યોગ્ય તુલના થઈ અને તેમાંના સારાં લક્ષણો તેમની ખામીથી ઢંકાઈ જતાં
બચ્યાં (૨) સર્વત્ર સમાનભાવ એટલે સર્વ સાથે શાન્તિ સ્થપાઈ. (૩) અને
વિરૂદ્ધ મતના તથા દુષ્ટ વિચારના માણસો બાદશાહના નિઃસ્વાર્થ હેતુઓ
જોઈ શરમાઈ ગયા અને ફજેત થયા. અલબત આટલું આપણે કહેવું પડશે
કે હિંદુઓને હેરાન કરવાના વિચારવાળા પક્ષના બે મુસલમાન સરદારોએ
આ લેખ ઉપર કેવળ કમરજીથી સહી કરી હતી, પણ સહી કરી હતી
ખરી; બીજી તરફ અબુલફઝલનો પિતા જેણે ઇસ્લામના તમામ ગ્રંથો અને તેના જૂદા જુદા વિભાગોના વિચારોનું પૂર્ણ જ્ઞાન મેળવ્યું હતું તેણે
બહુ ખુશીથી સહી કરી અને વળી સહીની સાથે એટલું ઉમેર્યું કે આવી
ઉત્કર્ષકારક હીલચાલની ભવિતવ્યતા ખરી પડવાની હું ઘણાં વર્ષથી આશા
રાખતો હતો.
આ લેખથી અકબરની જીંદગીમાં અને તેના રાજ્યતંત્રમાં એક પરિવર્તન થયું. આ વેળા એ પહેલવહેલો સ્વતંત્ર થયો. પોતાના સહિષ્ણુતાના સમાનભાવના અને પરઅન્તઃકરણના ભાવ માટે આદરભાવ રાખવા સંબંધી પોતાના વિચારોને હવે એ ગતિ તથા બળ આપી શકતો. પોતાની સભામાં હિંદુ પારસી અને ખ્રીસ્તિઓને હવે એ બોલાવી શકતો. હવે જ હિંદના વતની રાજાઓના હિતાહિતનેજ આગ્રાની કેન્દ્રસત્તાનાં હિતાહિત કરવા સંબંધે પોતાના ચિરસિદ્ધ વિચારો અમલમાં મૂકવાનો પ્રયત્ન પણ કરી શકતો. ખરી રીતે આ લેખ તેના રાજ્યનો મહાન સ્વાતંત્ર્યલેખ છે.
આવી સ્વતંત્રતા આપનાર લેખ એણે શી રીતે મેળવ્યો તે બાબત મેં જરા બહુ વિસ્તારથી લખી છે, એમ જો વાંચનારને લાગે તો વાંચનાર મને ક્ષમા કરશે. કારણકે આ લેખ તે આ સમય પછીના તેના કાયદાઓની કુંચી છે. એનાથીજ ઈસ્લામના અનુદાર બંધનોથી બાદશાહનાં કાર્યો મુક્ત થયાં હતાં. એ લેખે અબુલફઝલનું નશીબ ઉઘાડ્યું એટલે આથી અકબરની સાથે અબુલફઝલને ચિરસ્થાયી મૈત્રી થઈ. બીજી તરફથી એ સર્વ મતાંધ પુરૂષોનો એકત્ર થયેલા દ્વેષનું પાત્ર પણ થઈ પડ્યો અને આખરે એમાંથી એનું ખૂન થયું.