લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘જીવનયોજના’ એવો કોઈ શબ્દ અભિમાન વિના વાપરી રાકાતો હોય તો, એ, એવા પ્રકારની છે કે, જે કાંઈ પળો મળી છે, એ એકધ્યેયી સાહિત્યપ્રયાસ કે પ્રવાસ માટે જ ખરચવી. ‘ગુપ્ત નવલકથાવલિ’ ‘ઐતિહાસિક નિબંધો’ ‘જીવન ચિરતાવલિ’ અને એવી બીજી અનેક પ્રવૃત્તિઓ, કલ્પનામાં એને અંગે રહ્યાજ કરે છે. ‘અવંતિનાથ-સિદ્ધરાજ જયસિંહ’નું ત્રીજું પુસ્તક ‘પ્રેસ’માં છે, ને ત્યાર પછી ગુજરાતના-છેલા રાજા કરણ ઘેલા સુધી આવીને એ અનુસંધાની નવલક્થાઓ ત્યાં અટકે છે.

પરંતુ આ તમામ વસ્તુઓની સાતત્યસાધના માટે જોઈતાં સમય શ્રમ, સાધન બીજી અને પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મૂક્યા વિના ન જ મળી શકે. ગુજરાતે કાંઈક પ્રક્ષાપાતથી તેમજ પ્રેમથી, મારી રંક કૃતિઓનો ઉદારતા પૂર્વક સત્કાર કર્યો છે. એટલુંજ નહિ, એ કૃતિઓના લેખક લેખે પોત પોતાને આંગણે આવવાની ઉપરાઉપરી અને વારંવારના વિનંતીઓ પણ મને હમેશાં ઠેકાણે ઠેકાણેથી મળતી જ રહી છે; પણ પ્રસ્તાવનાઓ, સભાઓ, પરિષદો, ભાષણો, ચર્ચા મંડપો વગેરેમાં બહુ ભાગ લઈ શકાતો નથી, એજ પ્રમાણે પરિચય ધરાવનારા ને ન ધરાવનારા, એવા સંખ્યા બંધ જાણીતા અને અજાણ્યા લેખક મિત્રોના કૃતિઓ તરફ નજર નાખી અભિપ્રાય અને માર્ગદર્શનની ઉત્સુકતાને પણ સંતેાષવાનું બની શક્તું નથી, એ તમામના મૂળમાં–આ ‘જીવનયોજના’જ કારણરૂપ છે. એવા વારંવારના નાકરથી એક નવા પ્રકારનો ધ્વનિ એમાંથી ઉઠીને ગેરસમજણ થવાનો સંભવ છે, એટલે આ આટલો આવશ્યક ખુલાસો કરવાનું જરૂરી લાગ્યું છે. બાકી આવા સંગ્રહની પ્રસ્તાવનામાં આવી વસ્તુને સ્થાન જ ન હોય; પણ પુસ્તકો પ્રત્યે પક્ષપાત ધરાવનાર લગભગ દરેક જણ એની પ્રસ્તાવના પણ વાંચે જ, એમ માનીને આ દ્વારા કાંઇક કહેવાનું છે તેમને એ આમાંથી મળી જ રહેશે, એટલે આટલું આંહીં લખ્યું છે, બીજા નવલિકાસંગ્રહની પેઠે આ સંગ્રહ પણ વાંચનારાઓને આકર્ષક નીવડશે તો પ્રયાસની એટલી વિશેષ સફળતા.

ખાનપુર : અમદાવાદ.
૧ : ૧૧ : ૪૭.