ગામને પાદર કુંભારવાડો હતો. ત્યાં એક નાની કૂઈ હતી. કૂઈએ જઈને કાળિયો સંતાયો.
અમે ફરતા ફરતા ત્યાં આવ્યા. કાળિયો રાડેરાડ નાખે : “એ કુંભારકાકી, એ કુંભારકાકી ! આ છોકરા મને લઈ જાય છે, છોડાવો રે છોડાવો !”
કુંભાર કહે : “”એલા, ત્યાં કૂઈમાં શું કામ સંતાણો'તો ?”
“આ છોકરા મને નિશાળે ન લઈ જાય માટે.”
થોડા વખત પહેલાં અમેરિકામાં એક નિશાળ સળગી ગઈ. કેટલાંય નાનાં બાળકો બળી મૂવાં.
નિશાળ કેમ કરતાં સળગી ?
એક છોકરીએ સળગાવી.
શા માટે ?
છોકરીને નિશાળે જવું ન ગમે. છોકરીએ નિશાળે ન જવાના ઘણાં બહાના કાઢ્યા; એકે ન ચાલ્યું. માંદી પડે તો નકામું ગયું; કજિયો કર્યો, નકામો; પાછી હઠી, નકામું ગયું.
છોકરીને થયું: “આ નિશાળ છે તો જવું પડે ના ?” બીજે દિવસે ઘાસલેટનું પોતું લઈ નિશાળમાં આગ મૂકી; નિશાળ બળી ગઈ !
છોકરીને પોલીસોએ પકડી ને તેના ઉપર કેસ ચાલ્યો.
ન્યાયાધીશે પૂછ્યું: “નિશાળ કેમ બાળી ?”
છોકરી કહે: “મારા બાપા પરાણે નિશાળે ભણવા મૂકતા હતા, ને મારે જવું ન હતું માટે.”
**