પૃષ્ઠ:Aarogya ni chavi.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોતાના શરીરને બાંધી શકશે. અલ્પાહારી હોવાં છતાં તે શારીરિક શ્રમમાં કોઈથી ઊતરશે નહીં. માનસિક શ્રમમાં તેને ઓછામાં ઓછો થાક લાગશે. ઘડપણના જે ચિન્હ આપણે જોઈએ છીએ તે આવા બ્રહ્મચારીમાં જોવામાં નહીં આવે. જેમ પાકેલું પાંદડું કે ફળ સહેજે ખરી પડે છે તેમ પોતાનો સમય આવ્યે માણસ સર્વ શક્તિ ધરાવતો છતો ખરી પડશે. આવા માણસનું શરીર વખત જતાં ભલે ક્ષીણ દેખાય, પણે તેની બુદ્ધિ ક્ષીણ થવાને બદલે નિત્ય વિકસવી જોઈએ. તેના તેજમાં પણ વધારો જ થવો જોઈએ. આ ચિહ્ન જેને વિષે ન જોવામાં આવે તેના બ્રહ્મચર્યમાં તેટલી ન્યૂનતા સમજવી. તેને વીર્યસંગ્રહની કળા નથી સાધી. આ બધું સાચું ન હોય-ને મારો દાવો છે કે સાચું છે- તો આરોગ્યની ખરી ચાવી વીર્યસંગ્રહમાં રહેલી છે.

વીર્ય સંગ્રહના થોડાં મોટા નિયમો જેવા હું જાણું છું તે અહીં આપું છું:

૧૨-૧૨-'૪૨

૧. વિકારમાત્રની જડ વિચારમાં રહેલી છે, તેથી વિચારો ઉપર કાબૂ મેળવવો. એનો ઉપાય એ છે કે , મનને ખાલી ન રહેવા દેવું, સારા ને ઉપયોગિ વિચારોથી ભરી મેલવું. અર્થાત્ પોતે જે કાર્યમાં રોકાયેલા હોય તેને વિશે ફિકર ન વેઠવી, પણ તેમાં કઈ રીતે નિપુણતા મળે એ વિચારવું ને તેનો અમલ કરવો. વિચાર અને તેનો અમલ વિકારોને રોકશે. પણ આખો વખત કામ નથી હોતું. મનુષ્ય થાક ખાય છે, શરીર આરામ માગે છે, રાતના ઊંઘ નથી આવતી, ત્યારે વિકારોના હુમલા સંભવે. આવા પ્રસંગોમાં સૌથી સર્વોપરી સાધન જપ છે. ભગવાનને જે રૂપે અનુભવ્યો હોય અથવા અનુભવવાની ધારણા રાખી હોય, તે રૂપને હૃદયમાં રાખીને તે નામનો જપ કરવો. જપ ચાલતો હોય ત્યારે બીજું કંઈ