મેવાડની ગરબડ શાન્ત પાડવા સારૂ મોકલ્યો. આ ગરબડ મેવાડના રાણા પ્રતાપસિંહે મુગલને વશ થવાની ના પાડ્યાથી ઊભી થયેલી હતી. સને ૧૫૭૬ માં હલદીઘાટ આગળ તે હાર્યો હતો. ત્યાર બાદ એ જંગલમાં નાશી ગયો હતો. બાદશાહી લશ્કર તેની પાછળ લગોલગ પડ્યું હતું. નશીબ એને એટલું બધું પ્રતિકૂલ રહ્યે ગયું કે એક પણ વિજય વિના અસંખ્ય પરાભવો પામ્યા પછી પોતાના કુટુંબ અને વિશ્વાસ રાખતા મિત્રોની સાથે મેવાડ છોડી સિંધુ નદી ઉપર એક બીજું રાજ્ય સ્થાપન કરવાનો નિશ્ચય કરવાની તેને જરૂર પડી. એ તો રસ્તે પણ પડી ગયો હતો એટલામાં એના પ્રધાનની બેનમૂન સ્વામિભક્તિએ લડાઈ ચાલુ રાખવાનાં સાધનો એના હાથમાં મૂક્યાં અને એક વધારે ચઢાઈ અજમાવી જોવાનો તેણે નિશ્ચય કર્યો. એક પછી એક થયેલા વિજયે નિશ્ચિંત થયેલા શત્રુઓ ઉપર ફરી વળીને તેમને પાછળથી ખૂબ માર માર્યો અને ૧૫૮૬ માં ચિતોડ અને માંડલગઢ સિવાયનો બધો મેવાડ એણે પાછો મેળવ્યો. ચીતોડની સાથે સંબંધ તૂટ્યાથી પોતે ઉદેપુરમાં રાજધાની સ્થાપી. (જે શહેર ઉપરથી પાછળથી એના રાજ્યનું નામ પડ્યું) સને ૧૫૯૭માં જ્યારે તે મરણ પામ્યો ત્યારે તે પોતાનું રાજ્ય સાચવી રહ્યો હતો. એના પછી એનો પુત્ર અમર રાણો ગાદીએ બેઠો જે આ વખતે (૧૬૦૨માં) બાદશાહી લશ્કરના પ્રયાસ માત્રની અવગણના કરતો હતો.
સલીમ શાહજાદાને આ વખતે ખરો લાગ મળ્યો. એને સોંપેલું લશ્કર જો ઉત્સાહથી કામ લેવાય તો મેવાડનો પૂર્ણ પરાભવ કરવાને પૂરતું હતું. પણ અકબરે સોંપેલા કામમાં સલીમે એટલી તો નીરસતા બતાવી કે અકબરે એને બોલાવી લીધો અને અલ્લાહાબાદના અર્દ્ધ્ સ્વતંત્ર રાજ્ય ઉપર એને મોકલ્યો. અહીંયા તે પોતાને અનુકૂળ વિષયલપંટતામાં કાળ ગાળતો. કર્તવ્ય અને માનની તેમજ પોતાના અત્યંત ભક્તિવાળા અનુચરોના જીવને માટેની પણ એની બેદરકારી આખરે એટલી બધી વ્યક્ત થઈ કે હું પાસે હોઈશ તો કઈક અસર થશે એવી આશાએ અલ્લાહબાદ જવા સારૂ અકબર પંડે ઉપડ્યો. માત્ર બેજ મજલો એ ચાલ્યો એવામાં પોતાની ખુદ જનનીના ભયંકર મંદવાડના સમાચાર મળવાથી એને પાછા ફરવું પડ્યું.