થવાનો? આપના મનમાં જે કાંઈપણ હોય, તે સાફ સાફ બોલી નાંખો. મનમાં રાખશો નહિ. મનમાં રાખવાથી પણ શો લાભ થવાનો છે ?”
“ભાગુરાયણ...! તું નન્દની સેનાનો અધિપતિ છે, અને તું જ જ્યારે કોઈ વૃષલને સિંહાસનારૂઢ કરવાની યોજનામાં પ્રવૃત્ત થયો છે, તો તને હવે કયા નામથી ઓળખવો, એ જ હું સમજી શકતો નથી. હું જ અંધ થયો. મગધદેશને હવે બાહ્ય શત્રુ કોઈપણ નથી - માત્ર મહારાજને કાર્યમાં પ્રવૃત્ત કરવાના કાર્યવિના હવે બીજું કોઈ પણ કાર્ય અવશેષ રહ્યું નથી, એવી ધારણાથી હું શાંત થઈને બેસી રહ્યો. એ મારા પ્રમાદની મને જે શિક્ષા મળી છે, તે યોગ્ય જ છે. તું રાજઘાતક, વિશ્વાસઘાતક અને દેશદ્રોહી છે. તારા સમક્ષ ઉભું રહેવું અને તારા મુખનું અવલોકન કરવું, એ પણ મહા પાતક સમાન છે. એટલે તારી સાથે ભાષણ કરવામાં પાતક હોય, તેમાં તો સંશય જ ક્યાં રહ્યો? જો તમે બધા બુદ્ધિમાન હો, તો મારો સર્વ જનસમાજ સમક્ષ ન્યાય કરો. તે ન્યાયથી જો અપરાધી ઠરું અને ન્યાયકર્તા તમે છો, માટે હું અપરાધી ઠરવાનો જ - તો તમારી ઇચ્છા હોય તેવી મને શિક્ષા ફરમાવો. જો એમ નહિ કરો, તો હું જ હમણાંને હમણાં ચૌટામાં જઈને આ બધી બાબતનો મોટેથી પોકાર કરીશ.” રાક્ષસ બેાલ્યો.
“અમાત્યરાજ!” ભાગુરાયણ તત્કાળ તેને સંબોધીને કહેવા લાગ્યો. “તમારો ન્યાય કરવાનો શો અધિકાર છે ? સર્વનો ન્યાય તો આપ જ કરતા આવ્યા છો, અને કરશો પણ ખરા. મારી માત્ર એટલી જ પ્રાર્થના છે કે, એવા પ્રકારના ન્યાયની આપે ઇચ્છા ન રાખવી, એ જ વધારે નિર્ભયતાનો માર્ગ છે. કારણ કે, જનસમાજનો સ્વભાવ ઘણો જ વિચિત્ર હોય છે; ક્યારે અને કેવી રીતે તેમનો અભિપ્રાય બદલાઈ જશે, એનો નિયમ હોતો નથી. તેથી વિપરીત પરિણામની શંકા થયા કરે છે.”
“ભાગુરાયણ ! ઘડી ઘડી એનું એ જ પિષ્ટપેષણ કરવાથી શું વળવાનું છે વારુ ? જનસમાજના સ્વભાવથી જેટલો તું જાણીતો છે, તેટલો જ હું પણ જાણીતો છું. હાલ તું અધિકારી છે, માટે તને જે કરવાનું હોય તે કર; પણ મારા પોતાના સંબંધમાં મારી જે કાંઈ પણ કરી નાંખવાની ઇચ્છા છે, તેમાં તું વચ્ચે ન આવ. મારી એવી ઇચ્છા છે કે, મારા શિરે આ પર્વતેશ્વરે કરેલા દોષારોપણનું નિરસન થઈ જાય અથવા તો તે સત્ય ઠરે અને મને શિક્ષા મળી જાય. સારાંશ એ કે, હું તમારા ઉપકારના ભારતળે આવવા નથી માગતો. મારી લજજા અને પ્રતિષ્ઠાને