ઉમેરે છે કે મારવાડ અને અમ્બર જેવાં દૃષ્ટાન્તોથી લોભાઇને અને લાલચને જીતવાની સત્તા ઓછી હોવાથી સંખ્યાબંધ બહાદૂર પટાવતો સાથે રાજસ્થાનના નાના નાના રાજાઓ દિલ્હીના સુબારૂપે થઈને રહ્યા અને આ ફેરફારથી એમાંના ઘણાખરાઓના માનમરતબા વધ્યા. મુગલ ઇતિહાસકારે એમને ‘એકજ વખતે મુગલ તપ્તના સ્તંભ અને આભૂષણ’ તરીકે વર્ણવ્યા છે તે ખરૂં છે.
રજપૂતાનાના રાજાઓ સંબંધે અકબરની નીતિના વાજબીપણાને માટે રજપૂત લોકો ઉપર મમતાવાળા આ ગ્રંથકારનો અભિપ્રાય બસ છે.
બાદશાહી કુટુંબમાં થયેલાં લગ્નના વિષયમાં કહેવું જોઇએ કે અકબરને બહુ બેગમો કહેવાતી; પણ સપ્રમાણ તો આઠજ કહેવામાં આવી છે. એની પહેલી બેગમ એના કાકા હીન્ડાલ મીર્ઝાની શાહજાદી હતી. એનાથી તેને કાંઈ સંતાન થયાં નહીં અને તે ચોરાશી વર્ષની થઈ ત્યાંસુધી જીવી. એની બીજી બેગમ પણ એની ફોઈ જે મીરઝા નુરૂદીનને પરણી હતી તેની દીકરી હતી. તે કવિ હતી અને મખૂફી એ નામ ધારણ કરી લખતી. એની ત્રીજી બેગમ રાજા ભગવાનદાસની બહેન અને રાજા બિહારીમલ્લની દીકરી હતી. એની સાથે બાદશાહનું લગ્ન ૧૫૬૦ માં થયું હતું. એની ચોથી બેગમ જે પહેલાં અબદુલવાસીને પરણી હતી તે પોતાની ખુબસુરતીને માટે પ્રખ્યાત હતી. પાંચમી બેગમ જહાંગીરની માતા જોધબાઈ જોધપુરની કુંવરી હતી. ભવિષ્યની રાજમાતા તરીકે એ જનાનખાનામાં સર્વોપરિ હતી. એની છઠ્ઠી સાતમી અને આઠમી બેગમો મુસલમાન હતી.
રાજ્યવ્યવહાર સારૂ પ્રબંધો રચવાની બાબતમાં અકબરે મેહેસુલ ઉઘરાવાની રીત ઉપર બહુ લક્ષ આપ્યું હતું. તે ગાદીએ બેઠો ત્યારે શેરશાહ જેણે અકબરના પિતાને હરાવી પદભ્રષ્ટ કર્યો હતો તેણે દાખલ કરેલી રીત ચાલતી હતી. (૧) જમીનની ખરી માપણી કરવી, (૨) દર વીઘાદીઠ જમીનના નંબરોની સરાસરી ઉપજનો નિર્ણય કરવો, (૩) પ્રત્યેક ખેડુએ એ સરાસરીમાંથી સરકારને આપવાનું પ્રમાણ નક્કી કરવું (૪) અને એ રીતે નક્કી કરેલા ઉપજના ભાગ ઉપરથી સરકારને આપવાનાં નાણાંની રકમ નક્કી કરવી. આ