પણ એણે એવો હુકમ કહાડ્યો કે કોઈ વિધવા પોતાનો ભોગ આપવા જરા પણ અનિચ્છા બતાવે તો તેને સતી કરતાં અટકાવવી.
માત્ર આવો હુકમ કહાડીનેજ તે બેસી રહ્યો નહીં, એકવાર જ્યારે અંબરના રાજા બીહારીમલ્લનો ભત્રીજો અને પોતાનો વિશ્વાસુ એલચી જયમલ્લ બંગાળાના ઉમરાવો તરફ દૂત કાર્ય ઉપર ગયો હતો ત્યારે પોતે અજમેરમાં હતો. તેવામાં ચૌસા અગાડી જયમલ્લ મરણ પામ્યાના સમાચાર તેને ત્યાંજ મળ્યા. જયમલ્લ ઉપર અકબરની પૂર્ણ કૃપા હતી. કેમકે રજપૂતાનાના સઘળા સરદારોમાં એણે પહેલવહેલી અકબરને નમતી આપી હતી અને ત્યાર પછી હમેશાં અકબરની ખરી અને વફાદારીથી નોકરી બજાવી હતી. તે જોધપુરના રાજા ઉદયસિંહની કુંવરી વેરે પરણ્યો હતો અને આ સ્ત્રી દૃઢ નિશ્ચયવાળી હતી. જ્યારે પોતાના સ્વામીના મરણના સમાચાર અંબર પહોંચ્યા ત્યારે તેણે સ્પષ્ટ રીતે સતી થવાની ના પાડી. બાદશાહના ફરમાન મુજબ પોતાની મરજી પ્રમાણે વર્તવાનો એને સ્વતંત્ર હક્ક હતો, પણ જ્યારે એ હક્ક એણે સતી થવાની ના કહેવામાં વાપર્યો તેના પુત્ર ઉદયસિંહ વગેરેએ એટલો તો અનિવાર્ય ઘોંઘાટ કરી મૂક્યો કે આખરે તેને સતી કરવા જરૂર પાડવાનો ઠરાવ થયો. આ ખબર અકબરને મળતાંજ આ જુલમ અટકાવવાનો એણે ઠરાવ કર્યો. એની મદદ વખતસરજ પહોંચી. કેમકે અગ્નિ સંસ્કાર થયો તેવામાં જ અકબરનાં માણસો જેમાં જયમલ્લનો કાકો પણ હતો, તે સ્મશાનમાં જઈ પહોંચ્યાં અને એકઠી થયેલા લોકોની મેદની વીખેરી નાંખી કુંવરીને બચાવી લીધી.
પોતાના ઉદાર મનવાળા અને વિદ્વાન મિત્રો ફૈઝી અનેઅબુલફઝલ ઉપર અકબરની પૂરી પ્રીતિ હતી તો પણ વિદ્યા ઉપર પ્રેમવાળા અને જ્ઞાન મેળવવાની ખરી ઈચ્છાવાળા સર્વેને તે ઉત્તેજન આપતો. ઢોંગ અને દંભને એ ધિઃકારતો. એને થોડાજ વખતમાં માલુમ પડ્યું કે દરબારના મુસલમાન ઉલ્માઓ આ બે અવગુણથી ભરેલા છે. અને આ વાત શોધી કહાડતાં વાંત તેને તેમના ઉપર કંટાળો છૂટ્યો અને તેમનો ઢોંગ ખુલ્લો કરવા સારૂં બનતી યુક્તિઓ વાપરવાનો નિશ્ચય કર્યો.