મંત્રીઓ તરફથી કાંઈ આશા રાખવાની હતી જ નહીં. આ લોકોના લખારાનો અને મુસલમાન મુસલમાનમાં પણ મતભેદને લીધે સીતમ ગુજારવા તરફના તેમનાં વલણ ઉપરથી અકબરને કંટાળો છૂટ્યો હતો. અબુલફઝલની પ્રશસ્ય ઉદારતા એના લક્ષમાં બરોબર ઉતરી ન હતી ત્યાર પહેલાં પણ પોતાના રાજ્યમાં એક મોટી સત્તારૂપ થઈ પડેલા મતાંધ ધર્માધ્યક્ષો સાથે કોઈ પણ રાજ્યપદ્ધતિનું સ્થાપન કરવા પહેલાં લડાઈ કરવી પડશે એવો તો એને નિશ્ચય થયો હતો. પ્રોફેસર બ્લોકમાન લખે છે કે પોતાની હિંદુ પ્રજાની યોગ્યતા વિષે ઘણો અનુકૂળ અભિપ્રાય એના મનમાં બંધાયાથી ફતેહપુર સીક્રીમાં કોઈ એકાંત સ્થળમાં પથ્થર ઉપર વિચારમાં બેઠો બેઠો પોતાના રાજ્યમાં સમાનભાવે રાજ્ય ચલાવવાનો તેણે નિશ્ચય કર્યો હતો. પણ પોતાના વિદ્વાનો અને ન્યાયશાસ્ત્રીઓના એકાન્ત અભિપ્રાયો ભેદ મટાડવાને બદલે અન્ય પ્રજાને હેરાન કરવાને વારંવાર એને આગ્રહ કરતા તેથી ‘હું ભુલું છું તો રાજા તરીકે તપાસ કરવી એ મારી ફરજ છે’. એમ વિચાર કરી તે બાબત ઉપર ચર્ચા કરવા માંડી. આ ચર્ચા પ્રત્યેક ગુસ્વારની રાત્રે આજ હેતુથી બંધાયેલા ઈબાદતખાના નામની ફતેહપુર સીક્રીના એક મકાનમાં ચાલતી.
કેટલીક વખત તો અબુલફઝલ આમાં ગૌણભાગ લેતો અને મુસલમાન પક્ષવાદીઓને એક બીજાની દલીલોના જવાબ દઇ તોડી નાંખવાને માત્ર ઉશ્કેરતો. આ પક્ષવાદીઓ હિંદુ અને બીજા કાફર લોકોને હેરાન કરવા એ સારી વાત છે એ બાબતમાં એકમત થતાં એક એક ઉપર બેવફાઈના તોહમતો મૂકતા તેથી તેમણે બતાવેલી મતાંધતા અને અનુદારતાથી અકબરને કંટાળો છૂટ્યો. ઈસ્લામના ધર્મમાં ઐક્યને બદલે અતિશય વિભાગની પદ્ધતિ તેના જોવામાં આવી. વળી કેટલાક તો રાજ્યમાં મોટા અમલદાર છતાં પણ એક બીજાની સાથે કેવળ અવિનયથી વર્તતા તેથી પણ અકબરને કંટાળો છૂટ્યો હતો અને એક વાર તે ‘આવી રીતે હવે કોઈ મને નારાજ કરશે તો એને આ મકાન છોડવું પડશે’ એવી ચેતવણી આપવાની પણ એને જરૂર પડી હતી. આખરે એક સ્મરણીય સંધ્યાકાળે અબુલફઝલે અણીનો વખત આણી મુક્યો. ભાવી વિરોધની ગણત્રી કરીને એણે નીચેની ચર્ચા