મુરાદનુ પણ તેમજ થયું. એનો ઉત્તરાધિકારી જહાંગીર ઘણી રીતે તેના પિતાના કરતાં ઉલટોજ હતો. પોતાના પિતાના પ્રિયતમ મિત્ર અબુલફઝલનું એણે ખૂન કરાવ્યું હતું. અને અકબરના રાજ્યના છેવટના ભાગમાં પિતાની હયાતીમાં રાજપદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા માટે દાખલો એણેજ બેસાડ્યો હતો. આ દાખલો આગળ ઉપર મોગલવંશમાં નિયમરૂપ થઈ પડ્યો. આ નાલાયક પુત્ર તરફની અકબરની વર્તણુક—અનુકરણીય હતી, તેની ધીરજ અને ક્ષમાબુદ્ધિ કેવળ અનુપમ જ હતાં. વળી અકબર ક્રૂરતાને ધિક્કારતો અને પોતાની ફરજ બજાવવી એ સર્જનહારની સેવા કર્યાં બરાબર ગણતો.
ફરજ સંબંધે નાની મોટી બાબતનો તફાવત એના મનમાં ન હતો. અમુક હુકમ કહાડવો જોઈએ એવો હુકમ આપીને જ એ બેસી રહેતો નહીં. એ હુકમના અમલ ઉપર એ બારીકીથી જોતો. જો ધારેલી મતલબ પાર પડી તો એનો પૂર્ણ ઉપચય કરતો. અને એની પ્રજાની જુદી જુદી કોમો ઉપર એની શી અસર થાય છે તે વિગતવાર તપાસતો. સામા માણસની પોતે કરેલી પરીક્ષા ઉપર તેને પૂર્ણ વિશ્વાસ હતો. ચહેરા ઉપરથી મનુષ્ય સ્વભાવ જાણવાનું જ્ઞાન એને નિઃસંશય ઘણું સારૂં હતું. અબુલફઝલ લખી ગયો છે કે કેટલાક માણસો ઉપર માત્ર દૃષ્ટિ ફેરવ્યાથી એ એમના સ્વભાવાદિ જાણતો, અને હિંદુ સંબંધી સર્વ બાબત ઉપર આક્ષેપ કરવાની એની રીતને અનુસરીને બદૌની પણ આટલું સ્વીકારે છે કે આવી રીતનો પુરૂષ પરીક્ષાની શક્તિ જોગી લોકો તરફથી એને પ્રસાદીમાં મળી હતી.
આટલી ઉદારતા અને વિચારોનો વિકાસ છતાં અકબર વહેમથી મુક્ત ન હતો. તિથિઓની શુભ–અશુભતામાં એને શ્રદ્ધા હતી. બ્લૉકમેન કહે છે કે ઝોરોએસ્ટરના ધર્મના અભ્યાસથી આ શ્રદ્ધા એને પ્રાપ્ત થઈ હતી. કેમકે એ ધર્મનું એ એક ખાસ લક્ષણ છે. એના જે દરબારીઓ ગુપ્ત રીતે એના ધર્મ સંબંધી સુધારાની વિરૂદ્ધ હતા તે એના વિજયોનું માન એના ઉત્તમ ભાગ્યને આપે છે. બદૌની શત્રુનો પરાભવ કરવામાં એનું હમેશના સદ્ભાગ્ય સંબંધી કેટલુંક કહે છે. ખરી રીતે પોતાના મંત્રીઓની સાથે પુખ્ત વિચારથી બાંધેલા નિયમો અને ધોરણોનો અમલ થવામાં એ પૂર્ણ લક્ષ આપતો, એનાથી જ એને સર્વત્ર વિજય મળતો હતો.