આ ગ્રંથકાર લખે છે કે અકબર મુગલ રાજ્યનો ખરો સ્થાપનાર હતો. એજ રજપૂતોની સ્વતંત્રતાનો પ્રથમ વિજેતા હતો. આ હેતુ સાધવામાં એના સદ્ગુણોની એને પ્રબળ મદદ હતી. કેમકે સામાના મનનું સ્વારસ્ય અને તેમને અચૂક રીતે પ્રવૃત્તિમાં દોરનારા હેતુઓ જાણી લેવાની એની ચતુરાઈથી રજપૂતોની આસપાસ નાંખેલી લોઢાની સાંકળોને તેણે સેનાની સાંકળો બનાવી હતી. પછી લાંબા કાળના પરિચયને લીધે, અને ખાસ કરીને જ્યારે બાદશાહે એમના જાત્યભિમાનને સંતોષ પમાડે એવાં કાર્યોમાં અથવા નીચ મનોવિકારને તૃપ્ત કરવામાં પોતાની સત્તા વાપરવા માંડી ત્યારે તેઓ આ સાંકળોથી ટેવાઈ ગયેલા હતા: અકબર બાદશાહની નીતિનાં તત્વો સમજવાની અશક્તિને લીધે એના વિજયોનો હેતુ એકત્ર કરવાનો હતો, એ વાતને સમજાતાં, અકબર, તેની પહેલાંના અફઘાન અને પઠાણ પાદશાહોના જેવોજ હતો એમ ગણીને, કર્નલ ટોડ અકબરની જીતો સંબંધે વાંધો ઉઠાવે છે. પણ કર્નલ ટોડને આટલું ઉમેરવાની જરૂર પડી છે કે આખરે એના રાજ્યલોભે કરેલા ઘા રૂઝાવવામાં એ સફળ થયો અને એની જાતિના કોઈને પણ ન મળેલા એવા પ્રમાણમાં લાખો લોકોની પ્રશંસા પામ્યો.’ આ સ્થળે મારે ઉમેરવાની જરૂર નથી કે જો રાજ્યનો મુખ્ય હેતુ લોકોને સુખી કરવાનો હોય અને તે સાધવામાં વિજયથી એકત્રતા કરવાની જરૂર હોય તો સાધન પણ સાધ્યના ગુણથી ગુણી થાય છે. અકબરે રજપૂતાનામાં રાજ્ય કરવા સારૂ રજપૂતાના જીત્યું ન હતું. એની જીતનો હેતુ એ હતો કે બધા રજપૂત રાજાઓ પોતાના સામ્રાજ્યના પ્રતાપથી આખા રાજ્યને મળેલી શાન્તિ અને આબાદીનાં સુખનો, તે પ્રતાપનો તાપનો અનુભવ લેવાની જરૂર વિના, પોતપોતાના રાજ્યોમાં ઉપભોગ કરે.
રજપૂત રાજાઓમાં તે કાળમાં સર્વથી વધારે બળવાન જોધપુરના રાજા ઉદયસિંગની દીકરી અકબરે સલીમને અપાવી. આ શાહજાદીને એક કુંવર અવતર્યો, જે શાહજહાન નામ ધારણ કરી સલીમ પછી બાદશાહ થયો. કર્નલ ટોડ લખે છે કે આવા સુખકર ફળવાળું આ લગ્ન અકબરે જોધપુરના રાજાને ચાર પ્રાન્તો આપીને સાધ્યું, જેથી જોધપુરની ઉપજ બમણી થઈ. પછી તે