ભાઈએ છોકરાને બે તમાચા ધરી દીધા ને તેને ઘસડીને નિશાળે લઈ ચાલ્યા. હું પણ ચાલ્યો.
નિશાળે જઈ છોકરાને શિક્ષકના તાબામાં આપી દીધો. શિક્ષકે પણ યોગ્ય ગંભીરતાથી સમયોચિત અવાજ અને આંખની સખ્તાઈથી છોકરાને તાબામાં લીધો.
ભાઈને 'હાશ થયું હોય એમ દેખાયું પ્રસન્ન મોઢે બહાર આવ્યા. ઘેર આવતાં મેં કહ્યું "પણ મારવાથી શું વળે ?”
“પણ ત્યારે નિશાળે મોકલ્યા વિના કંઈ ચાલે ? અમથો તો એક ડગલુંયે ઉપાડતો નથી; વાણિયાનો દીકરો છે, કાંઈ ચોરી કરવા થોડો જ જશે ? નહિ ભણે તો બ્રાહ્મણ જેમ લોટ માંગવા યે થોડું જવાશે ?”
“પણ ભાઈ, જરાક તો દયા રાખો !” “ દયા ડાકણને ખાય છે. ઘણા દિ' ભાઈ બાપા કર્યું પણ ભાઈ કાંઈ માને એવા થોડા છે ? ઈ તો માર્યાના જ લાગના છે.”
“મારવાથી છોકરો ગાંજી જશે.”
“કાંઈ ગાંજતો નથી. અમે માર ખાઈ ખાઈને જ મોટા થયા'તા ! ઈ તો માર ખાઈને રીઢો થઈ ગયો છે. નાના હતા ત્યારે અમેય વટકતા, પણ બાપાએ એકવાર દાતણની સોટી મારેલી એટલે ઠેકાણે આવી ગયા.”
“પણ નિશાળે જઈને નહિ ભણે તો ?”
“નહિ કેમ ભણે ? ત્યાં તો ઓલ્યો આંખ કાઢે છે કે