પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નિશાળે ન જવા માટે
૩૯
 


: ૨૯ :
નિશાળે ન જવા માટે

અમારી સાથે પ્રાગલો નામનો એક છોકરો ભણતો હતો. એને નિશાળ કડવી ઝેર જેવી લાગે. બાપ પરાણે ભણવા મોકલે એટલે ગયા વિના છૂટકો નહિ. પ્રાગલે છૂટવાનો રસ્તો શોધી કાઢ્યો.

એક દિવસ ઘાસલેટ પીધું. આખે ડીલે પરસેવો ! દોડાદોડ થઈ રહી. એક સીસો ભરી ઘાસલેટ પી ગયો હતો; મરતો મરતો બચ્યો.

બધા કહે : “એલા ! ઘાસલેટ શું કામ પીધું ?”

પ્રાગલો કહે: “ નિશાળે ન જવા માટે.”

કાળિયાને પણ નિશાળે જતાં ટાઢ વાય. આમ ભલો છોકરો; રજા હોય ત્યારે સોળ કળાનો પણ જ્યાં નિશાળનું નામ પડ્યું ત્યાં અંગેઅંગ ઢીલાં ! ન જાય તો માસ્તર ટાંગા ટોળી કરી ઉપાડે.

કાળિયે નિશાળ ન જવાની યુક્તિ શોધી કાઢી.

નિશાળનો વખત થાય એટલે પાટી-દફતર લઈ ગામ બહાર ભાગી જાય. નદીએ જાય, તળાવે જાય; આખો દહાડો રખડી સાંજે ઘેર આવે.

માસ્તર કહે : “ઓલ્યા કાળિયાને ટાંગાટોળી કરી લઈ આવો.”

કાળિયો તો ભાગી ગયો હોય ! હાથમાં ક્યાંથી આવે ?