મોહક ગ્રંથમાં, હુમાયૂં પોતાના રાજ્યના પ્રારંભમાં ચીતોડવાળી કુંવરી કુર્ણાવતીનો ભાઈ થયો હતો અને તેની સેવામાં રહેવા એણે વચન આપ્યું હતું, એ વાત આપણને જણાવે છે. આ તેની સેવા એણે વફાદારીથી બજાવી હતી. તે તેને હમેશાં ‘વ્હાલી સગુણી બહેન’ એમ કહીને બોલાવતો. વળી તેણે અમ્બરના રાજા બિહારીમલ્લની પણ પ્રીતિ સંપાદન કરી હતી. બિહારીમલ્લ તો આ ગ્રંથમાં આટલી બધી વાર આવી ગયેલા ભગવાનદાસનો પિતા થાય.
આગળ ઉપર અકબર એની કુંવરીને પરણ્યો અને અમ્બરની ગાદી સાથે આ રીતે એનો સંબંધ જોડાયાથી, ભગવાનદાસ અને તેનો ભત્રીજો તથા દત્તકપુત્ર માનસિંહ જે તેનો એક મોટામાં મોટો સેનાપતિ હતો, તેમને પોતાના દૃઢ મિત્ર તરીકે ગણવા શક્તિવાન થયો. ભગવાનદાસ વિષે આગળ લખતાં કર્નલ ટોડ લખે છે કે તે અકબરનો એક મિત્ર હતો. અકબર આવા માણસોને પોતાની ગાદી સાથે સંબંધ કરવાની કિંમત જાણતો. રજપૂતાનાના રાજાઓની ખરી મનોવૃત્તિઓ જાણવાની એના જેવી બીજા કોઈને પણ તક ન હતી. તેથી આગળ વધતાં એ લખે છે કે ‘પરંતુ ભગવાનદાસનું નામ ઇસ્લામીઓ જોડે લગ્ન વ્યવહાર બાંધવાથી રજપૂત શુદ્ધતાને દૂષિત કરવામાં પ્રથમ પુરૂષ તરીકે–અધમ ગણાઈ ગયેલું છે.’ આ જાતનો દુરાગ્રહ હમેશાં મજબૂત હોય છે; કુતરાની માફક એક્વાર ત્યાગ કરેલી વસ્તુ ઉપર પુનઃ આદર કરે છે.
ભગવાનદાસ અને તેના ભત્રિજા 'માનસિંહના જેવા પરાક્રમી અને ઉદાર અંતઃકરણના રાજાઓ રજપૂતાનામાં કદી ઉત્પન્ન થયા નથી. અકબરની સાથેના એમના ગાઢ સંબંધથી મુગલના સર્વોપરિપણા વિષયે રજપૂતોના મનનું બીજી કોઈ પણ બાબતથી ન થયેલું સમાધાન થયું હતું. આ સંબંધ વળી ભગવાનદાસની એક કુંવરી વેરે સલીમનાં લગ્નથી સુદૃઢ થયો હતો. આ પરાક્રમી કોમ ઉપર અકબરના રાજ્યની ખરી અસર શી હતી તે કર્નલ ટોડ, જેનો રજપૂત સંબંધી સદ્ભાવ રજપૂતોના પોતાના કરતાં પણ વધારે ઊંડો હતો તેના અકબરના ઈતિહાસના નીચેના ઉપસંહારથી જણાઈ આવે છે.