અકબરના રાજ્યની તવારીખ ઉપર વિદ્વાનો અને સાહિત્યથી થયેલી અસર બતાવવાને પૂરતો હેવાલ ઉપર અપાઈ ગયેલો છે. ખાસ કરીને ફૈઝી અને અબુલફઝલ એ બે ભાઈઓની અસર જ્યાં સુધી એ જીવ્યા ત્યાં સુધી સર્વોપરિ હતી. અબુલફઝલની કીર્તિ એના મરણ પછી પણ રહેવા પામી, કારણકે એણે આપેલા બોધને લીધે અકબરનો સહજ સ્વભાવ દૃઢ થયો હતો. જે ધોરણો આ બે ભાઈઓ ચાહતા તે ધોરણો અકબરના સ્વભાવને અનુકૂળ હતાં. એ ધોરણો એ હતાં કે સર્વેના અભિપ્રાય માટે ખરી ડહાપણ ભરેલી સહિષ્ણુતા રાખવી, વર્ણ કે ધર્મ ઉપર લક્ષ ન આપતાં સર્વને ઈન્સાફ આપવો, આ દેશના વતનીઓ ઉપર પડતો બોજો જેમ બને તેમ ઓછો કરવો; અને પોતાના વંશના પુરાતનપણાના અભિમાની અને મુસલમાનને આગંતુક યવન ગણનારા રજપૂતોનાં, આ દેશ આપણે પરાક્રમથી મેળવ્યો છે તેથી તે બધો આપણોજ છે અને આ લોકો આપણા ગુલામ થવાનેજ લાયક છે, એવો હક ધરાવવામાં તત્પર ઉઝ્બેક અને મુગલ સરદારોનાં, વળી અફધાન વંશની આણમાં ચાર સૈકા સુધી વસતી કરી રહેલી તેથી દેશમાં વતની જેવીજ થઈ ગયેલી બીજી કોમોનાં, તેમજ માયાળુપણાથી અને સારી સંભાવના કર્યાથી હમેશાં આર્દ્રભાવને પામતા આ દેશના મૂળ વતનીઓનાં હિતાહિત એક કરવાં.
એક વર્ગ એવો હતો કે જેનું સમાધાન કરવું અશક્ય હતું. તે વર્ગ તે પોતાનો વારો આવતાં હજી રાજ્ય મળશે એવી આશા રાખનાર અને ઓરીસા, બિહાર અને પશ્ચિમ હિંદુસ્તાનના ઘણા ભાગોમાં મોટાં સૈન્ય રાખી સત્તા ચલાવનાર જે, પૂર્વના મુસલમાન બાદશાહોના વંશજોનો વર્ગ હતો તેઓ અમારો હક અકબર કરતાં વધારે છે એમ માનતા અને પોતાના બાપદાદાઓ તો માત્ર સપાટી ઉપરજ રહેતા, પણ અકબર તો જમીનમાં ઊંડાં મૂળ રાખતો હતો, એ વાત નહીં સમજતાં અકબરના હક્કની સામે થતા અને તેની અવગણના કરતા. આમની સાથે સમાધાન કરવા સારૂ તેણે શા શા પ્રયત્નો કર્યા હતા અને તેમની જ વર્તણુકથી આખરે એમને કહાડી મૂક્વાની અકબરને કેમ જરૂર પડી હતી તે પાછલા પ્રકરણમાં કહી ગયા છીયે.