પૃષ્ઠ:Akbar.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
અકબર.


બન્ને પક્ષને અવારનવાર જયપરાજય મળ્યે ગયા. આવે ખરે અણીને વખતે સુલતાન બ્રાહીમના કાકા લ્લાઉદ્દીને દિલ્હીની ગાદી મેળવવા બાબરની મદદ માગી. આ વખત બાબર કંદહારમાં શાંતિ સ્થાપવામાં રોકાયલો હતો તેને આ વખતેજ લાહોરના સુબા દૌલતખાં તરફથી, કાબુલના બાદશાહને આથી પણ વધારે લલચાવે એવી માંગણી આવી. આ દૌલતખાંની ઇબ્રાહીમના સેનાપતિએ બહુ અવદશા કરી નાખ્યાથી તેણે પોતાની મદદે આવવા બાબરને અરજ કરી અને બદલામાં પોતાના બાદશાહ તરીકે તેને માનવાની કબુલાત આપી. બાબરે હા પાડી અને એકદમ લાહોર તરફ કુચ કરી. હું ધારૂં છું કે મહમદ ઘઝનીની ચઢાઈ પછીના પાંચ સૈકાની દરમિયાન ખુદ હિંદુસ્તાનની સ્થિતિની ઉપરની નોંધથી એક પછી એક આવેલા જુદા જુદા વંશવાળામાંના કોઈથી આ ભૂમિમાં ઊંડા મૂળ શા કારણથી ન નખાયાં તે સ્પષ્ટ સમજાશે. ઘઝનવી ઘોરી તઘલક સૈયદ લોદી, એ બધા વંશો ફક્ત પોતાનાજ સ્વાર્થને માટે લડાઈમાં ઉતર્યા હતા. ગાદી ઉપર વિરાજતા બાદશાહના અમીરો પણ આ બાબતમાં બાદશાહને ડગલે ડગલે ચાલતા. આ પ્રમાણે હિંદુસ્તાનના બાદશાહોના સામંતો અને મોટાં મોટાં વતનખાનારા અમીરો સઘળા મુલકમાં ફરી વળ્યા હતા અને કેટલોક મુલક તો તેઓએ કબજે કર્યો હતો. બદલામાં તેઓને બાદશાહની કેટલીક નોકરી કરવાની હતી. પણ તે નોકરી બાદશાહની સત્તા અને જોરના પ્રમાણમાં તેઓ કરે કે ન કરે. ઈંગ્લંડમાં નોર્મન વિજય પછી જેમ બન્યું તેમ વિજેતા અને પરાજિત પ્રજાના સ્વાર્થો એક ન થયા. મુસલમાનો ભિન્ન કોમના લોકો ઉપર આપખુદીથી રાજ્ય ચલાવવા લાગ્યા. અને તે લોકો તેમને વશ રહેતા, કારણ કે તેમનામાં સામા થવાની શક્તિ ન હતી. એમના ઉપર સદ્ભાવ રાખીને અથવા તો એથી વધારે ગાઢા કોઈ બીજા સંબંધથી રાજ્યવંશ ઉપર તેમને પ્રીતિવાળા કરવાનો વિચાર કોઈને થયો ન હતો. વિજેતાઓ પરાયા લોક તરીકે આવ્યા હતા, અને પરાયા લોકો તરીકે જ તેઓ રહ્યા. આને લીધે એમનો આ દેશનો કબજો ઉપર ઉપરનોજ રહ્યો. લોકોની મનોવૃત્તિઓમાં મૂળ ન નંખાતાં માત્ર તલવારથીજ પોતાને કબજે સાચવી રાખવાનું તેમને પ્રાપ્ત હતું. આ વંશો