ઈર્ષ્યા થઈ હતી. કહેવામાં એ હતું કે પોતાના પિતા અકબરને મતાંધ મુસલમાનોના આગ્રહી ધર્મથી ખસેડનારમાં એજ મુખ્ય પુરૂષ હતો. એક ક્ષણભર અકબરને એમ આશા રહી કે અબુલફઝલને દક્ષિણમાં મોકલવાથી સલીમનો દ્વેષ કાંઈક ઓછો થશે. અને જ્યારે પોતે પણ અબુલફઝલની પાછળ જવાનો નિશ્ચય કર્યો ત્યારે અકબરે સલીમને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યો અને ‘અજમેરનો રાજપ્રતિનિધિ’ એ ઈલ્કાબ સાથે મેવાડના રાણા સાથે તાજી થયેલી લડાઈ પૂરી કરવાનું કામ પણ તેને જ સોંપ્યું. વળી અકબર સલીમના પક્ષપાત સારી પેઠે જાણતો. અને તેથી જ લગ્નને લીધે એના સંબંધી થયેલા માનસિંહને એની સાથે મદદ કરવા સારૂ મોકલ્યો.
આ બે શાહજાદાઓ મેવાડ તરફ ઉપડી ગયા ત્યારે તેમને ખબર મળી કે બંગાળામાં જ્યાં માનસિંહ સુબો હતો ત્યાં બળવો થયેલ છે. આ બળવાને દાબી દેવા માટે માનસિંહને તરતજ તે તરફ કુચ કરવાની જરૂર પડી. સલીમ હવે સલાહકાર વિનાનો રહ્યો. અને આ વખતે એના હાથમાં પુષ્કળ ફોજ હતી. તેથી પોતાના પિતાની દક્ષિણ તરફની ગેરહાજરીનો લાભ લઈ ગાદીને માટે હિમ્મતથી ઘા કરવાનો તેણે ઠરાવ કર્યો. એટલે મેવાડ ઉપરની સવારીનો વિચાર માંડી વાળીને તે પોતાના લશ્કરની સાથે આગ્રે દોડ્યો અને જ્યારે બાદશાહી કિલ્લાના સુબેદારે પોતાના માલીક તરફ પૂર્ણ વફાદારી બતાવી શહેરના દરવાજા સલીમ સામે બંધ કર્યા, ત્યારે તે અલાહાબાદ તરફ ઉતાવળે ચાલ્યો, તે કીલ્લાનો કબજો કર્યો, અયોધ્યા અને બીહારના પ્રાન્તો ઝડપી લીધા અને ‘રાજા’ નો ઈલ્કાબ ધારણ કર્યો.
આ બનાવોના સમાચારે અકબરને દક્ષિણમાંથી પાછો બોલાવી લીધો. સલીમનું આ કૃત્ય દાબને ન સહન કરી શકે એવા ઉગ્ર સ્વભાવને લીધે જ થયું છે એમ સમજીને ફરજ પાડવાને બદલે એને સમજાવી ઠેકાણે લાવવાનો અકબરે ઠરાવ કર્યો. તદનુસાર તેણે તેને એક પત્ર લખ્યો. જેમાં જો એ એને શરણે આવે તો તેના ઉપર અવિરત પ્રેમ રાખવાની ખાત્રી કરતાં એમને એમ વિરૂદ્ધાચરણ ચાલુ રાખે તો તેથી થવાનાં પરિણામની ચેતવણી આપી. આ કાગળ સલીમને મળ્યો ત્યારે અકબર થોડા પણ રાજ્યના ચુનંદા લડવૈયાના