પ્રાન્તોમાં સલાહશાન્તિ જાળવવાનું–લશ્કરી થાણ ઉપર દેખરેખ રાખવાનું, ત્યાં રહેલી પગારદાર લશ્કરી ટુકડીઓની સરદારીનું કામ કરવાનું, અને સામાન્ય રીતે બંડબખેડા દાબી દેવાનું કામ એ અધિકારીનું હતું.
અકબરના અધિકારીઓની ન્યાયની પદ્ધતિ એના પહેલાના અફઘાન રાજાઓના વખતમાં જે હતી તેજ હતી. પ્રબંધ માત્રનું ધોરણ કુરાન ઉપર હતું. પણ દાખલાઓથી અક્ષરાર્થમાં ફેર થઈ શકતો. વળી જ્યાં કાયદો સખ્તાઈ કરે એવું જણાતું, ત્યાં બાદશાહ અથવા તેના સલાહકારોએ રચેલી સૂચનાઓથી તેમાં પણ ફેરફાર થતા. આ સૂચનાઓનું મુખ્ય ધોરણ ન્યાય ને દયાથી કાયદાને નરમ કરવાનું હતું. મોટા અધિકારીઓને દેહાન્ત દંડ ફરમાવવામાં બહુ કરકસર કરવાની આજ્ઞાઓ આપી હતી. દુર રહેલા ગુજરાતના સુબાને મોકલાવેલી એક આજ્ઞાપત્રિકામાં એ અધિકારીને ભયંકર રાજદ્રોહ સિવાય બીજા કોઈ પણ ગુનાહમાં બાદશાહની મંજુરી વિના દેહાન્ત દંડની શિક્ષા કરવાનો પ્રતિબંધ કર્યો હતો.
વિંધ્યના દક્ષિણના દખ્ખણ એ નામથી ઓળખાતા મુલકની પ્રથમ ત્રણ સુબાગિરીઓ કરવામાં આવી હતી. પાછળથી જ્યારે બીજા પ્રાન્તો અને જીલ્લાઓ જીતાયા ત્યારે ત્રણની છ સુબાગિરીઓ થઈ. અકબરના દેહાન્ત પછી આ બધી સુબાગિરીઓ સુબાદાર નામના એક મોટા અધિકારીના તાબામાં સોંપવામાં આવી,–જેમાંથી નિઝામનું રાજ્ય ઊભું થયું. એની સાથે પણ એના તાબામાં એક કારભાર કરનાર મહેસુલાતી અધિકારી–દિવાનની પદવીથી નીમેલો હતો.
અકબર બહુ દબદબાવાળો બાદશાહ હતો. પોતાની રીતભાતમાં તે જો કે એ સાદો હતો તોપણ તેને એવી સમજણ પડી હતી કે પૂર્વ તરફના લોકો ઉપર રાજ્ય ચલાવવામાં દબદબો એ એક મુખ્યતત્વ છે. જેનું માથું હાલતાં હુકમ સમજાઈ અમલ થાય અને જેને લોકો દુનિયાં ઉપર ઈશ્વરના અવતારરૂપ સમજે એવા બાદશાહનો દમામ, વૈભવ અને ભવ્યતા લોકોને સમજાવવાને માટે, તે બધું તેમને દૃષ્ટિગોચર કરવાની જરૂર હતી. આ એક ભાવના છે એમ નથી. હિંદના વતનીઓ જે ભાષા વાપરે છે તે ઉપરથી