હવે મને સાંભર્યું. જે દિવસે સુબંધુએ મને રત્ન બતાવ્યું તેના આગલે દિવસે તે દડાની રમત રમતો હતો ને છાપરા ઉપર અટકેલા દડાને ઉતારવા ચડ્યો હતો.
‘પણ હવે મારે એ બીજાને હાથ ન ચડે માટે પહેરી રાખવું છે. જૂના પોથીવાચનમાં નિષ્ણાત એક જણે મને એનું બીજું રહસ્ય પણ બતાવ્યું છે.’
‘ શું?’
‘સુબંધુની માંદગી વિષે ને રત્ન વિષે મને જેણે માહિતી આપી તેણે જ આ કહ્યું— ’
‘કે?’
‘હું એની પાસે ગયો હતો. અત્યારે એની પાસેથી આવું છું. એણે કહ્યું કે બીજાને આપી પોતાના ઉપરથી ભાર ઉતારવાની વૃત્તિમાં શાપિત રત્ન કરતાં પણ મોટો શાપ છે. એવું થાય છે ત્યારે અંતઃકરણમાં શાપમય લોહીનું એક બિંદુ હમેશાં બળ્યા કરે છે.
‘માટે રત્નના શાપનાં દુઃખ કાઢી નાખવાં હોય તો રસ્તો આ છે. અજાણ્યા એવા હજારો માનવબંધુની વચ્ચે એવા શાપિત રત્નને ફરતું મૂકવું, એના કરતાં એ મારે જ પહેરી રાખવું. એમ કરવાથી એનો શાપ ધસાઈ જઈને એક દિવસ એ રત્ન પણ શુદ્ધ બની જશે. ’
એટલું બોલીને ગોવિંદરામે એ રત્ન પોતાની ડોકમાં પહેરી લીધું, ને જેવો આવ્યો તેવો પાછો ઝડપથી પાછો ચલ્યો ગયો.