહેલું સામ્ય !” ઉત્તર મળ્યું.

“એ આધાર તો દૃઢ આધાર કહેવાય નહિ. એથી પણ વધારે પ્રબળ જો બીજો કોઈ આધાર હોય તો બતાવો.” મુરાદેવીએ પુનઃ શંકા કાઢી.

“મુરાદેવી! એવા આધારો જાણવાની આ વેળા છે કે ?”

“વેળા ગમે તેવી હોય, પણ મારા મનની સ્થિતિ અત્યારે ચમત્કારિક થઈ ગઈ છે; એટલે આધાર જાણવા ન માગું તો શું કરું?” મુરાદેવીએ પોતાનો મનોભાવ જણાવ્યો.

“તને આધાર જોઇતો જ હોય, તો આ શું છે તે જો. એ વસ્તુ એ નવા જન્મેલા બાળકના મણિબંધમાં હતી. એ બાળકને હિમાલયના એક અરણ્યમાં નાંખી દેવામાં આવ્યો હતો અને ત્યાંના ગોવાળીઆઓને એ એક દિવસે ચાંદરણી રાત્રે ત્યાંથી મળી આવ્યો હતો. ભગવાન ચંદ્રમાએ જ પોતાનાં શીત કિરણોવડે એનું સંરક્ષણ કર્યું હતું. એ કારણથી તે ગોવાળિયાએાએ એનું ચન્દ્રગુપ્ત એવું નામ પાડ્યું.”

એમ કહીને આર્ય ચાણક્યે તે રક્ષાબંધન મુરાદેવીને આપ્યું. તેને જોતાં જ અંધકારમાં સબડતા પડેલા મનુષ્યને એકાએક દીપકનો પ્રકાશ દેખાતાં જ તેની આંખે અંધારાં આવવા માંડે છે, તેવી જ મુરાદેવીની પણ દશા થઈ ગઈ, સંશય – અંધકારમાં ઘેરાયલી મુરાદેવીને એ રક્ષાબંધન એક ઉજ્જવલ દીપક સમાન દેખાવા લાગ્યું. આશ્ચર્ય, હર્ષ અને કિંચિત ઉદ્વેગ એ ત્રણ વિકારોની પ્રબળતાથી તે નિઃસ્તબધ બની ગઈ. એવી રીતે કેટલોક સમય નીકળી ગયો. એને થોડીકવાર શાંતિમાં જ બેસી રહેવા દેવાનું શ્રેયસ્કર જાણીને ચાણક્ય પણ ચુપ બેસી રહ્યો. થોડીવાર પછી