પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૦
આ તે શી માથાફોડ
 


ગામને પાદર કુંભારવાડો હતો. ત્યાં એક નાની કૂઈ હતી. કૂઈએ જઈને કાળિયો સંતાયો.

અમે ફરતા ફરતા ત્યાં આવ્યા. કાળિયો રાડેરાડ નાખે : “એ કુંભારકાકી, એ કુંભારકાકી ! આ છોકરા મને લઈ જાય છે, છોડાવો રે છોડાવો !”

કુંભાર કહે : “”એલા, ત્યાં કૂઈમાં શું કામ સંતાણો'તો ?”

“આ છોકરા મને નિશાળે ન લઈ જાય માટે.”


થોડા વખત પહેલાં અમેરિકામાં એક નિશાળ સળગી ગઈ. કેટલાંય નાનાં બાળકો બળી મૂવાં.

નિશાળ કેમ કરતાં સળગી ?

એક છોકરીએ સળગાવી.

શા માટે ?

છોકરીને નિશાળે જવું ન ગમે. છોકરીએ નિશાળે ન જવાના ઘણાં બહાના કાઢ્યા; એકે ન ચાલ્યું. માંદી પડે તો નકામું ગયું; કજિયો કર્યો, નકામો; પાછી હઠી, નકામું ગયું.

છોકરીને થયું: “આ નિશાળ છે તો જવું પડે ના ?” બીજે દિવસે ઘાસલેટનું પોતું લઈ નિશાળમાં આગ મૂકી; નિશાળ બળી ગઈ !

છોકરીને પોલીસોએ પકડી ને તેના ઉપર કેસ ચાલ્યો.

ન્યાયાધીશે પૂછ્યું: “નિશાળ કેમ બાળી ?”

છોકરી કહે: “મારા બાપા પરાણે નિશાળે ભણવા મૂકતા હતા, ને મારે જવું ન હતું માટે.”

**