જેમ ચુસ્ત મુસલમાનો અપવિત્ર ગણે છે તેમ તે વખતમાં પણ તેઓ અપવિત્રજ ગણતા, પણ અકબરે તેમને પવિત્ર ગણ્યાં હતાં. દારૂનો મુસલમાનોને નિષેધ છે. એના પરિમિત ઉપયોગને અકબરે ઉત્તેજન આપ્યું હતું.
સને ૧૫૯ર માં દાઢી રાખવાની રીત કહાડી નાંખ્યાથી ચુસ્ત મુસલમાનોને તેણે ઘણું માઠું લગાડ્યું હતું. હિંદ જેવા ગરમ દેશમાં ચ્હેરો સાફ રાખવાથી થતા ફાયદા ગણાવવાની અત્રે જરૂર નથીજ. આ હુકમ જોકે ફરજીઆત ન હતો તોપણ બાદશાહી કચેરીમાં આ રીત રાખવી ન રાખવી એ એક લાક્ષણિક ચિન્હ થઈ પડ્યું હતું. ચુસ્ત મુસલમાનને દાઢી કઢાવવા જેવી બીજી કોઈ વસ્તુ વધારે અણગમતી નહીં હોય; તે વખતે તેમજ હતું; હમણાં પણ એમજ છે. તે વખતે બાદશાહે બેસાડેલા દાખલાથી ઘણો બડબડાટ થયો અને ગુપ્ત બેદીલી ફેલાઈ.
અકબરના બીજા શુભ ગુણોમાં પોતાનાં સગાંસંબંધી ઉપરનો પ્રેમ એ પણ ગણવો જોઈએ. અઝીઝ કરીને એનો એક દુધભાઈ એને વારંવાર ગુસ્સે કરતો પણ એને જરા પણ શિક્ષા કરતાં એ કહેતો કે મારી અને અઝીઝની વચ્ચે એક દુધની નદી છે જે મારાથી ઓળંગી શકાતી નથી. આ વચનમાં સમાયેલું સત્ય એના સંબંધીઓ સાથેની સર્વ વર્તણુકમાં દેખાતું હતું. જો છેક સુધરે એમ ન હોય અથવા ખુન જેવો કોઈ ગંભીર ગુનો કર્યો હોય તો તો એક જુદી વાત. બાકી એ હમેશાં પોતાના નામ સ્વભાવથી અને ઉદારતાથી પોતાનાં સંબંધીઓને મેળવી લેતો. ગુન્હેગારોને ક્ષમા કરવી, ફરી અધિકાર ઉપર નીમવા અને તેમના ઉપર વિશ્વાસ રાખવો એ એને ઘણું ગમતું. અને આ ગુણોથી કેટલીકવાર એ ઠગાતો તોપણ આખરે એની અસર સારી થતી. પુત્ર તરીકે એ સારો હતો. પતિ તરીકે પ્રેમાળ અને પિતા તરીકે જરાક હદ ઉપરાંત માયાવાળો હતો.
એના પુત્રો એની આબાદીની અવસ્થામાં જન્મ્યા હતા: જે દુર્ભાગ્યથી એમને ઘણું નુકશાન થયું હતું. શાહજાદો દાનીઆલ નાનપણમાં ઘણો તેજ અને ભવિષ્યમાં સારો નીવડે એવો હતો, પણ આસપાસની લાલચોથી અને તેના રક્ષકોએ ન વાર્યાથી, એ નાનપણમાંજ મરણને વશ થયો. શાહજાદા