ભાવ મંગાવ્યા. આની સરાસરી કહાડી અને ઉપજની કિંમત ચાલતા ભાવ પ્રમાણે નક્કી કરવામાં આવી. પહેલાં તો આ દર વર્ષોવર્ષ ઠરતા પણ તે બહુ અગવડ ભરેલું લાગવાથી દસ દસ વર્ષના ઠરાવ થવા માંડ્યા.
આ મહેસુલની યોજના ખામી વિનાની કરવા અકબરે મહેસુલ સારૂ રાજ્યના નવા વિભાગો કર્યા. આ યોજના પ્રમાણે અકબરે એક કરોડ દામ એટલે પચીસ હજાર રૂપીયાની ઉપજવાળા તાલુકા બનાવ્યા. આ તાલુકાનો અધિકારી કરોડી કહેવાતો. જ્યારે એક કરોડીના હાથમાં બે લાખ દામ એકઠા થાય ત્યારે તેણે રાજધાનીની તીજોરીના અધિકારીને એટલા દામ મોકલાવી આપવા પડતા. પણ થોડા વખત પછી એમ માલૂમ પડ્યું કે આવી આંકડાની ગણત્રી ઉપર કરેલા બીજી રીતે અનિયમિત વિભાગોથી કેટલીક ગરબડ થતી અને હિંદુઓને સહુથી વધારે પ્રિય એવા કેટલાક જુના રીવાજોને અડચણ થતી. એટલે થોડી વખત અજમાશ કર્યા પછી આ કૃત્રિમ વિભાગની રીત છોડી દઈ અહીંના લોકોની જુની રીત પ્રમાણે, એટલે પ્રદેશની સ્વાભાવિક સ્થિતિ અને તેમાં ચાલતી ગ્રામ યોજનાને અનુસાર, નવેસરથી વિભાગ પાડ્યા.
અકબર ઈજારો આપવાની રીતથી બહુ વિરુદ્ધ હતો કારણ કે તે રીતે બહુ જુલમ ગુજરતો. એના અધિકારીઓને ખાસ કરીને તેણે એવો હુકમ આપેલો હતું કે ગામના મુખી મારફત લોકની સાથે કામ ન પાડતાં જેમ બને તેમ તેમની સાથે સીધો વ્યવહાર રાખો. આ એક નૂતનતા હતી અને જો કે એનો ઉદ્દેશ શ્રેષ્ઠ હતો તોપણ પ્રત્યેક સ્થળે તે સમી ઉતરતી નહીં. હિંદમાં રીવાજની બહુ કિંમત છે. આ રીવાજે જ ગામના મુખ્ય માણસની સત્તા સ્વીકારી હતી અને વ્યવહારમાં કંઈ નહિ તો એની સાથે રહીને કામ પાડવાની તો જરૂર જ હતી.
જ્યારે બાદશાહે જમીન ધારણ કરનારાઓના હક વગેરેની બાબતમાં તપાસ કરી ત્યારે એને માલૂમ પડ્યું કે એના પૂર્વના બાદશાહોએ નાલાયક પાત્રોને જમીન બક્ષીસ કરેલી છે એટલુંજ નહીં પણ એના પોતાના અધિકારીઓ જૂદી જૂદી તરેહની લાંચો અને બીજી લાલચોને વશ થઈ અપરાધી