ફળની એક મોટી યાદી આપેલી છે જે વાંચી હિંદુસ્તાન જાણવાવાળા વાંચનારાને ઘણો આનંદ થશે. તે વખતે પણ હિંદુસ્તાનના મેવામાં આમ્રફળ શ્રેષ્ઠ ગણાતું હતું એ જાણીને કાંઈક વિનોદ થાય છે. આ ફળ, રૂપ રસ અને ગંધ ત્રણેમાં અનુપમ વર્ણવાયું છે, અને કેટલાક ફલોપાસકો તો એને ટેટી અને દ્રાક્ષના કરતાં પણ ચઢીઆતું માને છે.
અકબરના નિત્યનિયમના સંબંધમાં અને આગ્રા અને ફતેહપુર સીક્રીમાં સાધારણ રીતે તે શી રીતે દિવસ નિર્ગમન કરતો તેના સંબંધમાં હવે કાંઈક બોલીએ. એમ લાગે છે કે અકબર મોડી રાત સુધી જાગતો અને વાર્તાવિનોદમાં તથા વાદવિવાદોમાં વહાણાં વહી જતાં હતાં. અબુલફઝલ કહે છે તે પ્રમાણે આ વિષયમાં સૂર્યોદય પહેલાં એક પ્રહર સુધી તે નિમગ્ન રહેતો, અને પછી ગવૈયા દાખલ થતા. પ્રભાત થતાં પોતે ખાનગી મેહેલમાં જતો. ત્યાં સ્નાન કરી પોષાક ધારણ કરી એકાદ કલાક પછી દરબારી મંડળની સલામ સ્વીકારવા હાજર થતો. પછી રોજકામનો આરંભ થતો. ઘણુંખરૂં મધ્યાન્હ પહેલાં તો કામ ક્યારનુંએ પૂરૂં થઈ રહેતું. ઘણુંખરૂં અકબર એકવાર ભોજન લેતો અને સવારનું કામ પૂરૂં થાય ત્યારે થાળી આવતી. ભોજનની અમુક ઘડી એમ નિયમ ન હતો. બપોર પછી જરા નિદ્રા લેતો. કોઈ કોઈ વાર પરોઢમાં તે વગડાની રમત રમતો અને કોઈ વાર સાયંકાળ પછીનો વખત પણ ચૌગાન અથવા પોલોની રમતમાં ગાળતો, જેમાં પલાશનો દડા વપરાતા. જે વખતે બહુ તાપ પડતો તે વખત આરામ લેવાનો અને સ્વસ્થ થવાનો હતો.
અકબરે થોડાં વર્ષ રાજ્ય કર્યું એટલામાં જ એને રજપૂતાનાના રાજ્યવંશોને મૈત્રી કરતાં પણ કાંઈક વધારે ગાઢ સંબંધથી પોતાની ગાદી સાથે જોડી લેવાની જરૂર જણાઈ આવી હતી. રાજસ્થાનના ઊંચા રજપૂતો જે જાતના સંબંધને એક જાતની ભ્રષ્ટતા સમજતા તે સંબંધમાં તેમને ઉતારવા એમના સહજ આગ્રહોનો એણે શી રીતે પરાભવ કર્યો તે વાતની નિરીક્ષા કરતાં આપણને કંઈક રસ આવે છે. એમ જણાય છે કે હુમાયૂંએ કેટલેક અંશે રસ્તો કર્યો હતો. કર્નલ ટોડ પોતાના વિદ્વત્તા ભર્યા અને